કેન્દ્ર સરકારે લૉકડાઉનના એલાન બાદ તરત જ એટીએમ વિડ્રોલ ચાર્જ અને સેવિંગ્સ એકાઉન્ટમાં એવરેજ મિનિમમ બેલેન્સ (AMB) મેન્ટેન કરવામાં રાહત આપી છે. કેન્દ્ર સરકારની આ છૂટની મુદત 30 જૂનથી ખતમ થઈ રહી છે. હાલ સુધી આ છૂટને આગળ વધારવાને લઈને કોઈ જાણકારી આપવામાં આવી નથી.
30 જૂનથી બદલાશે આ નિયમ
સેવિંગ્સ ખાતાધારકોને અસર કરશે આ નિયમ
3 મહિના માટે એવરેજ મિનિમમ બેલેન્સનો નિયમ થઈ શકે છે બંધ
24 માર્ચે નાણાં પ્રધાને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે કોઈપણ બેંક બચત ખાતામાં ત્રણ મહિના સુધી એવરેજ મિનિમમ બેલેન્સ રાખવું ફરજિયાત રહેશે નહીં. આ નિયમ એપ્રિલ, મે અને જૂન માટે અમલમાં છે. હજી સુધી, નાણાં મંત્રાલય અથવા કોઈ પણ બેંક તરફથી કોઈ સ્પષ્ટતા થઈ નથી કે આ છૂટ આગળ વધારવામાં આવશે કે નહીં. એટલે કે 30 જૂને આ નિયમ પૂર્ણ થવા જઈ રહ્યો છે.
સરકારના આ નિર્ણયનો અર્થ એ હતો કે જો આ ત્રણ મહિના દરમિયાન કોઈ બેંક ખાતામાં સરેરાશ ન્યૂનતમ બેલેન્સ નહીં આવે તો બેંકો દંડ વસૂલ કરી શકશે નહીં. દરેક બેંક તેના પોતાના અનુસાર લઘુત્તમ બેલેન્સ સેટ કરે છે. આ સરેરાશ રકમ દર મહિને ખાતામાં જાળવવી પડે છે. આમ કરવામાં નિષ્ફળતા રહેશે તો બેંક ગ્રાહકો પાસેથી દંડ લે છે. જો કે, જૂનથી આ મુક્તિ લંબાવા અંગે હજી સુધી કોઈ માહિતી બહાર આવી નથી.
SBI નહીં વસૂલે મિનિમમ બેલેન્સ ચાર્જ
કેન્દ્ર સરકારની ઘોષણા પૂર્વે જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યું હતું કે તે તમામ બચત બેંક ખાતાઓ પર સરેરાશ લઘુતમ બેલેન્સની જવાબદારીને હટાવી રહ્યું છે. દેશની સૌથી મોટી બેંકે 11 માર્ચે એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં કહેવામાં આવ્યું છે કે, એસબીઆઈના તમામ 44.51 કરોડ બચત બેંક ખાતાઓ પર સરેરાશ લઘુત્તમ બેલેન્સ નહીં રાખવા માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. અગાઉ મેટ્રો શહેરોમાં એસબીઆઈ બચત ખાતામાં ઓછામાં ઓછા 3,000 રૂપિયા રાખવાનું ફરજિયાત હતું. એ જ રીતે અર્ધ શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે આ રકમ અનુક્રમે રૂ .2000 અને રૂ .1000 હતી. એસબીઆઈ ન્યૂનતમ બેલેન્સ ન રાખવા માટે ગ્રાહકો પાસેથી 5-15 રૂપિયા વત્તા ટેક્સ લેતી હતી.
એટીએમ વિડ્રોઅલ ચાર્જમાં પણ મળી હતી રાહત
એવરેજ મિનિમમ બેલેન્સની સાથે જ કેન્દ્ર સરકારે એેટીએમથી કેશ વિડ્રોલ કરવા માટે પણ ચાર્જથી રાહત આપી છે. નાણાંમંત્રીએ કહ્યું છે કે ડેબિટ કાર્ડ હોલ્ડર્સ 3 મહિના માટે કોઈ પણ બેંકના એટીએમથી કેશ વિડ્રોલ કરી શકે છે. આ માટે તેઓએ કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં. આ સમયે નાણાં રાજ્યમંત્રી અનુરાગ સિંહ ઠાકુરે કહ્યું હતું કે આ નિર્ણય એટલા માટે લેવાયો છે કે કેશ કાઢવા મામટે ઓછામાં ઓછા લોકો બેંક શાખામાં જાય.
પ્રાઈવેટ સેક્ટરની 2 મોટી બેંકની વાત કરીએ તો HDFC અને ICICI મિનિમમ બેલેન્સ અનિવાર્ય રાખી રહ્યા છે. એમ નહીં કરવા માટે તેઓ નક્કી ચાર્જ વસૂલે છે. સરકાર દ્વારા 3 મહિના માટેની છૂટ આ બેંકો પર પણ લાગૂ છે. આ બંને બેંકમાં મિનિમમ બેલેન્સ માટે આવા નિયમો છે.
HDFC બેંકમાં મિનિમમ બેલેન્સ માટે આવો છે નિયમ
જો મેટ્રો અથવા શહેરી વિસ્તારોમાં કોઈ ગ્રાહકે એચડીએફસી બેંકમાં બચત ખાતું ખોલ્યું છે, તો તેમના માટે દર મહિને ઓછામાં ઓછા 10,000 હજાર રૂપિયા તેમના ખાતામાં રાખવું ફરજિયાત છે. તેવી જ રીતે અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આ મર્યાદા અનુક્રમે રૂ. 5000 અને રૂ.2500 છે. ગ્રામીણ વિસ્તારોના બચત ખાતામાં જો કોઈની પાસે રૂ .2,500 નથી, તો પછી એક વર્ષ માટે ઓછામાં ઓછા 10,000 રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ મેળવવી ફરજિયાત છે.
ICICI બેંકમાં મિનિમમ બેલેન્સ માટે આવો છે નિયમ
મેટ્રો અથવા શહેરી વિસ્તારોમાં ICICI બેંકમાં બચત ખાતા માટે 10,000 રૂપિયા રાખવા જરૂરી છે. તે અર્ધ-શહેરી વિસ્તારો માટે 5,000 અને ગ્રામીણ વિસ્તારો માટે રૂ. 2000 છે. કેટલાક સુદુર ગ્રામીણ વિસ્તારોમાં, લઘુત્તમ બેલેન્સ 1000 રૂપિયા સુધી મર્યાદિત છે. લઘુત્તમ બેલેન્સની જાળવણી ન કરવા પર આઈસીઆઈસીઆઈ બેંક મેટ્રો, શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોના ગ્રાહકો પાસેથી 100 રૂપિયા અને જેટલી રકમ ઓછી હોય તેના 5% ચાર્જ લે છે.