અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે સંસદમાં શ્રી રામ જન્મભુમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું એલાન કર્યું છે. રામ મંદિર માટે રચના કરવામાં આવેલ 15 સભ્યો ધરાવતા ટ્રસ્ટમાં 1 દલિત સમુદાયના ટ્રસ્ટીને પણ સ્થાન આપવું જરૂરી છે જ્યારે ટ્રસ્ટમાં તમામ સભ્યોનું હિંદુ ધર્માવલંબી હોવું પણ જરૂરી છે.
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટની રચના
મંદિર ટ્રસ્ટના 15 સભ્યોમાંથી 9 કાયમી અને 6 ઉપકારી અધિકારી
ટ્રસ્ટની રચનાની સાથે શરૂ થયો વિવાદ
રામ મંદિર ટ્રસ્ટના 15 સભ્યોમાંથી 9 કાયમી અને 6 ઉપકારી અધિકારી રહેશે. ટ્રસ્ટ ડીડમાં જ 9 કાયમી સભ્યોના નામ આપવામાં આવ્યા છે, જેમાં એક દલિત અને આઠ બ્રાહ્મણ સમુદાયના લોકોને સ્થાન મળ્યું છે.
ટ્રસ્ટ પહેલા જ ઉભા થયાં વિવાદ
તેથી જ ટ્રસ્ટના હાલના સ્વરૂપ વિશે પ્રશ્નો અને વિવાદો ઉભા થવા લાગ્યા છે. પ્રાદેશિક વિરુદ્ધ બાહ્ય વ્યક્તિ સાથે ઓબીસી સમુદાયના સભ્યોને ટ્રસ્ટમાં બનાવવાની માંગ રામ મંદિર આંદોલનમાં પ્રથમ પંક્તિના નેતાઓએ ઉઠાવી છે.
ઓબીસી સમુદાયના લોકોનો સમાવેશ કરવાની ઉઠી માગ
રામ મંદિર માટે પોતાની સત્તાને દાવ પર લગાવનાર ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહ અને અયોધ્યા આંદોલનના ચહેરા રહી ચૂકેલા ઉમા ભારતીએ રામ જન્મભુમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં ઓબીસી સમુદાયના એક સભ્યને સામેલ કરવા માટે માગ ઉઠાવી છે. ભાજપના આ બંન્ને નેતા ઓબીસી સમુદાયમાંથી આવે છે અને રામ મંદિર આંદોલનમાં તેમની અગત્યની ભુમિકા રહી છે.
કલ્યાણસિંહનું મોટું નિવેદન
6 ડિસેમ્બર 1992 ના રોજ અયોધ્યામાં પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહે, જેમણે વિવાદિત માળખાને તોડી પાડવાની નૈતિક જવાબદારી લીધી હતી, તેમણે કહ્યું હતું કે સરકારે રામ મંદિર ટ્રસ્ટમાં એક દલિતની સાથે એક ઓબીસી પણ શામેલ કરવા જોઈએ. દેશમાં ઓબીસીની સંખ્યા સૌથી વધુ છે, તેથી મંદિર ટ્રસ્ટમાં ઓછામાં ઓછા એક ઓબીસીનો સમાવેશ થવો જોઈએ. જોકે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે તે પોતે ટ્રસ્ટનો ભાગ બનવા માંગતો નથી, પરંતુ ઓબીસી લેવો જ જોઇએ.
આ લોકો હશે ટ્રસ્ટી :
1. કે પારાશરણ :
સુપ્રીમ કોર્ટના વરિષ્ટ વકીલ છે. તેઓએ અયોધ્યા મામલામાં 9 વર્ષ હિન્દૂ પક્ષની પેરવી કરી છે. ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સરકારમાં અટોર્ની જનરલ રહ્યા છે. તેઓને પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી સન્માન મળી ચૂક્યું છે.
2. જગતગુરુ શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજ (પ્રયાગરાજ):
બદ્રીનાથ સ્થિત જ્યોતિષ પીઠના શંકરાચાર્ચ. જોકે, તેમને શંકરાચાર્ય બનાવવા પર વિવાદ પણ થયો હતો. જ્યોતિષ મઠની શંકરાચાર્યની પદવીને લઇને દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીએ હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
3. જગતગુરુ મધ્વાચાર્ચ સ્વામી વિશ્વ પ્રસન્નતીર્થજી મહારાજ :
કર્ણાટકના ઉડુપી સ્થિત પેજાવર મઠના 33માં પીઠાધીશ્વર છે. તેઓએ ડિસેમ્બર 2019માં પેજાવર મઠના પીઠાધીશ્વર સ્વામી વિશ્વેશતીર્થના નિધન બાદ પદવી સંભાળી.
4. યુગપુરુષ પરમાનંદજી મહારાજ :
અખંડ આશ્રમ હરિદ્વારના પ્રમુખ. વેદાંત પર 150થી વધારે પુસ્તકો પ્રકાશિત થઇ ચૂકી છે. તેઓએ વર્ષ 2000માં યુએન (UN)માં આધ્યાત્મિક નેતાઓના શિખર સમ્મેલનને સંબોધિત કર્યું હતું.
5. સ્વામી ગોવિંદ દેવ ગિરિજી મહારાજ :
તેમનો જન્મ મહારાષ્ટ્રના અહમદનગરમાં વર્ષ 1950માં થયો હતો. રામાયણ, શ્રીમદ ભગવદગીતા, મહાભારત અને અન્ય પૌરાણિક ગ્રંથોનું દેશ-વિદેશમાં પ્રવચન કરે છે. સ્વામી ગોવિંદ દેવ મહારાષ્ટ્રના વિખ્યાત આધ્યાત્મિક ગુરુ પાંડુરંગ શાસ્ત્રી અઠાવલેના શિષ્ય છે.
6. વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા :
અયોધ્યા રાજપરિવારના વંશજ છે. રામાયણ મેલા સંરક્ષક સમિતિના સદસ્ય અને સમાજસેવી. 2009માં બસપાની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી હતી. જોકે તેઓ આ ચૂંટણી હારી ગયા હતા. તેના બાદ ક્યારેય રાજનીતિમાં પાછા ન આવ્યા.
7. ડૉ. અનિલ મિશ્ર, હોમ્યોપેથિક ડૉક્ટર:
મૂળ સ્વરૂપે આમ્બેડકરનગરના રહેવાસી અનિલ અયોધ્યાના પ્રસિદ્ધ હોમ્યોપેથિક ડોક્ટર છે. તેઓ હોમ્યોપેથી મેડિસિન બોર્ડના રજિસ્ટ્રાર છે. મિશ્રાએ 1992માં રામ મંદિર આંદોલનમાં પૂર્વ સાંસદ વિનય કટિયાર સાથે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. હાલ સંઘના અવધ પ્રાન્તના કાર્યવાહ પણ છે.
8. શ્રી કામેશ્વર ચૌપાલ, પટના :
સંઘે કામેશ્વરને પહેલા કારસેવકનો દરજ્જો આપ્યો છે. તેઓએ 1989માં રામ મંદિરમાં શિલાન્યાસની પહેલી ઇટ રાખી હતી. રામ મંદિર આંદોલનમાં સક્રિય ભૂમિકા અને દલિત હોવાને કારણે તેમને આ તક આપવામાં આવી છે. 1991માં રામવિલાસ પાસવાન વિરુદ્ધ લોકસભા ચૂંટણી લડી હતી.
9. બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા નોમિનેટેડ એક ટ્રસ્ટી, જે હિન્દુ ધર્મના હોય.
10. બોર્ડ ઓફટ્રસ્ટી દ્વારા નોમિનેટેડ એક ટ્રસ્ટી, જે હિન્દુ ધર્મના હોય.
12. કેન્દ્ર સરકાર દ્વારા નોમિનેટેડ એક પ્રતિનિધિ, જે હિન્દૂ ધર્મના હશે અને કેન્દ્ર સરકારની અંતર્ગત આઇએએસનો ઓફિસર હશે. આ વ્યક્તિ ભારત સરકારના સંયુક્ત સચિવના પદથી નીચે નહીં હોય.
13. રાજ્ય સરકાર દ્વારા નોમિનેટેડ એક પ્રતિનિધિ, જે હિન્દૂ ધર્મના હશે અને ઉત્તર પ્રદેશ સરકારની અંતર્ગત આઇએએસનો ઓફિસર હશે. આ વ્યક્તિ રાજ્ય સરકારના સચિવના પદથી નીચે નહીં હોય.
14. અયોધ્યા જિલ્લાના કલેક્ટર ટ્રસ્ટી હશે. તેઓ હિન્દૂ ધર્મને માનનારા હશે. જો કોઇ કારણસર વર્તમાન કલેક્ટર હિન્દૂ ધર્મના નહીં હોય, તો અયોધ્યાના એડિશનલ કલેક્ટર (હિન્દૂ ધર્મ) સભ્ય હશે.
15. રામ મંદિર વિકાસ અને તંત્ર સાથે જોડાયેલા મામલાના ચેરમેનની નિયુક્તિ ટ્રસ્ટીઓનું બોર્ડ કરશે. તેઓનું હિન્દૂ હોવુ જરૂરી છે.