અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. મંદિરના નિર્માણ માટે રામ ભક્તોની મદદ લેવામાં આવશે. તેના માટે વિશ્વ હિન્દુ પરિષદ એક અભિયાન શરૂ કરવા જઇ રહ્યું છે. જેની શરૂઆત ઉત્તરાયણના દિવસથી માઘ-પૂર્ણિમા સુધી ચાલશે.
રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં
વિશ્વ હિન્દુ પરિષદે કરી તૈયારીઓ
10, 100 અને 1000 રૂપિયાના કુપન્સનું કરાશે વિતરણ
આ અભિયાન અંગેની જાહેરાત વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા કરી હતી.
ઘરે-ઘરે જઇને રામ જન્મભૂમિ માટે લેવાશે સહયોગ
ચંપત રાયે કહ્યું કે, અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર આકાર પામનારા ભવ્ય રામ મંદિર માટે દેશભરમાં પ્રત્યેક રામભક્તનો સહયોગ લેવામાં આવશે અને જેના માટે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઘરે-ઘરે ફરશે.
રામ મંદિર નિર્માણ માટે અભિયાન
શ્રી રામ જન્મભૂમિ મંદિર નિધિ સમર્પણ અભિયાન અંગેની જાહેરાત કરતા ચંપત રાયે કહ્યું કે, આગામી મકર સંક્રાતિથી માઘ-પૂર્ણિમા સુધી ચાલનારા આ અભિયાનમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દેશના 4 લાખ ગામના 11 કરોડ પરિવારનો સંપર્ક કરીને તેમને રામ જન્મભૂમિ સાથે સીધા જ જોડીને રામત્વનો પ્રસાર કરશે. તેમણે વધુમાં કહ્યું કે, દેશની દરેક જાતિ, મત, પંથ, સંપ્રદાયના લોકોના સહયોગની સાથે રામ મંદિર વાસ્તવમાં એક રાષ્ટ્ર મંદિરનું રૂપ લેશે.
10, 100 અને 1000 રૂપિયાના કુપન રાખવામાં આવશે
દેશના મોટાભાગના ગામડા અને શહેરોમાં ચાલનારા આ અભિયાનમાં મંદિરના સ્વૈચ્છિક નિર્માણ માટે ભક્તો દ્વારા આપવામાં આવતી આર્થિક સહાય સ્વીકારવામાં આવશે. આ માટે 10, 100 અને 1000 રૂપિયાના કુપન્સ મળશે. ભગવાનના દિવ્ય મંદિરની તસવીર લાખો ઘરોમાં પણ મોકલવામાં આવશે.
વિશ્વ હિન્દુ પરિષદનું શું છે લક્ષ્ય
- 4 લાખ ગામડાઓના 11 કરોડ પરિવાર સુધી પહોંચવાનો લક્ષ્યાંક.
- સાડા પાંચ લાખ ઘરો સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે. મંદિરના નિર્માણથી સંબંધિત તમામ ભાષાઓમાં સાહિત્ય છાપવામાં આવશે. ઘરે ઘરે મંદિરની તસવીર પહોંચાડવાની યોજના છે.
દેશભરમાં 3 થી 4 લાખ VHP કાર્યકરો આ અભિયાનમાં જોડાશે.
- PM, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને પણ દાન આપવામાં આવશે. સરકાર પાસેથી પૈસા લેવામાં આવશે નહીં. સરકાર તરફથી સહયોગની અપેક્ષા.
- વિદેશી દાન લેવામાં આવશે નહીં.
- 3 વર્ષમાં મંદિર તૈયાર થવાનું લક્ષ્ય છે.
ભક્તે જે ભેટ દાનમાં આપી છે તે રજિસ્ટરમાં નોંધાશે
મુખ્ય પૂજારીના જણાવ્યા અનુસાર કોઈ ભક્ત આરતી, ભોગ કે ભેટ કરવા ઈચ્છે છે તો તેને અધિકારીઓ અને ટ્રસ્ટને જાણ કરવાની રહેશે. તે પ્રમાણે સમય નક્કી કરાશે. મંદિરમાં રજિસ્ટરની વ્યવસ્થા છે જેમાં ભક્ત જે પણ ભેટ આપે છે તે નોંધવામાં આવશે.
ભારતભરમાંથી શ્રીરામ લખેલી ઈંટો મંગાવાઈ
મહત્વનું છે કે આંદોલન સમયથી અયોધ્યામાં અહીં ભારતભરમાંથી અલગ અલગ ગામમાંથી શ્રીરામ લખેલી ઈંટો અહીં મંગાવવામાં આવી હતી. ગુજરાતમાંથી પણ લગભગ 12000 જેટલા ગામડાઓમાંથી ઈંટો મંગાવાઈ હોવાની વાત છે. રામ મંદિરના નિર્માણમાં ઉપયોગમાં લઈને દેશના એક એક ગામનું યોગદાન રહે તેના પ્રતિકરૂપે આ ઈંટોને ઉપયોગમાં લેવાશે.