રાજકોટમાં કોરોનાની સ્થિતિ વણસતી નજરે પડી રહી છે. ગત 24 કલાકમાં રાજકોટમાં 151 નવા કોરોનાના કેસ નોંધાયા છે, જેને લઇને કુલ આંકડો 5664 પર પહોંચ્યો છે. જ્યારે 94 દર્દીઓ સાજા થયા છે. તો રાજકોટમાં 1 દર્દીના મોત સાથે કુલ આંકડો 101 પર પહોંચ્યો છે. ત્યારે તંત્ર દ્વારા આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા હોવાના આરોપો લાગી રહ્યા છે. તો સિવિલ હોસ્પિટલે મૃત્યુના આંકડાઓ પણ આપવાનું બંધ કર્યું છે. તેવામાં હવેથી કોરોનાગ્રસ્ત દર્દીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થશે.
ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટમાં કોરોનાગ્રસ્ત મૃતદેહની પેથોલોજીકલ ઓટોપ્સી કરવામાં આવશે. કોરોનાગ્રસ્ત દર્દીના શરીર પર રિસર્ચ કરી સારવારની પધ્ધતિમાં બદલાવ કરી શકાય તે માટે ઓટોપ્સી શરૂ કરી છે. રિસર્ચ દ્વારા આ વાયરસ શરીરમાં કેટલા પ્રમાણમાં અને ક્યાં ક્યાં કેવી અસર કરે તે જાણી શકાશે. પોસ્ટમોર્ટમથી વાયરસની તીવ્રતા અને અસરનો અભ્યાસ કરાશે. પરિવારજનોની સંમતિ લઇને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
કોરોનાની માનવ શરીર પર શું અસર થાય છે? તે અંગે થશે તપાસ
કોવિડ હોસ્પિટલ એડિ. સુપ્રીટેન્ડન્ટ ડૉ. હેતલ કાપડિયાએ જણાવ્યું હતું કે, કોવિડ 19 એક નવા પ્રકારની બીમારી છે. જેની માનવ શરીર પર શું અસર થાય છે? તેના વિસ્તૃત જ્ઞાન અને તેના સંશોધનના ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારની સુચના અને માર્ગદર્શન હેઠળ ફોરેન્સિક મેડિસીન વિભાગ દ્વારા આ ચેપી રોગના વાયરસ દ્વારા જેનું મૃત્યુ થાય છે તેનું મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. જેના દ્વારા જાણી શકાશે કે માનવ શરીર પર થતી અસરો તથા તેને અટકાવવાના ઉપાયો જાણી શકાશે. આ ઉપાયો વડે અન્ય દર્દીની સારવાર માટેના પગલાં વધુ સુદ્રઢ બનાવી શકાશે. કોરોના મહામારીને રોકવાના જે પ્રયાસો થઈ રહ્યા છે, તેના માટે આ મંજૂરી માઈલસ્ટોન સાબિત થશે.
દેશમાં ભોપાલ બાદ ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટને મંજૂરી અપાઇ
ડૉ. હેતલે જણાવ્યું કે, કોરોનાના કારણે જેનું મૃત્યુ થયું હોય તેના પરિવારજનોની મંજૂરી વિના આ કાર્ય શક્ય નથી. જે પરિવાર આ માટે આગળ આવશે તેમના સ્વજનના કોરોનાગ્રસ્ત મૃતદેહમાંથી જરૂરી સેમ્પલ લઈ તેના પરીક્ષણ બાદ તે મૃતકના સગા તથા બીજા કોઈને ચેપ ફેલાઈ નહીં તે માટે સરકારની માર્ગદર્શિકા અનુસાર તેની અંતિમવિધિ સંસ્થાની ડેડ બોડી મેનેજમેન્ટ કમિટી દ્વારા કરવામાં આવશે. અત્યાર સુધીમાં ભારતભરમાં એઈમ્સ ભોપાલ ખાતે માત્ર એક જ મૃતદેહની પેથોલોજિકલ ઓટોપ્સી કરવામાં આવી છે. ત્યારબાદ ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટને મંજૂરી આપવામાં આવી છે.