ઓટો કંપનીઓના નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરી છે કે ચીનમાં કોરોના વાયરસના ફાટી નીકળવાના કારણે સંકટ વધુ તીવ્ર થઈ શકે છે. આની અસર વિશ્વભરની ઓટો કંપનીઓ પર પડી શકે છે અને ઉત્પાદન બંધ પણ થઈ શકે છે. આ નિષ્ણાતોની ચિંતા ત્યારે વાસ્તવિકતામાં ફેરવાઈ જ્યારે કિયા મોટર્સએ દક્ષિણ કોરિયામાં તેની ત્રણ ફેક્ટરીઓની તમામ પ્રોડક્શન લાઇનો બંધ કરવાની જાહેરાત કરી.
કિયા મોટર્સના પ્રવક્તાએ કહ્યું કે ચીન તરફથી આવતા વાયરનો ઉપયોગ તેમની કારમાં થાય છે, પરંતુ આ વાયર હવે આવી રહ્યા નથી, તેથી તેનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ હ્યુન્ડાઇ મોટર્સે પણ દક્ષિણ કોરિયામાં માલની અછતને કારણે ઉત્પાદન બંધ કરી દીધું હતું.
નોંધનીય છે કે ઓટો સેક્ટર માં 100% સાધનો ઉપલબ્ધ હોય ત્યારે જ કાર બની શકે. જો એક પણ ભાગ ઉપલબ્ધ ન હોય તો આખી પ્રોડકશન લાઈન ખોટકાઈ જાય. ચીનથી આવતા સાધનો પર ઓટો સેક્ટરની કંપનીઓ અવલંબિત છે. આ સ્થિતિમાં ઉત્પાદન બંધ થવાનું જોખમ તોળાઈ રહ્યું છે.
ચાઇના વિશ્વભરમાં ઓટો ઉદ્યોગને મોટા પાયે માલ પૂરો પાડે છે. 2018માં લગભગ 35 અબજ ડોલરનો માલ ચીન વડે નિકાસ થયો. આ ભાગો ફક્ત નવી ગાડીઓ માટે જ નહીં પણ ગાડીઓના સમારકામ માટે પણ વપરાય છે. સેન્ટર ફોર ઓટોમોટિવ રિસર્ચનાં વાઇસ પ્રેસિડેન્ટ ક્રિસ્ટીન ડિજિઝેક કહે છે કે જો સપ્લાઇ ઓછો થઈ જાય, તો તેનું રિપ્લેસમેન્ટ બિલકુલ સરળ નથી.
ઘણી કાર કંપનીઓએ તેમનો શટડાઉન પિરિયડ વધાર્યો છે. નિસાન અને PSC જેવી મોટી કંપનીઓએ શુક્રવાર સુધી ફેક્ટરી બંધ રાખવાની ઘોષણા કરી છે. એટલું જ નહીં, ફોક્સવેગન, BMW, ટોયોટા અને હોન્ડાએ કહ્યું છે કે તેઓ આવતા અઠવાડિયે તેમની ફેક્ટરી ખોલવાની યોજના બનાવી રહ્યા છે. ફ્રેન્ચ કારના ભાગોનું ઉત્પાદન કરતી વાલિયોએ કહ્યું છે કે વુહાનમાં તેની ત્રણ ફેક્ટરીઓ ઓછામાં ઓછી 13 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે.
WHOએ હાલમાં ચિંતાજનક સમાચાર આપતા જણાવ્યું હતું કે એવા લોકોમાં પણ વાયરસ દેખાઈ રહ્યો છે જેઓ કદી ચીન ન ગયા હોય. અર્થાત વાયરસ ચિંતાજનક રીતે આગળ વધી રહ્યો છે.
WHOએ આ મહામારી સામે લડવા માટે 67 કરોડ ડોલરનું ભંડોળ એકઠું કરવાનો ધ્યેય રાખ્યો છે. WHOએ આ મહામારી સામે દર્દીઓનો ઈલાજ કરતા તમામ ડોક્ટર અને નર્સોનો હાર્દિક આભાર માન્યો છે.
જાપાનના કાંઠે ઉભેલા ક્રુઝમાં લગભગ ત્રણ હજાર મુસાફરો અને ક્રૂ માં નાની સંખ્યામાં ભારતીયો ફસાયેલા છે. આ જહાજને હમણાં પૂરતું પાણીમાં રહેવાનું કહેવામાં આવ્યું છે અને કોરોના વાયરસના ભયથી તેમને નીચે આવવા દેવામાં આવ્યા નથી. સોમવાર સુધીમાં આ જહાજના 130 મુસાફરોમાં કોરોના વાયરસ ચેપ લાગ્યો છે.