અમદાવાદ રિક્ષા ચાલક એસોસિએશન સહિત 7 યુનિયન હડતાળમાં જોડાયા છે. 2 લાખથી વધુ રિક્ષા ચાલકો આ હડતાળમાં જોડાયા છે. જો આ હડતાળ પછી પણ સરકાર કંઈ પગલા નહીં લે તો રિક્ષા એસોસિએશન દ્વારા ફરીથી 10મી તારીખે આંદોલનની ચીમકી આપી છે.
રોજની આવક કરતા દંડની રકમ મોટી હોવાને કારણે વિરોધ
અગાઉની માંગણીઓ પેન્ડિંગ છે ત્યાં નવી રામાયણ
10મી એ આંદોલન કરવાની આપી છે ચીમકી
છેલ્લા બે વર્ષથી અમદાવાદના રીક્ષા ચાલકો વિવિધ પ્રશ્નોને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે અને રજૂઆતો કરી રહ્યા છે. ત્યારે નવા ટ્રાફિક નિયમ આવતા રીક્ષા ચાલકોની સમસ્યા વધી હોવાના રીક્ષા ચાલકોના આક્ષેપ છે. જે આક્ષેપ સાથે રીક્ષા ચાલકો અને રીક્ષા એસોસિએશન દ્વારા સ્વયંભૂ બંધનું એલાન કરાયું છે. જેને લઈને સ્કૂલ વર્ધિ રીક્ષા સાથે 2 લાખ કરતા વધુ રીક્ષાના પૈડાં થંભી જશે.
આવક કરતા દંડની રકમ વધારે
રીક્ષા ચાલકોના વિવિધ એસોસિએશનની માંગ છે કે નવા ટ્રાફિક નિયમ આવતા દરરોજ કમાઈને દરરોજ ખાનારા તેઓને વધુ દંડ કરવામાં આવી રહ્યો છે. જે દંડ તેમની કમાણી સામે બમણાથી પણ વધુ છે. જે દંડ રીક્ષા ચાલકોને પરવડી શકે તેમ નથી. જેની અગાઉ મુખ્યમંત્રી સુધી પણ રજુઆત કરવામાં આવી છે. જો કે તેમ છતાં પણ રીક્ષા ચાલકોને વધુ દંડ કરવામાં આવી રહ્યો છે, જેથી 2 લાખ રિક્ષા ચાલકોના મોટા ભાગના એસોસિએશને સ્વયંભુ બંધ પાડીને વિરોધ નોંધાવવાનો નિર્ણય કર્યો છે
બીજા રિક્ષા ચાલક બંધ નહી પાળે તો ગુલાબનું ફૂલ આપી સહકારની વિનંતી
રિક્ષા ચાલક રસ્તા પર રિક્ષા લઈને દેખોશે તો તેને અન્ય રિક્ષા ચાલક ગુલાબનું ફુલ આપીને તેઓને સહકાર આપવા વિનંતી કરશે રિક્ષા ચાલકો તેમની પડતર માંગણીઓને લઈને પણ છેલ્લા 2 વર્ષથી લડત ચલાવી રહ્યા છે, જે માંગણી પણ ન સંતોષાતા અને તેમાં નવા ટ્રાફીક નિયમનો માર વાગવાના આક્ષેપ સાથે વિવિધ રિક્ષા એસોસીએશન દ્રારા આ નિર્ણય કરાયો છે.
ક્યાં સુધી રહેશે હડતાળ
આજે સાંજે 6 વાગ્યા સુધી રિક્ષા ચાલકોની હડતાળ રહેશે. નવરાત્રીને કારણે શહેરીજનોને હાલાકી ન પડે માટે સાંજે 6 વાગ્યા બાદ રિક્ષા ચાલુ રાખવા માટે પણ એસોસિએશન દ્વારા નિર્ણય કરાયો છે, સાથે જ સ્વયંભુ બંધ છતાં જો કોઈ નિવેડો નહી આવે તો એસોસિએશન દ્વારા આગામી 10 તારીખે ગુજરાતમાં રિક્ષા બંધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.