અઝીમ પ્રેમજીએ સરકારને સલાહ આપી છે કે ખાનગી ક્ષેત્રને પણ કોરોના વાયરસ સામેના રસીકરણ પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવે, તેનાથી રસીકરણની સ્પીડમાં ઉછાળો આવશે.
અઝીમ પ્રેમજીએ કેન્દ્ર સરકારને આપી સલાહ
રસીકરણ ડ્રાઈવમાં પ્રાઇવેટ સેક્ટરને સામેલ કરવાની આપી સલાહ
જો ખાનગી સેક્ટરને સામેલ કરવામાં આવશે તો રસીકરણની ગતિ વધી જશે : અઝીમ પ્રેમજી
દેશની અગ્રણી સોફ્ટવેર ટેક કંપની વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજીએ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને દેશના કોવિડ -19 રસીકરણ કાર્યક્રમને ઝડપી બનાવવા ખાનગી સેક્ટરન ભાગીદાર બનાવવાની વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, ખાનગી ક્ષેત્રના સમાવેશથી દેશને માત્ર બે મહિનામાં કોરોના વાયરસ સામે 50 કરોડ લોકોનું રસીકરણ કરવામાં મદદ મળશે.
સરકાર જો ખાનગી સેક્ટરને જોડે છે તો રસીકરણની ગતિ વધશે : અઝીમ પ્રેમજી
પ્રેમજીએ કહ્યું, "મને લાગે છે કે જો સરકાર ખાનગી સેક્ટરને ઝડપથી જોડે છે, તો અમે ખાતરી કરી શકીએ કે આપણે 60 દિવસમાં 50 કરોડ લોકોને રસી આપી શકીશું." બેંગ્લોર ચેમ્બર ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેતા તેમણે નાણાં પ્રધાનને કહ્યું કે તે એક વ્યવહારિકતાની વાત છે. તેમણે કહ્યું કે, જો ખાનગી ક્ષેત્રને મંજૂરી આપવામાં આવે તો રસીકરણની સ્પીડમાં વધારો નોંધાશે.
400 રૂપિયામાં રસી લગાડવામાં આવે
પ્રેમજીએ કહ્યું કે કોવિડ -19 સામેની રસીને રેકોર્ડ સમયમાં વિકસિત કરવામાં આવી છે અને હવે તેમને મોટા પ્રમાણમાં લગાડવાની જરૂર છે. જો કે, અઝીમ પ્રેમજી આ વાતે સંમત થયા હતા કે સરકાર સારું કામ કરી રહી છે. તેમણે સૂચન આપ્યું કે ખાનગી ભાગીદારીથી રસીકરણની દરમાં સુધારો કરવામાં મદદ મળશે. તેમણે કહ્યું, 'એવી સંભાવના છે કે અમે સીરમ સંસ્થાને 300 રૂપિયા પ્રતિ ડોઝમાં રસી પહોંચાડી શકીએ છીએ અને હોસ્પિટલ, ખાનગી નર્સિંગ હોમ તેને ડોઝ દીઠ 100 રૂપિયામાં આપી શકે છે. આથી 400 રૂપિયાના ડોઝ સાથે સામૂહિક રીતે લોકોનું રસીકરણ કરવું સંભવ બની જશે.
સરકાર માત્ર સહાયક, ખાનગી સેક્ટર દેશની પ્રગતિનું ચાલકબળ છે : નાણાંમંત્રી
નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે કેન્દ્રીય બજેટ 2021-22માં સરકાર સહાયકની ભૂમિકામાં છે અને ખાનગી ક્ષેત્ર દેશની પ્રગતિનો મોટો ચાલક બળ છે, જેના વિના દેશ મોટી તક ગુમાવી શકે છે. સૌથી મહત્વની બાબત એ છે ખાનગી ક્ષેત્રની ભાગીદારી, જ્યાં સુધી ખાનગી ક્ષેત્રમાં પૂરતી ઉર્જા નહીં હોય, જ્યાં સુધી ખાનગી ક્ષેત્રને પૂરતી સુવિધા આપવામાં નહીં આવે ત્યાં સુધી ભારત માત્ર એક વિશાળ તક ગુમાવતું રહેશે.
નાણાં પ્રધાનના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસ રસીનો વિકાસ એ જાહેર-ખાનગી પાર્ટનરશીપનું એક ઉત્તમ ઉદાહરણ છે. તેમણે કહ્યું કે વૈશ્વિક નેતા તરીકે ભારત વધુ માનવીય છે, દરેકને એક સાથે લાવવા તૈયાર છે, શાંતિપૂર્ણ છે, જે ખરેખર બધાના સારા માટે વિશ્વની પ્રગતિ ઇચ્છે છે.