ઓટો સેક્ટરમાં મંદીની અસર આ ક્ષેત્રમાં કામ કરનારા લોકો પર પડવાની છે. ઓટો પાર્ટ્સ મેન્યુફેક્ચર્સે ચેતવણી આપી છે કે જો ઓટો સેક્ટરમાં મંદી બની રહે છે તો લગભગ 10 લાખ લોકોની નોકરી જઇ શકે છે. મેન્યુફેક્ચર્સે સરકારને જીએસટીના દરમાં ઘટાડો કરી 18 ટકાના એક સમાન દરથી લાગૂ કરવાની માંગ કરી છે.
ટેલીગ્રાફની એક રિપોર્ટ મુજબ ઓટોમેટિક કંપોનેન્ટ મેન્યુફેક્ચર્સ અસોસિએશન (ACMA) ના અધ્યક્ષ રામ વેન્કટરમાનીએ કહ્યું કે ઓટોમેટિવ ઇન્ડસ્ટ્રી અભૂતપૂર્વ મંદીનો સામનો કરી રહી છે. તેનું કારણ તમામ સેગમેન્ટમાં વાહનોના વેચાણમાં ઘટાડો થવો છે. ગત કેટલાય મહીનાથી વાહનોના વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
એસીએમએના અધ્યક્ષ વેંકટરમાનીએ કહ્યું કે ઓટો કંપોનેન્ટ વાહન ઉદ્યોગ પર નિર્ભર છે. આ સંકટની સ્થિતિમાં 15-20 ટકા ઉત્પાદનમાં ઘટાડો કરવામાં આવી ચૂક્યો છે. જો આ હાલત રહી તો લગભગ 10 લાખ લોકોએ નોકરીથી હાથ ધોવા પડશે. ACMAએ આખા વાહન ઉદ્યોગમાં 18 ટકાના સમાન દરથી જીએસટી દર લાગૂ કરવાની માંગ કરી છે.
વાહન ઉદ્યોગમાં ગત 10 મહીનાના વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વર્તમાનમાં 70 ટકા વાહનના ઓટો કંપોનેન્ટ 18 ટકા જીએસટી સ્લેબના અંતર્ગત આવે છે. જોકે, બાકીના 30 ટકા જીએસટીના 28 ટકા સ્લેબમાં આવે છે. આ ઉપરાંત ઓટોમોબાઇલ્સ પર જીએસટીનો દર 28 ટકા છે. આ ઉપરાંત 1થી લઇને 15 ટકા સેસ પણ આપવો પડે છે.
આ સેસ વાહનની લંબાઇ, એન્જિનની ક્ષમતા અને તેના પ્રકાર પર આધારે નક્કી થાય છે. વેંકટરમાનીએ કહ્યું કે અસોસિએશનના સભ્યો સાથે વાતચીત બાદ સામે આવ્યું છે કે ગત 10 મહીનામાં 10-15 ટકા લોકોની નોકરીઓ ગઇ છે. જ્યારે 20 ટકા ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જેની અસર નોકરીઓ પર પડશે. વેંકટરમાનીએ કહ્યું કે ઓટો કંપોનેન્ટ બનાવવામાં 70 ટકા ટેક્નિશિયન (કારીગર) કોન્ટ્રાક્ટના આધારે કામ કરે છે.
10 હજાર લોકોની છટણીની જાહેરાત
જાપાનની વાહન નિર્માતા કંપની નિસાને બુધવારે દુનિયાભરમાં કંપનીમાં કામ કરતા 10000થી વધારે લોકોની છટણીની જાહેરાત કરી છે. કંપની તરફથી આ નિર્ણય વર્ષની થર્ડ ક્વાર્ટરમાં ઓપરેટિંગ પ્રોફિટ ઓછો થવાને કારણે લેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપની પોતાની યોજનાઓ અનુસાર કામ કરવામાં સંઘર્ષ કરી રહી છે.