રાજસ્થાનના રાજ્યપાલના પદેથી હટ્યા બાદ અને બીજેપીની સદસ્યતા ગ્રહણ કરવાની સાથે જ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહની મુસીબત વધવા લાગી છે. બાબરી મસ્જિદ ધ્વસ્ત કરવાના મામલામાં કલ્યાણ સિંહને આરોપી તરીકે ફરી કોર્ટમાં રજુ કરવા માટે સીબીઆઇએ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
જોકે, આ મામલામાં કલ્યાણ સિંહને અત્યાર સુધી અનુચ્છેદ 351 હેઠળ બંધારણીય પદ પર હોવાને પગલે કાનૂની કાર્યવાહીથી છૂટ મળી હતી. સીબીઆઇની અરજી પર સુપ્રીમ કોર્ટે 19 એપ્રિલ 2017ના દિવસે આદેશ આપ્યો હતો. જેમા કલ્યાણ સિંહ ઉપરાંત આ કેસમાં પૂર્વ ડેપ્યૂટી પીએમ લાલ કૃષ્ણ અડવાણી, બીજેપીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી, પૂર્વ સીએમ ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા, મહંત નૃત્યગોપાલ દાસ, વિનય કટિયાર, સતીશ પ્રધાન, ચંપત રાય બંસલ, વિષ્ણુ હરિ ડાલમિયા, નૃત્ય ગોપાલ દાસ, સતીશ પ્રધાન, આરવી વેદાંતી, જગદીશ મુનિ મહારાજ, બીએલ શર્મા (પ્રેમ), ધર્મ દાસને આરોપી માનતા કેસ ચલાવવાની વાત કહી હતી. કલ્યાણ સિંહને છોડીને બાકી આરોપીઓને કોર્ટથી જામીન મળ્યા છે.
આ તમામ નેતાઓ વિરુદ્ધ અયોધ્યામાં બાબરી ધ્વસ્ત કરવાના ષડયંત્ર રચવાનો આરોપ છે. જે કલમ 120 (બી) હેઠળ ચાલી રહ્યો છે. હવે સીબીઆઇની અપીલ સ્વીકાર કર્યા બાદ કલ્યાણ સિંહને એકવાર ફરી કાનૂની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
કલ્યાણ સિંહ યૂપીમાં નવું પાવર સેન્ટર!
ઉત્તરપ્રદેશમાં બીજેપીની રાજનીતીમાં ગરમાવો આવ્યો છે. જેનુ કારણ છે કલ્યાણ સિંહ. રાજસ્થાનના રાજ્યપાલ રૂપે પોતાના 5 વર્ષ પૂર્ણ કર્યા બાદ એમણે બીજેપીમા વાપસી કરી છે. તેમની વાપસીને એક નવા પાવર સેન્ટરના ઉદય સ્વરૂપે માનવામાં આવી રહ્યું છે. કલ્યાણ સિંહ બેકવર્ડ ક્લાસથી આવતી લોધ રાજપૂત જાતિનું પ્રતિનિધિત્વ કરે છે.
નોંધનીય છે કે 6 ડિસેમ્બર 1992એ અયોધ્યામાં બાબરી મસ્જિદને ધ્વસ્ત કરવા સમયે કલ્યાણ સિંહ યૂપીના મુખ્યમંત્રી હતા. આરોપ છે કે યૂપીના સીએમ રહતા કલ્યાણસિંહે રાષ્ટ્રીય એકતા પરિષદની બેઠકમાં કહ્યું હતું કે તે અયોધ્યામાં વિવાદિત ઢાંચાને કોઇ નુકશાન નહીં પહોચવા દે, પરંતુ કાર સેવા આયોજિત થવા દરમિયાન અયોધ્યામાં મસ્જિદ તોડી પડાઇ હતી. જે બાદ મુખ્યમંત્રી કલ્યાણસિંહે મામલાની જવાબદારી લેતા પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું હતું.