અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં આજરોજ ચુકાદો આવી રહ્યો છે. 40 દિવસ સુધી ચાલેલી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે 16 ઓક્ટોબર સુધી ચુકાદાને સુરક્ષિત રાખ્યો હતો. જો કે આ મામલે અલ્હાબાદ હાઇકોર્ટે 2010માં પોતાનો ચૂકાદો આપ્યો હતો. હાઇકોર્ટના આ ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
અલ્હાબાદ હાઇ કોર્ટે 2010માં આપ્યો હતો ચુકાદો
ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો
30 સપ્ટેમ્બર, 2010 અલ્હાબાદ હાઇકોર્ટે અયોધ્યાના વિવાદિત સ્થળને રામ જન્મભૂમિ તરીકે ચૂકાદો આપ્યો હતો. હાઇકોર્ટે 2.77 એકર જમીનના બે ભાગ કરી દીધા હતા. કોર્ટે સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડ તેમજ રામલલા વચ્ચે જમીનનો બરાબર ભાગ કરવાનો આદેશ આપ્યો હતો.
આ કેસ સાથે જોડાયેલ ત્રણ મુખ્ય પક્ષ નિર્મોહી અખાડા, સુન્ની વકફ અને રામલલા વિરાજમાને આ ચુકાદાને માનવાનો ઇનકાર કરી દીધો હતો. હાઇકોર્ટના આ નિર્ણય વિરુધ્ધ સુપ્રીમ કોર્ટમાં 14 અરજી દાખલ કરવામાં આવી. આ મામલો છેલ્લા 9 વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતો.
40 દિવસ સુધી કરાઇ રોજ સુનાવણી
આ મામલે 6 ઓગસ્ટથી સુપ્રીમ કોર્ટમાં રોજ સુનાવણી શરૂ થઇ હતી જે 16 ઓક્ટોબરના રોજ પુરી થઇ. સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની અધ્યક્ષતામાં પાંચ જ્જની બેંચ દ્વારા ચુકાદો સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. આ પીઠમાં ન્યાયમૂર્તિ બોબડે, ન્યાયમૂર્તિ ધનંજય વાઇ ચન્દ્રચુડ, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નજીર હતા.
અયોધ્યામાં ધારા 144 લાગુ
ચુકાદાને ધ્યાનમાં લઇને અયોધ્યામાં ધારા 144 લાગુ કરવામાં આવી છે. અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. અયોધ્યામાં અર્ધસૈનિક દળના 4000 જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે.