5 માર્ચ, 1905 ના રોજ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના ખેકડામાં જન્મેલ 'નીરા આર્ય' (neera arya) કે જેમને દેશની 'પ્રથમ સૈન્ય મહિલા જાસૂસ' કહેવામાં આવે છે. એક સમયે સુભાષચંદ્ર બોઝનો જીવ બચાવવા પોતાના પતિની પણ હત્યા કરી નાખી હતી.
'નીરા આર્ય' કે જેમને કહેવાય છે દેશની 'પ્રથમ સૈન્ય મહિલા જાસૂસ'
ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના ખેકડામાં થયો હતો જન્મ
એક સમયે ભોગવી હતી કાળા પાણીની પણ સજા
તેઓ એક એવી મહિલા છે કે જેઓએ રૂઢિપ્રથા અને સામાજિક બંધનો તોડીને એવા કામો કર્યા હતા કે જેને પુરુષોનો ઈજારો માનવામાં આવતો. આઝાદ હિંદ ફોજમાં ઝાંસી રાણી રેજિમેન્ટની સૈનિક નીરા આર્ય કે જેઓએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝના દુશ્મન બની બેઠેલા પોતાના પતિને જ મારી નાખ્યો.
તેઓએ અંગ્રેજોની જાસૂસી કરતી વખતે આઝાદ હિંદ ફોજને મહત્વની માહિતી પૂર્ણ પાડી હતી. આ કારણથી જ તેઓને દેશની 'પ્રથમ સૈન્ય મહિલા જાસૂસ' પણ કહેવામાં આવે છે. ત્યારે હવે તેમના જીવન પર એક ફિલ્મ પણ બનવા જઇ રહી છે અને તેમની યાદમાં ખેકડામાં એક સ્મારક બનાવવાની પણ યોજના ચાલી રહી છે.
છેલ્લો સમય હૈદરાબાદમાં વિતાવ્યોઃ બાગપત નિવાસી સાહિત્યકાર અને લેખક તેજપાલ ધામાના જણાવ્યાં અનુસાર, દેશની આઝાદી બાદ નીરા આર્યએ હૈદરાબાદ મુક્તિ સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હૈદરાબાદના રજવાડાના વિલીનીકરણ પછી નીરા આર્યએ હૈદરાબાદના ફલકનુમા રેલ્વે સ્ટેશન પાસે એક ઝૂંપડીમાં રહેવાનું શરૂ કર્યું. હતું. ધામા જણાવે છે કે, 1993 થી 1998 સુધી જ્યારે તેઓ હૈદરાબાદમાં પત્રકારત્વ કરી રહ્યાં હતાં ત્યારે તેમની મુલાકાત નીરા આર્ય સાથે થઈ હતી. તેઓએ નીરા આર્યને સન્માન અને સરકારી મદદ મળે તે માટેના તમામ પ્રયત્નો કર્યા હતાં. પરંતુ નીરાએ કોઇ પણ પ્રકારની મદદ લેવાની ના પાડી દીધી હતી. એ જમાનામાં નીરા સ્ત્રીઓના વાળમાં લગાવવામાં આવતા ફૂલોમાંથી બનાવેલા ફુલોનો ગુલદસ્તો વેચતી હતી, તેની જ આવકથી તેઓનું જીવન ચાલતું. 26 જુલાઈ 1998 ના રોજ, નીરા આર્યએ બીમારીને કારણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. ત્યાર બાદ તેજપાલ ધામાએ તેમના કેટલાંક સાથી મિત્રો સાથે તેમના અંતિમ સંસ્કાર કર્યા હતાં.
અંગ્રેજો દ્વારા કરાયા અનેક અત્યાચારઃ તેજપાલ ધામા જણાવે છે કે, નીરા આર્ય સાત વર્ષની ઉંમરથી જ અનાથ બની ગઇ હતી. ત્યાર બાદ નીરા અને તેના નાના ભાઈ બસંતને શેઠ છજ્જુમલે દત્તક લઇ લીધા હતા. નીરાનું શિક્ષણ કોલકાતામાં થયું હતું. વર્ષ 1928માં, નીરાના લગ્ન કોલકાતામાં શ્રીકાંત જયરંજન સાથે થયા હતાં. જેઓ બ્રિટિશ સરકારની ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ (CID) માં ઈન્સ્પેક્ટર હતાં. સ્વાતંત્ર્ય સેનાનીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા મામલે તેઓનો પતિ સાથે વિવાદ થઇ ગયો હતો. ત્યાર બાદ નીરા દિલ્હીના શાહદરા ખાતે આવી ગઈ હતી. અહીંથી વર્ષ 1942માં નીરા તેના ભાઈ બસંત અને સરદાર સિંહ તુફાન સાથે સિંગાપોર પહોંચી હતી અને ત્રણેય આઝાદ હિંદ ફોજમાં જોડાઈ ગયાં.
એક રાત્રે તેઓ (નીરા આર્ય) સુભાષચંદ્ર બોઝની સુરક્ષામાં તૈનાત હતાં એ દરમિયાન તેમના પતિ શ્રીકાંતે નેતાજીને ગોળી મારવાનો પ્રયાસ કર્યો હતો. એ જોઈને નીરાએ જાણે કે ચંડીનું રૂપ ધારણ કર્યું હોય તેમ પોતાના પતિને જ મારી નાખ્યો. જો કે, બાદમાં મહિલા જાસૂસ નીરાને અંગ્રેજોએ પકડી લીધી હતી. બાદમાં કોલકાતાની જેલમાં તેમની પર અસંખ્ય અત્યાચાર ગુજારવામાં આવ્યાં. કાળા પાણીની સજા માટે પણ તેઓને મોકલવામાં આવ્યાં. જો કે, ત્યાંથી તેઓ (નીરા આર્ય) પોતાના બે સાગરિતો સાથે ભાગી ગયા હતા.
આઝાદી બાદ તેઓ આવ્યાં ખેકડા: દેશને આઝાદી મળ્યા બાદ નીરા આર્ય તુરંત ખેકડા આવી ગઇ. ખેકડામાં દર વર્ષે 5મી માર્ચે તેમની જન્મજયંતિ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જ્યાં હાલમાં આર્ય સમાજ મંદિર પરિસરમાં નીરા આર્યની યાદમાં સ્મારક બનાવવાનું કામ ચાલી રહ્યું છે.
વિશેષમાં તમને જણાવી દઇએ કે, તેજપાલ ધામાએ પોતાની પત્ની મધુ ધામા સાથે મળીને 'આઝાદ હિંદ ફોજની પ્રથમ મહિલા જાસૂસ' નામનું પુસ્તક લખ્યું છે. ધામા જણાવે છે કે, આ પુસ્તક પર આધારિત બોલિવુડમાં એક ફિલ્મ પર કામ ચાલી રહ્યું છે. કેરલમાં એક રોડ પણ નીરા આર્યના નામ પર છે અને તેમના નામ પર રાષ્ટ્રીય સ્તરનો 'નીરા આર્ય એવોર્ડ' પણ પ્રદાન કરવામાં આવે છે.