ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે મેલબોર્ન ખાતે ત્રણ મેચની શ્રેણીની અંતિમ વન ડે મેચ રમાઇ રહી છે. ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરુધ્ધ ત્રીજી વન ડે મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો. જો કે મેલબર્નમાં વરસાદી વાતાવરણ છે.
ભારતીય ટીમમાં એડિલેડ વન ડેની સરખામણીમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યાં છે. વિરાટ કોહલીએ ઓલરાઉન્ડર વિજય શંકરને ડેબ્યુની તક આપી છે. તે સિવાય અંતિમ ઇલેવનમાં યજુવેન્દ્ર ચહલ અને કેદારનાથનો સમાવેશ કર્યો છે.
વિજય શંકરનો મોહમ્મદ સિરાજના સ્થાને જ્યારે કેદાર જાધવનો અંબાતી રાયડુ અને ચહલને કુલદીપ યાદવની જગ્યાએ અંતિમ ઇલેવનમાં સમાવેશ કર્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયા પણ પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા છે.
નાથન લિયોનની જગ્યાએ ટીમમાં એડ જંપા જ્યારે પીઠ દર્દની સમસ્યાના કારણે ફાસ્ટ બોલર જેસન બેહરનડોર્ફની જગ્યાએ બિલી સ્ટાનલેકનો સમાવેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ત્રણ વન ડે મેચની શ્રેણીમાં બંને ટીમ 1-1 મેચ જીતી ચુકી છે.
ઓસ્ટ્રેલિયાએ સીડની ખાતે રમાયેલ પ્રથમ મેચમાં ભારતને 34 રને પરાજય આપ્યો હતો. જ્યારે ભારતે એડીલેડ ખાતે રમાયેલ બીજી વન ડે મેચને 6 વિકેટે જીતી શ્રેણીમાં વાપસી કરી હતી.