અયોધ્યામાં રામ મંદિર નિર્માણની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. મંદિર નિર્માણ પહેલાં રામલલાને બીજા મંદિરમાં શિફટ કરવામાં આવશે. અસલ ગર્ભગૃહથી લગભગ 150 મીટર દૂર આવેલ માનસ ભવન નજીક મેક શિફટ મંદિર બનાવવામાં આવશે. જ્યાં રામલલાનું નવું મંદિર નિર્માણ ન થાય ત્યાં સુધી બિરાજમાન કરાશે.
રામ મંદિર નિર્માણની પ્રક્રિયા શરૂ, આજે ટ્રસ્ટની પ્રથમ બેઠક
મંદિર નિર્માણ પહેલાં રામલલાને બીજા મંદિરમાં શિફટ કરવામાં આવશે
આ બેઠકમાં મંદિર નિર્માણની તારીખ, નવા સભ્યોની પસંદગી પણ થશે
આ દરમિયાન દિલ્હીમાં આજે શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રની પ્રથમ બેઠક યોજાશે. આ બેઠકમાં મંદિર નિર્માણની તારીખ, પદ્ધતિની સાથે સાથે નવા સભ્યોની પસંદગી પણ થશે. રામલલાના મુખ્ય પૂજારી સત્યેન્દ્રદાસે જણાવ્યું છે કે અત્યારે જ્યાં રામલલા બિરાજમાન છે, તે ગર્ભગૃહ છે, પરંતુ મંદિર નિર્માણ માટે આ જગ્યા ખાલી કરવી પડશે અને તેથી રામલલાને 150 મીટર દૂર આવેલા માનસ મંદિરમાં રાખવામાં આવશે. કામચલાઉ ધોરણે મંદિર બનાવીને ત્યાં રામલલાની પૂજા-અર્ચના કરવામાં આવશે.
રામ મંદિરના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રામલલાને એક વ્યકિત તરીકે માન્યતા આપી હતી, પરંતુ રામલલા પાસે આધારકાર્ડ નથી. આ કારણસર રામલલાને કરોડોનું નુકસાન થઇ રહ્યું છે. કારણ કે ફિકસ ડિપોઝિટ કરવાના નવા નિયમ અનુસાર આધારકાર્ડ હોવું જરૂરી છે. આધારકાર્ડ માટે બાયોમેટ્રિક ઓળખ પણ જરૂરી છે.
આજે દિલ્હીના ગ્રેટર કૈલાસ-1 સ્થિત કાર્યાલયમાં શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ બેઠક મળશે કે જેમાં અયોધ્યાના માસ્ટર પ્લાન પર ચર્ચા થશે. આ બેઠકમાં હાજરી આપવા ટ્રસ્ટના ત્રણ સભ્યો મહંત દિનેન્દ્રદાસ, રાજા વિમલેન્દ્ર મોહનપ્રતાપ મિશ્ર અને ડો.અનિલ મિશ્ર દિલ્હી પહોંચી ગયા છે.
ટ્રસ્ટના સભ્યો તરફથી આમંત્રણ મળવા પર રામજન્મભૂમિ ટ્રસ્ટના મહંત નૃત્યગોપાલદાસ પણ દિલ્હી જવા રવાના થયા. રામ મંદિર નિર્માણ માટે 2 એપ્રિલની તારીખની જાહેરાત થવાની પ્રબળ શકયતા છે કારણ કે એ દિવસે રામ નવમી છે.