રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રિમ કોર્ટમાં રોજે-રોજ સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. 6 ઓગસ્ટથી રોજ આ મામલે સુનાવણી શરૂ કરાઇ હતી. જેમાં અઠવાડિયામાં પાંચ દિવસ આ મામલે સુનાવણી કરવામાં આવી રહી છે.
અત્યાર સુધી નિર્મોહી અખાડાના વકીલ, રામલલા વિરાજમાનના વકીલ પોતાનો તર્ક રાખી ચૂક્યાં છે. આજરોજ રામલલાના વિરાજમાનના વકીલ સીએસ. વૈધનાથને પોતાનો તર્ક આગળ વધાર્યો છે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની સંવિધાન પીઠ સમક્ષ રામલલા વિરાજમાન તરફથી વરિષ્ઠ અધિવક્તા સી એસ વૈધનાથને પોતાની દલીલના સમર્થનમાં વિવાદીત સ્થળનું નિરીક્ષણ કરવા માટે કોર્ટ દ્વારા નિયુક્ત કમિશ્નરનો રિપોર્ટ વાંચ્યો.
રામલલાના વકીલે જણાવ્યું કે કોર્ટના કમિશ્નરે 16 એપ્રિલ, 1950ના રોજ વિવાદીત સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને તેમણે ત્યાં ભગવાન શિવની આકૃતિવાળા સ્તંભની ઉપસ્થિતિનું વર્ણન પોતાના રિપોર્ટમાં કર્યું હતું.
સુપ્રીમ કોર્ટમાં રામલલા વિરાજમાન તરફથી કહેવામાં આવ્યું છે કે મૂર્તિને છોડીને બીજા મટેરિયલનું કાર્બન ડેટિંગ થયું હતું. જેના પર જસ્ટિસે કહ્યું અમે બીજા મટીરિયલની નહીં, પરંતુ મૂર્તિના કાર્બન ડેટિંગ અંગે પૂછી રહ્યાં છીએ.
જેને લઇને મુસ્લિમ પક્ષ તરફથી કહેવામાં આવ્યું કે ઇંટોની કાર્બન ડેટિંગ થઇ શકે નહીં. કાર્બન ડેટિંગ ત્યારે જ થઇ શકે છે જ્યારે તેમાં કાર્બનની માત્રા હોય. રામલલાના વકીલ તરફથી પણ કહેવામાં આવ્યું કે ભગવાનની મૂર્તિની ડેટિંગ થઇ નથી.
ઉલ્લેખનીય છે કે લાકડાની વસ્તુમાં હાજર કાર્બનની માત્રાથી એ કયાસ લગાવી શકાય છે કે તે કેટલી જૂની છે. જેને લઇને સુપ્રીમ કોર્ટમાં ચર્ચા થઇ, કારણે કે મૂર્તિ પથ્થરની બતાવવામાં આવી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન રામલલા વિરાજમાન તરફથી 1990માં લેવામાં આવેલી ફોટો પરથી કહેવામાં આવ્યું કે આ ફોટોમાં દેખાતાં સ્તંભમાં સિંહ અને કમળ ઉપસેલા છે.
આ પ્રકારના ફોટો ક્યારેય ઇસ્લામિક પરંપરાનો ભાગ રહ્યાં નથી. જેના પર જસ્ટિસ ભૂષણે કહ્યું કે 1950માં કમિશન દ્વારા લેવામાં આવેલ ફોટો જે જગ્યા અંગે જણાવી રહ્યાં છે તે 1990માં લેવામાં આવેલ ફોટો કરતા ઘણો સારો અને સ્પષ્ટ દેખાય રહ્યો છે.