અમદાવાદના વટવા વિસ્તારમાં થયેલ દુષ્કર્મ કેસમાં સંડોવાયેલ આરોપી અગાઉ પણ બળાત્કાર કેસમાં પોલીસ ચોપડે ચડેલ હોવાનું સામે આવતા ચકચાર મચી છે.
આરોપી અગાઉ પણ બળાત્કારના ગુનાને અંજામ આપી ચુક્યો છે
પોલીસે કરી અઝહર પઠાણની ધરપકડ
મહિલાને રૂમમાં લઇ જઈ બળાત્કાર ગુજાર્યો
અમદાવાદના વટવા વિસ્તારમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો આ મામલે પોલીસે ગુનેગારની ધરપકડ કરી તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ગુનામાં પકડાયેલો આરોપી અગાઉ પણ બળાત્કારના ગુનાને અંજામ આપી ચુક્યો હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ત્યારે બે મહિલાઓને પોતાની હવસનો શિકાર બનાવતા આ શખ્સને જેલ ભેગો કરવામાં આવ્યો હતો.
પતિ અને બાળકોને મારી નાખવાની ધમકી આપી મહિલા સાથે આચર્યું કુકર્મ
વટવા પોલીસની ગિરફતમાં રહેલ આરોપી અઝહર ઉર્ફે અમન બાબાખાન પઠાણ સામે પરિણીતાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી, જેમાં 25 નવેમ્બર 2021 ના રોજ બપોરના સમયે મહિલા પોતાના ઘરેથી બહાર નીકળી રહી હતી, તે સમયે તેના ઘરની નજીકમાં જ રહેતા આરોપી અઝહર પઠાણે તેના પતિ અને બાળકોને મારી નાખવાની ધમકી આપી પોતાની સાથે એક રૂમમાં લઇ જઈ બળાત્કાર ગુજાર્યો હતો.આરોપીના હવસનો શિકાર બનેલી મહિલાએ હેતબાઇ ગઇ હતી અને પોતાના પતિને આ મામલે જાણ કરી હતી. ત્યારબાદ તેના પતિએ વટવા વિસ્તાર છોડી અન્ય વિસ્તારમાં રહેવાનું નક્કી કરી વટવા મૂકી દાણીલીમડા તરફ રહેવા જતા રહ્યા હતા.
અગાઉ અન્ય મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો હતો
જોકે આરોપી દ્વારા તે બાદ પણ અવાર નવાર મહિલાને મળવાનું કહી પતિ અને બાળકોને મારી નાખવાની ધમકી આપતા અંતે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને પગલે પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે અઝહર ઉર્ફે અમન બાબાખાન પઠાણની ધરપકડ કરી છે.જેમાં આરોપીની પૂછપરછ હાથ ધરતા સામે આવ્યું કે આરોપી પોતે પરિણીત છે અને આજ પ્રકારથી તેણે અગાઉ પણ વટવા વિસ્તારમાં જ એક મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જે ગુનામા જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે. ત્યારે પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે. બળાત્કાર જેવા ગંભીર પ્રકારના બે ગુના આરોપી સામે નોંધાતા પોલીસે આરોપીનો ગુનાહિત ઈતિહાસ છે કે કેમ તે દિશામાં પૂછપરછ શરૂ કરી છે.