આવતીકાલથી લૉકડાઉનના કારણે બેંક એકાઉન્ટના નિયમોમાં જે ફેરફાર કરવામાં આવ્યા હતા તેમાં બદલાવ આવી શકે છે. ઉલ્લેખનીય છે કે માર્ચના છેલ્લા અઠવાડિયામાં લૉકડાઉનની જાહેરાત બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે કરોડો બેંક એકાઉન્ટ હોલ્ડર્સને માટે એક ખાસ જાહેરાત કરી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે કોઈ પણ બેંક સેવિંગ્સ એકાઉન્ટમાં 3 મહિના માટે એવરેજ ન્યૂનતમ બેલેન્સ રાખવાની જરૂર નથી. આ નિયમ એપ્રિલ, મે અને જૂન મહિના માટે લાગૂ કરાયો હતો. હજુ સુધી નાણામંત્રાલય તરફથી આ માટેની કોઈ જાહેરાત કરાઈ નથી કે આ છૂટ ચાલુ રખાશે કે નહીં.
આવતીકાલથી બેંક એકાઉન્ટના નિયમોમાં આવશે ફેરફાર
એવરેજ ન્યૂનતમ બેલેન્સનો નિયમ બદલાશે
નાણામંત્રાલયે આ નિયમ માટેની છેલ્લી તારીખ 30 જૂન રાખી હતી
સરકારના આ નિર્ણયનો અર્થ હતો કે જો આ ત્રણ મહિનાના સમયમાં કોઈ બેંક એકાઉન્ટમાં એવરેજ ન્યૂનતમ બેલેન્સ નથી રહેતો તો બેંક તેની પર પેનલ્ટી વસૂલશે નહીં. દરેક બેંક પોતાની રીતે ન્યૂનતમ બેલેન્સ નક્કી કરે છે. આ એવરેજ રકમને દર મહિને એકાઉન્ટમામં મેન્ટેન કરવાની રહે છે. એવું નથી કે બેંક ગ્રાહકો પાસે તેની પર પેનલ્ટી વસૂલે છે પણ હવે આ છૂટને જૂનથી આગળ વધારાશે કે નહીં તેની કોઈ જાણકારી મળી નથી.
SBI નહીં વસૂલે મિનિમમ બેલેન્સ ચાર્જ
કેન્દ્ર સરકારની જાહેરાત પહેલાં જ ભારતીય સ્ટેટ બેંકે કહ્યું કે તે દરેક સેવિંગ્સ બેંક એકાઉન્ટ પર એવરેજ ન્યૂનતમ બેલેન્સનો નિયમ ખતમ કરી રહ્યું છે. દેશના આ સૌથી મોટા બેંકે 11 માર્ચે જાહેર કર્યું હતું કે બેંકના દરેક 44.51 કરોડ સેવિંગ્સ બેંક એકાઉન્ટ પર ન્યૂનતમ બેલેન્સ નહીં રાખવા માટે કોઈ ચાર્જ લેવાશે નહીં. આ પહેલાં મેટ્રો શહેરોમાં પણ એસબીઆઈ સેવિંગ્સ એકાઉન્ટમાં મિનિમમ 3000 રૂપિયા રાખવાનું જરૂરી હતું. આ પ્રકારે અર્ધ શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં આ રકમ ક્રમશઃ 2000 અને 1000 રૂપિયા હતી. મિનિમમ બેલેન્સ ન રાખવા માટે એસબીઆઈ ગ્રાહકોને 5-15 રૂપિયા અને ટેક્સ વસૂલતું હતું.
ATM વિડ્રોઅલ ચાર્જથી પણ મળી હતી રાહત
એવરેજ ન્યૂનતમ બેલેન્સની સાથે કેન્દ્ર સરકારે એટીએમથી કેશ વિડ્રોઅલ પર લાગનારા ચાર્જથી રાહત આપી હતી, નાણામંત્રીએ કહ્યું કે ડેબિટ કાર્ડ હોલ્ડર્સ 3 મહિના માટે કોઈ પણ એટીએમથી કેશ વિડ્રોઅલ કરી શકે છે. આ માટે તેમને કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં. આ માટે નાણા રાજ્યમંત્રી અનુરાગસિંહ ઠાકુરે કહ્યું હતું એ આ નિર્ણય એટલા માટે લેવાયો છે કે કેશ કાઢવા માટે ઓછામાં ઓછી સંખ્યામાં લોકો બેંકની શાખાઓમાં જાય.
આ 2 બેંકો વસૂલે છે ચાર્જ
પ્રાઈવેટ સેક્ટરની 2 મોટી બેંકની વાત કરીએ તો HDFC Bank અને ICICI Bank મિનિમમ બેલેન્સ અનિવાર્ય રાખે છે. આમ ન કરવા માટે તે ગ્રાહકો પાસે એક નક્કી ચાર્જ વસૂલે છે. સરકાર દ્વારા 3 મહિનાની છૂટ આ બેંકો પર પણ લાગૂ છે. આ બંને બેંકોમાં મિનિમમ બેલેન્સ માટે આવા નિયમો છે.
HDFCમાં મિનિમમ બેલેન્સનો આ છે નિયમ
જો મેટ્રો કે શહેરી વિસ્તારમાં કોઈ ગ્રાહકે HDFC બેંકમાં સેવિંગ્સ એકાઉન્ટ ખોલ્યું છે તો તેણે પોતાના એકાઉન્ટમાં ઓછામાં ઓછા 10,000 રૂપિયા રાખવા જરૂરી છે. આ પ્રકારે અર્ધ શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં આ લિમિટ ક્રમશઃ 5000 અને 2500 રૂપિયાની રાખવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારમાં સેવિંગ્સ એકાઉન્ટમાં જો કોઈ 2500 રૂપિયા ન રાખે તો તેને એક વર્ષમાં એક દિવસ માટે ઓછામાં ઓછા 10,000 રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝીટ કરાવવી જરૂરી રહે છે.
ICICIમાં આવો છે નિયમ
મેટ્રો કે શહેરી વિસ્તારમાં ICICI બેંકમાં સેવિંગ્સ એકાઉન્ટ માટે આ બેલેન્સ 10,000 રૂપિયાનું છે. અર્ધ શહેરી વિસ્તારમાં તે 5000 રૂપિયા અને ગ્રામીણમાં 2000 રૂપિયા છે. ગ્રામીણ વિસ્તારમાં મિનિમમ બેલેન્સની લિમિટ 1000 રૂપિયા છે. મિનિમમ બેલેન્સ મેન્ટેન ન કરવા માટે બેંક મેટ્રો, શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં ગ્રાહકો પાસે 100 રૂપિયાની રકમ અને તેનો 5 ટકા ચાર્જ પણ વસૂલે છે.