સિવિલની બી.જે. મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગના 18 ડોક્ટરોની ટીમે 31 લોકોના મૃતદેહ પર કોરોના અસરનો કર્યો હતો અભ્યાસ
અમદાવાદમાં કોરોનાની અસર અંગે અભ્યાસ
31 લોકોના મૃતદેહ પર કરાયો અભ્યાસ
બી.જે. મેડિકલ કોલેજના 18 ડોક્ટરોની ટીમે કર્યો અભ્યાસ
અમદાવાદમાં સિવિલની બી.જે. મેડિકલ કોલેજમાં કોરોનામાં મૃત્યુ પામેલા 31 લોકોના મૃતદેહ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. બી.જે. મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગના 18 ડોક્ટરોની ટીમે કોરોનાની અસર અંગે અભ્યાસ કર્યો હતો. આ ઓટોપ્સીમાં 50 ટકાને ગંભીર પ્રકારનું બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ફેફસાં પથ્થર જેવા કઠણ થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે. 67 ટકા 60 વર્ષથી વધુના અને વિવિધ રોગથી પીડિત અને 33 ટકા 60થી ઓછી વયના લોકોના રિપોર્ટમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. મૃત્યુ પામેલા 31 લોકોમાંથી માત્ર 3 લોકોએ જ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. જો રસીના બંને ડોઝ લીધા હોત તો 31 લોકો બચી ગયા હોત તેવો ડોક્ટરોએ દાવો કર્યો છે.
ઓટોપ્સીના તારણો
67 ટકા 60 વર્ષથી વધુના અને કો-મોર્બિડ
87 ટકામાં હાયપરટેન્શન ડાયબિટીસ હ્રદયરોગ જેવી કો-મોર્બિડિટી
60થી 70 ટકામાં લોહીની નળીમાં લોહીના ગઠ્ઠા
50 ટકાને ફંગલ-બેક્ટેરિયલ ઇન્ફેક્શન
76 ટકાના ફેફસા કઠણ અને 70 ટકાના ફેફસાનું વજન બમણું
24 ટકાને હ્રદયની તકલીફ, 30 ટકાને બ્રોન્કાઇટિસ
શેના સેમ્પલ લેવાયા હતા
મહત્વનું છે કે ઓટોપ્સીના સ્ટડી પ્રોટોકલ ‘ઇફેક્ટ ઓફ કોવિડ ઓન રેસ્પિરેટરી એન્ડ કાર્ડિયો વાસ્ક્યુલર સિસ્ટમ’ હતી, જેમાં લોહીના ગઠ્ઠા ક્યાં થાય છે એનો સ્ટડી કરવા ફેફસાં, હૃદય તેમજ પગની પિંડીના સ્નાયુના સેમ્પલ લેવાયાં હતાં. કોવિડના ટેસ્ટિંગ માટે આરટી-પીસીઆર અને બેક્ટેરિયલ-ફંગલ ઇન્ફેક્શન માટે સ્વોબ લેવાયા હતા.
રસી કેટલી મહત્વની
મહત્વનું છે કે 3 એસોસિયેટ પ્રોફેસર, 4 ટ્યૂટર, 1 આસિસ્ટન્ટ પ્રોફેસર અને રેસિડેન્ટ ડોક્ટર્સ મળીને 18 લોકોની ટીમ બનાવી હતી. ઓટોપ્સીમાં 6 સભ્યની ટીમ ઉપરાંત દર્દીના સગાના કાઉન્સેલિંગથી લઇને ડેડબોડીમાંથી સેમ્પલ લઇને ડેડબોડી ડિસઇન્ફેક્ટ કરી સગાને પરત કરવા સહિતની કામગીરી કરાઈ હતી. આ સંશોધન પરથી ડોક્ટરોનું કહેવુ છે કે જો રસીના બંને ડૉઝ લીધા હોત તો આ દર્દીઓ કદાચ બચી ગયા હોત.