વિકેટકીપર-બેટ્સમેન પાર્થિવ પટેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનાં બધાં ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ૧૭ વર્ષની નાની ઉંમરે ડેબ્યૂ કરનારા આ અમદાવાદી ક્રિકેટરની કરિયર ૧૮ વર્ષ લાંબી રહી.
ગઈ કાલે પાર્થિવે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી. તેની પત્ની અવની પટેલે પણ પતિના આ નિર્ણયમાં સાથ આપતાં ટ્વિટર એક સ્પેશિયલ મેસેજ લખ્યો છે, ''ડિયર હસબન્ડ, મને વિશ્વાસ નથી થતો કે એ દિવસ આવી ચૂક્યો છે. હું જાણું છું કે કેટલું મુશ્કેલ છે ક્રિકેટને અલવિદા કહેવું... અમારા માટે પણ.''
"હું એ બધાં વીકએન્ડ અને રજાઓને જોઈ રહી છું, જેને સાથે વિતાવવાનાં આપણે બંનેએ સપનાં જોયાં હતાં"
વધુમાં અવનીએ લખ્યું છે, ''અમને ગર્વ છે કે તમે જે પણ કામ કર્યું છે, તમારા જેવી વ્યક્તિ હોય અને તમે જે ફર્ક લાવ્યા છો. હું આશા રાખું છું કે તમને આ નવી સફરમાં સફળતા અને ખુશી મળે. તમને ભવિષ્યમાં ઘણી તકો મળશે. તમે જે ઇચ્છશો તે કરી શકશો. હું એ બધાં વીકએન્ડ અને રજાઓને જોઈ રહી છું, જેને સાથે વિતાવવાનાં આપણે બંનેએ સપનાં જોયાં હતાં. તમારા દરેક નિર્ણય અને દરેક લક્ષ્યમાં હું તમારી સાથે જ છું.''
ગઈ કાલે નિવૃત્તિ જાહેર કરતી વખતે પાર્થિવ પટેલે બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો ખાસ આભાર માન્યો હતો. સૌરવે વળતી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું, ''પાર્થિવ હંમેશાં એક ટીમ મેનની જેમ રમ્યો છે અને તે ભારતીય ક્રિકેટનો શાનદાર એમ્બેસેડર રહ્યો છે. ૧૭ વર્ષની ઉંમરે જ્યારે તેણે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું ત્યારે તેની કેપ્ટનશિપ કરવા મારા માટે સારી વાત હતી. તેની મહેનતે તેને આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ક્રિકેટમાં ઘણું નામ અપાવ્યું છે. હું તેને શાનદાર કરિયર માટે શુભેચ્છા પાઠવવા ઇચ્છું છું અને ભવિષ્ય માટે શુભકામનાઓ. રણજી ફાઇનલમાં તેણે જે પ્રદર્શન કર્યું હતું અને ગુજરાતને પહેલી વાર ખિતાબ અપાવ્યો હતો તેને ગુજરાત હંમેશાં યાદ રાખશે. બીસીસીઆઈ પાર્થિવને તેની સફળ સફર માટે શુભેચ્છા પાઠવે છે.''