સ્કૂલ છોડ્યા બાદ લોકો કામ પર જવાનું શરૂ કરે છે તો તેમની શારીરિક ગતિવિધિ ઘટી જાય છે. ત્યારબાદ મેદસ્વિતાની સમસ્યા જોવા મળે છે. આવા સંજોગોમાં સૌથી વધુ પરેશાની મહિલાઓએ સહન કરવી પડે છે. તેમનું વજન પુરુષોની સરખામણીમાં વધુ ઝડપથી વધી જાય છે.
એક નવા અભ્યાસમાં સંશોધકોએ દાવો કર્યો છે કે કિશોરાવસ્થા બાદ લોકો યુવાવસ્થામાં પ્રવેશે છે તો ઘણા લોકોમાં વજન વધવા જેવી સમસ્યા જોવા મળે છે, તેનું એક કારણ એ પણ છે કે લોકો પર્યાપ્ત શારીરિક ગતિવિધિ કરી શકતા નથી અને તેમની દિનચર્યા અનિયમિત થઇ જાય છે, તેની સીધી અસર તેમના શરીર પર જોવા મળે છે.
સંશોધકોનું કહેવું છે કે વજન વધવાની સમસ્યા ખાણી-પીણી અને શારીરિક ગતિવિધિના વ્યવહારમાં પરિવર્તનના કારણે આવે છે, જેની અસર યુવાવસ્થા બાદ આખી જિંદગી જોવા મળે છે.
અમેરિકાની કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધક એલેનર વિમ્પનીએ જણાવ્યું કે સ્કૂલ અને કોલેજ પૂરાં કર્યા બાદ જ્યારે લોકો રોજગારી મેળવી લે છે તો તેઓ એટલી શારીરિક ગતિવિધિ કરી શકતા નથી જેટલી શરીરને જરૂર હોય છે.
આવા સંજોગોમાં લોકો પોતાની દિનચર્યામાં બદલાવ ન લાવે તો વજન વધવાની સમસ્યા આજીવન તેમની સાથે રહે છે અને તેની સાથે-સાથે તેઓ અન્ય બીમારી થી ઘેરાવા લાગે છે. તેથી લોકોએ પોતાની જીવનશૈલીમાં સમય સાથે બદલાવ કરવો જોઇએ.