વરસાદ શરુ થાય તેની મજા તો અનેરી હોય છે, પરંતુ વરસાદ તેની સાથે અનેક રોગો પણ લાવે છે. તેમાં પેટના રોગો ટોચ પર છે. ચોમાસામાં દુષિત પાણીથી બેક્ટેરિયલ ઇન્ફેક્શન, કોલેરા, ટાઇફોડ અને કમળો જેવા રોગો પણ થતા હોય છે.
ચોમાસામાં ઠેર ઠેર પાણી ભરાય છે. ગટરો છલકાય છે. ઘણીવાર પીવાના પાણીની સાથે દુષિત પાણી પણ ભળી જાય છે. આવું દુષિત પાણી અનેક પ્રકારના રોગો લાવે છે. દુષિત પાણી પીવાના કે રાંધવાના ઉપયોગમાં લેવાય અથવા તેનાથી ફળો અને શાકભાજી ઉગાડાય તો દુષિત પાણીમાં રહેલા જંતુઓ આપણા પેટમાં જાય છે અને ઇન્ફેક્શન થાય છે.
નાના બાળકોથી લઇને મોટા લોકોએ પણ ચોમાસામાં ખુબ જ ધ્યાન રાખવું જોઇએ નહીંતો ભયંકર પરિણામો આવી શકે છે. જો ઇન્ફેક્શન જઠર સુધી પહોંચે તો વ્યક્તિને એસિડિટી, પેટમાં બળતરા કે દુખાવો જેવા લક્ષણો જોવા મળી શકે છે. જો તે આંતરડા સુધી પહોંચ્યુ હોય તો ઝાડાની તકલીફ પણ થઇ શકે છે.
ચોમાસામાં માખી, વંદા અને ઉંદરો કોલેરાને ફેલાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. કોલેરામાં તાત્કાલિક ડોકટરની સારવાર જરુરી બને છે. ટાઇફોઇડના બેક્ટેરિયા પાણીમાં સાત દિવસ સુધી જીવી શકે છે. તે માખી અને વંદા થકી ફેલાય છે.
ટાઇફોઇડમાં તાવ ધીમે ધીમે ચડે છે અને પેટમાં તેમજ સ્નાયુઓમાં અસહ્ય દુખાવો થાય છે. પાણીથી ફેલાતા રોગોમાં કમળો મુખ્ય છે. આ લિવરનો રોગ છે. ચોમાસામાં આ રોગથી બચવા ખુબ કાળજી રાખવી આટલું ધ્યાન રાખો.
- ઘરમાં વોટર ફિલ્ટર વાપરો, રેગ્યુલર સર્વિસ કરાવતા રહો. વોટર ફિલ્ટર ન હોય તો પાણી ઉકાળીને પીવો.
- શાકભાજી અને ફળો વ્યવસ્થિત સાફ કરીને ખાવાનું રાખો, બને તો કાચુ ખાવાનું ટાળો.
- કોઇપણ ખોરાકને અડતા પહેલા એન્ટીબેક્ટેરિયલ સાબુથી હાથ ધુઓ, બાળકોને પણ હેન્ડવોશની આદત પાડો.
- રોડ પર મળતો ખુલ્લો ખોરાક અને ખુલ્લા પીણાં પીવાનું ટાળો
- ચોમાસામાં લારીનો ખોરાક ન ખાવ. આમ તો હોટલનો ખોરાક પણ હિતાવહ નથી.
- ઘરમાં બનાવેલો ખોરાક પણ ખુલ્લો ન રાખો. જો તેની પર માખી બેસે તો તે દુષિત બની શકે છે.