પૂજારી ગૌરીશંકર દાસ અને તેમના સમર્થક પૂજારીઓ બજારમાં ઉતરી પડ્યા હતા અને લાડુના જથ્થાને રોડ પર ફેંકવા લાગ્યા હતા, તેમણે આવા લાડૂ નહી વેચવા વેપારીઓને ધમકાવ્યા પણ હતા.
પ્રસાદ ચઢાવવા બાબતે પૂજારીઓ અને ગાદીપતિ મહંત વચ્ચે વિવાદ સર્જાયો
હાલ કોરોના ગાઈડલાઈન પ્રમાણે મંદિરમાં લાડૂનો પ્રસાદ ચડાવવાનો પ્રતિબંધ
શ્રદ્ધાળુઓ મંદિરમાં ચોરી છૂપી લાડૂનો પ્રસાદ લઈને આવતા હતા
`પ્રસાદ' એક પવિત્ર ચીજ તરીકે આપણી આસ્થા સાથે જોડાયેલો છે. પ્રસાદ હમેંશા ધાર્મિક સ્થળોમાં દેવી દેવતા કે ભગવાનને ધરાવ્યા બાદ શ્રદ્ધાળુઓ વચ્ચે વહેંચવામાં આવે છે. શ્રદ્ધાળુઓ પ્રસાદ આરોગતી વખતે એક કણ પણ જમીન પર વેરાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખે છે. કેમ કે, પ્રસાદ જમીન પર વેરાવો કે કોઈના પગતળે કચડાવો એ આરાધ્ય દેવનું અપમાન ગણાય છે. પરંતુ જ્યારે તમે કોઈ પૂજારીના હાથે જ પ્રસાદ માટેના લાડૂ જમીન પર ફેંકી દેવાના દ્રશ્યો જુઓ તો તમને કેવું લાગે? કદાચ તમને નહીં ગમે પરંતુ વીડિયો અયોધ્યાના હનુમાનગઢી મંદિરથી વાયરલ થયો છે. જ્યાં એક પૂજારીએ જમીન પર પ્રસાદ ફેંડતો વીડિયો વાયરલ થયો છે.
મંદિરમાં લાડૂનો પ્રસાદ ચડાવવા પર પ્રતિબંધ
આ દ્રશ્યો જોઈને આપને થશે કે બજાર વચ્ચે કોઈ ડોન દબંગાઈ કરી રહ્યો લાગે છે, પરંતુ ના આ કોઈ દબંગ લોકો નથી હકીકતમાં આ લોકો તો મંદિરના પૂજારી છે અને એ પણ અયોધ્યા જેવા પ્રવિત્રધામના. વાત એમ છે કે, બુધવારે અયોધ્યા સ્થિત હનુમાન ગઢી મંદિરમાં લાડૂનો પ્રસાદ ચઢાવવા બાબતે પૂજારીઓ અને ગાદીપતિ મહંત વચ્ચે વિવાદ સર્જાયો હતો. આપને જણાવી દઈએ કે હાલ કોરોના ગાઈડલાઈન પ્રમાણે મંદિરમાં લાડૂનો પ્રસાદ ચડાવવાનો પ્રતિબંધ છે. પરંતુ મંદિરના મહંત પ્રેમદાસ આ નિર્ણયથી ખુશ નથી. તેમનું માન રાખવા માટે કેટલાક શ્રદ્ધાળુઓ મંદિરમાં ચોરી છૂપી લાડૂનો પ્રસાદ લઈને આવે છે.
રોડ પર ફેંક્યા લાડુ
આ વાત નિર્વાણી અનિ અખાડા મહાસચિવ ગૌરીશંકર દાસ અને પૂજારીઓનોને ગમતી ન હતી. તેમનો વિરોધ એ વાતનો હતો કે, દુકાનદારોએ કોરોનાકાળમાં જે લાડુ બનાવ્યા હતા તે જ લાડૂ હજુ પણ પ્રસાદ તરીકે વેચી રહ્યા છે. જે લાડુ આરોગ્ય માટે હાનિકારક છે. આથી પૂજારી ગૌરીશંકર દાસ અને તેમના સમર્થક પૂજારીઓ બજારમાં ઉતરી પડ્યા હતા અને લાડુના જથ્થાને રોડ પર ફેંકવા લાગ્યા હતા, તેમણે આવા લાડૂ નહી વેચવા વેપારીઓને ધમકાવ્યા પણ હતા.
મંદિરની સામે પ્રસાદની 100 કરતા વધારે દુકાનો
નિર્વાણી અનિ અખાડા મહાસચિવ ગૌરીશંકર દાસના આવા વલણ સામે વેપારીઓમાં રોષ ભભૂકી ઊઠ્યો છે અને મંદિર સામે જ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. આપને જણાવી દઈએ કે, હનુમાન ગઢી મંદિરની સામે પ્રસાદની 100 કરતા વધારે દુકાનો છે. જેમાં પ્રસાદ માટે વિવિધ પ્રકારના લાડૂ વેચાય છે. આ દુકાનો માંથી હનુમાનગઢી મંદિરમાં રોજ 100થી માંડી 200 ક્વિન્ટલ જેટલા લાડૂ વેચાય છે. મેળા અને ઉત્સવોમાં પ્રસાદના લાડૂનું વેચાણ 1 હજાર ક્વિન્ટલ સુધી પહોંચી જાય છે. ત્યારે હવે પ્રસાદના લાડૂનો ઊભો થયેલો વિવાદ ક્યારે અટકે છે તે જોવું રહ્યું.