સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં 40 દિવસ સુધી ચાલેલી અયોધ્યા મામલાની સુનાવણી પૂર્ણ થઇ છે. સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદમાં નિર્ણય અનામત રાખ્યો છે. નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટ તેના પર ચૂકાદો આપશે. આ દરમિયાન બીજેપીના સાંસદ સાક્ષી મહારાજે રામ મંદિર નિર્માણને લઇને મોટુ નિવેદન આપ્યું છે.
સુપ્રીમ કોર્ટમાં 40 દિવસ ચાલેલ અયોધ્યા મામલાની સુનાવણી પૂર્ણ થઇ
સાક્ષી મહારાજે કહ્યું કે અયોધ્યામાં 6 ડિસેમ્બરથી રામ મંદિરનું નિર્માણ શરૂ કરશે
1992માં 6 ડિસેમ્બરે જ બાબરી મસ્જિદને ધ્વસ્ત કરાઇ હતી
ભારતીય જનતા પાર્ટીના સાંસદ સાક્ષી મહારાજે કહ્યું કે અયોધ્યામાં (Ayodhya) 6 ડિસેમ્બરથી રામ મંદિરનું નિર્માણ શરૂ થઇ જશે. નોંધનીય છે કે, 1992માં 6 ડિસેમ્બરે જ બાબરી મસ્જિદને ધ્વસ્ત કરી દેવામાં આવી હતી.
સાક્ષી મહારાજે કહ્યું, 'આ તર્કસંગત છે કે મંદિરનું નિર્માણ એ તારીખે જ શરૂ થવું જોઇએ, જ્યારે ઢાંચો તોડી પડાયો હતો.' સાક્ષી મહારાજે ઉન્નાવમાં પત્રકારો સાથેની વાતચીત કરતા કહ્યું, ' આ સપનુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પ્રયાસોને કારણે સાકાર થવા જઇ રહ્યું છે.'
એમણે કહ્યું કે મંદિર નિર્માણમાં મદદ કરવા માટે હિન્દૂ અને મુસ્લિમોએ એક સાથે આવવુ જોઇએ, એમણે કહ્યું કે, ' સુન્ની વકફ બોર્ડે આ તથ્યને સ્વીકાર કરવું જોઇએ કે બાબર એક હુમલાવર હતો અને તેમના પૂર્વજ નહોતો.'