મોટર વિહિકલ એક્ટમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ કરવામાં આવતા દંડમાં 400થી 900 ટકાનો વધારો કરવાના આકરા દંડની જોગવાઈ પરત ખેંચવાની માગ સાથે રિક્ષાચાલકોએ આજના દિવસે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. ઓટોરિક્ષા એસોસીએશન દ્વારા આજે એક દિવસની હડતાળની જાહેરાત કરવામાં આવી છે, જેને આજે મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.
અમદાવાદ રેલવે સ્ટેશન પર પણ મોટા ભાગની રિક્ષાઓ ચાલુ રહી
રજિસ્ટર્ડ અને નોન રજિસ્ટર્ડ યુનિયનના મતભેદ અને ખેંચતાણને કારણે રસ્તા પર રિક્ષાઓ મોટી સંખ્યામાં રાબેતા મુજબ દોડતી જેવા મળતાં નાગરિકોને હાશકારો થયો છે.
યુનિયનનો વિખવાદને કારણે હડતાળ નિષ્ફળ
ગુજરાત ઓટોરિક્ષા ડ્રાઈવર કમિટી અને તેની સાથે જોડાયેલાં અન્ય રિક્ષા એસોસીએશનની મળેલી મિટિંગમાં એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે સરકાર દ્વારા રિક્ષાચાલકોની માગ નહીં સ્વીકારાતાં અમદાવાદમાં ૩ સપ્ટેમ્બર ગુરુવારના રોજ બે લાખ કરતાં વધારે રિક્ષાચાલકો હડતાળ કરશે. આ બાબતે શહેરના ત્રણ યુનિયન ઓટો રિક્ષાચાલક વેલ્ફેર એસોસીએશન, અમદાવાદ ઓટોરિક્ષા ડ્રાઇવર યુનિયન અને અમદાવાદ રિક્ષાચાલક સંઘર્ષ સમિતિ આ ત્રણેય યુનિયન આજની હડતાળમાં જોડાયા નહીં હોવાનું યુનિયન લીડર રાજ શિરકેએ જણાવ્યું હતું.
સ્કૂલ રિક્ષા એસોસિએશન રહ્યુ અળગુ
આજની હાડતાળમાં સ્કૂલ રિક્ષા એસોસીએશન જોડાયું નથી. એથી શાળાએ જતી તમામ રિક્ષાઓ ચાલુ રહી છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર પણ મોટા ભાગની રિક્ષાઓ ચાલુ રહી છે. કેટલાક રિક્ષાવાળાઓ વર્ધી લેવાની ના પાડી રહ્યા છે, પરંતુ એકંદરે હડતાળના મિશ્ર પ્રતિસાદે લોકોને મુશ્કેલીમાં આવતાં અટકાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં પણ રિક્ષાચાલકોએ પણ નવા ટ્રાફિક નિયમોમાં કરવામાં આવેલી દંડની જોગવાઈ સામે વિરોધ નોંધાવ્યો હતો. સરકાર દ્વારા અન્ય વાહનોના દંડની રકમમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેવી જ રીતે રિક્ષાના દંડમાં ઘટાડો કરવાની માગ કરી હતી. રિક્ષા યુનિયનોમાં એકતાના અભાવે લોકોને ફાયદો થયો છે અને લોકોને
રિક્ષાના બદલે અન્ય વિકલ્પ શોધવાનું ટળ્યું છે.