યોગ પછી હવે આયુર્વેદમાં પણ ભારત વિશ્વભરમા ડંકો વગાડી શકે છે. દુનિયાભરમાં પ્રાકૃતિક ચિકિત્સા તરફ વધતા રસને જોતા હવે સરકાર આયુર્વેદને જીવનશૈલી સાથે જોડાયેલી બિમારીઓનો અસરકારક ઇલાજ બનાવવાની તૈયારીમાં છે. દેશની અત્યાધુનિક પ્રયોગશાળાઓમાં નવી આયુર્વેદિક દવાઓને સખત વૈજ્ઞાનિક પરીક્ષણોમાંથી પસાર કરવામાં આવશે.
કેન્દ્રીય આયુષ મંત્રાલય આ માટે સીએસઆઇઆર સાથે સમજુતી પણ કરી ચુક્યુ છે. ગયા અઠવાડિયે રાજ્યસભામાં એક સવાલના જવાબમાં કેન્દ્રીય આયુષ પ્રધાન શ્રીપદ નાયકે ડાયાબીટીસના ઇલાજ માટે સીએસઆઇઆરની બે પ્રયોગશાળાઓના સહિયારા પ્રયાસથી તૈયાર બીજીઆર-34 દવા અંગે જાણકારી આપી.
નાયકના જણાવ્યા અનુસાર સીએસઆઇઆરની લખનઉ સ્થિત સેન્ટ્રલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિસિનલ એન્ડ પેરામેટિક પ્લાન્ટ્સ અને નેશનલ બોટેનિકલ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના વૈજ્ઞાનિકોએ લગભગ 500 જડીબુટ્ટીઓના ગહન વિશ્વલેષણ બાદ પાંચ જડીબુટ્ટીઓની મદદથી નવી આયુર્વેદિક દવા વિકસાવી.
બજારમાં આ દવાને બીજીઆર-34ના નામથી ઉતારાઇ અને તે ડાયાબીટીસના ઇલાજમાં પ્રમુખ દવાઓની બ્રાન્ડનો એક ભાગ બની ગઇ. આજ રીતે ડીઆરડીઓના વૈજ્ઞાનિકોએ સફેદ દાગના ઇલાજ માટે લ્યુકોસ્કિન નામની આયુર્વેદિક દવા વિકસાવી છે. સૌથી મોટી વાત એ છે કે અત્યાધુનિક પ્રયોગશાળાઓમાં વિકસિત આ દવાઓ એલોપથી દવાઓને સખત ટક્કર આપી રહી છે.
આયુષ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે આ સફળ થયેલી દવાઓ હવે વિદેશી માર્કેટમાં ઉતારવાની તૈયારીઓ ચાલી રહી છે. અત્યાર સુધી જુની રીતે તૈયાર કરાતી આયુર્વેદિક દવાઓને અમેરિકા જેવા વિકસિત દેશ દવાના રુપમાં માન્યતા આપતા ન હતા, પરંતુ હવે અત્યાધુનિક પ્રયોગશાળામાંથી પસાર થયા બાદ આયુર્વેદિક દવાઓ માટે આ સમસ્યા નહીં નડે.