કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આજે પ્રથમ બેઠક આજે મળશે. દિલ્હીમાં ગ્રેટર કૈલાશમાં હિંદુ પક્ષના વકીલ કે.પરાસરનનાં ઘરે આ બેઠકનું આયોજન કરાયું છે. આ બેઠકમાં અયોધ્યાના 5 આગેવાનો પણ હાજરી આપશે. બેઠકમાં મંદિર નિર્માણના મુહૂર્તથી લઈને કામ પૂર્ણ થવા સુધીની તમામ બાબતોની ચર્ચા કરવામાં આવશે.
અયોધ્યાના 5 આગેવાનો બેઠકમાં રહેશે હાજર
ટ્રસ્ટના ગઠન બાદ આજે દિલ્હીમાં પ્રથમ બેઠક
અયોધ્યા મંદિરની કામગીરી મામલે થશે ચર્ચા
જેથી ભવિષ્યમાં કોઈ વિવાદ ન થાય
લોકો દ્વારા દાનની રકમ લેવા અંગેના મુદ્દે પણ નિર્ણય થઈ શકે છે. જેથી ભવિષ્યમાં કોઈ વિવાદ ન થાય. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે મંદિર નિર્માણના પક્ષમાં ચૂકાદો આપ્યો હતો. કોર્ટે કેન્દ્ર સરકારને મંદિર નિર્માણ અને તેના વિશે રૂપરેખા તૈયાર કરવા માટે એક ટ્રસ્ટ બનાવવાનું કહ્યું હતું. તેના પહેલા ટ્રસ્ટી કે.પરાસરન છે. ટ્રસ્ટમાં કુલ 15 સભ્યો છે. અગાઉ સરકારે 67.703 એકર જમીન પણ ટ્રસ્ટને સોંપી હતી.
આ ટ્રસ્ટમાં 2 નવા નામ ઉમેરાવાની શક્યતા છે
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે બનાવાયેલ ‘રામ મંદિર તીર્થ ક્ષેત્ર’નવગઠિત ટ્રસ્ટની આજે થનારી બેઠક મહત્વની ગણાય છે. એવું માનવામાં આવી રહ્યું છે કે મહંત નૃત્ય ગોપાલ દાસ અને ચંપત રાય બન્ને નવા ટ્રસ્ટમાં નામાંકિત કરી શકાય તેમ છે.