વન ડે શ્રેણી ગુમાવ્યા બાદ હવે ટી-૨૦માં ટીમ ઇન્ડિયા સામે ઓસ્ટ્રેલિયાનો પડકાર હશે. બંને ટીમ વચ્ચે આવતી કાલથી ત્રણ મેચની ટી-૨૦ શ્રેણીનો પ્રથમ મુકાબલો કેનબરામાં રમાશે.
ટી-૨૦માં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. છેલ્લાં ૧૨ વર્ષથી ભારત ઓસ્ટ્રેલિયાની ધરતી પર શ્રેણી હાર્યું નથી.
આ પહેલાં ફેબ્રુઆરી-૨૦૦૮માં ટીમ ઇન્ડિયાનો ઓસ્ટ્રેલિયાની ધરતી પર હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લે ૨૦૧૮માં જ્યારે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો ત્યારે પણ શ્રેણી ૧-૧થી બરોબર રહી હતી, જ્યારે ચાર વર્ષ પહેલાં ભારતે કાંગારું ટીમનો ૩-૦થી સફાયો કરી નાખ્યો હતો. એ ટીમનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હતો.
અત્યાર સુધીમાં કુલ આઠ ટી-૨૦ શ્રેણી રમાઈ ચૂકી
બંને દેશ વચ્ચે અત્યાર સુધીમાં કુલ આઠ ટી-૨૦ શ્રેણી રમાઈ ચૂકી છે, જેમાં ભારતે ત્રણ અને ઓસ્ટ્રેલિયાએ બે શ્રેણી જીતી છે, જ્યારે ત્રણ શ્રેણી ડ્રો રહી છે. ઓવરઓલ મેચની વાત કરવામાં આવે તો બંને ટીમે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી દ્વિપક્ષી શ્રેણીમાં એકબીજા સામે કુલ નવ મેચ રમી છે, જેમાંથી ભારતને પાંચમાં અને ઓસ્ટ્રેલિયાને ફક્ત ત્રણ મેચમાં જીત મળી છે, જ્યારે એક મેચનું પરિણામ આવી શક્યું નહોતું.
વિરાટ કોહલી પર ટી-૨૦ શ્રેણીમાં ભારતીય બેટિંગનો આધાર
વન ડે શ્રેણી બે અર્ધસદી ફટકારનારા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પર ટી-૨૦ શ્રેણીમાં પણ ભારતીય બેટિંગનો આધાર રહેશે. કોહલીએ ટી-૨૦ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા સામે વધુ સરેરાશથી રન બનાવ્યા છે. કોહલીએ કાંગારું ટીમ સામે ૧૬ મેચમાં ૬૪.૮૮ની સરેરાશથી ૫૮૪ રન ફટકાર્યા છે. કોહલી બાદ યુવરાજસિંહ, ધોની, ધવન અને રોહિત શર્માનો નંબર આવે છે.
કોહલી ઉપરાંત આઇપીએલમાં શાનદાર ફોર્મમાં રમેલા કે. એલ. રાહુલ અને શિખર ધવન પાસેથી પણ ભારતીય ચાહકોને મોટી આશા છે. આઇપીએલમાં રાહુલે સૌથી વધુ ૬૭૦ રન અને ધવને ૬૧૮ રન ફટકાર્યા હતા. ઓસી. સામેની વન ડે શ્રેણીમાં પણ રાહુલ અને ધવને એક-એક અર્ધસદી ફટકારી હતી. આ ઉપરાંત હાર્દિક પંડ્યાની વાપસીથી ભારતીય ટીમ મજબૂત બની છે. પંડ્યાએ પ્રથમ વન ડેમાં ૯૦ અને અંતિમ વન ડેમાં અણનમ ૯૨ રનની ઇનિંગ્સ રમી હતી.
બૂમરાહ ઓસ્ટ્રેલિયા સામે સૌથી સફળ બોલર
ભારત તરફથી ટી-૨૦માં જસપ્રીત બૂમરાહ ઓસ્ટ્રેલિયા સામે સૌથી સફળ બોલર રહ્યો છે. ઓસી. સામે જ ડેબ્યૂ કરનારા બૂમરાહે કાંગારું ટીમ સામે ૧૧ મેચમાં ૧૫ શિકાર કર્યા છે. ત્યાર બાદ અશ્વિન, જાડેજા, ભુવનેશ્વર અને કુલદીપ યાદવનો નંબર આવે છે.
ઓસી. સામેની વન ડે શ્રેણીમાં ટીમ ઇન્ડિયાના બોલર્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ત્રીજી વન ડેને બાદ કરવામાં આવે તો ભારતીય બોલર્સ શરૂઆતના બંને મુકાબલાના પાવર-પ્લેમાં એક પણ વિકેટ ઝડપી શક્યા નહોતા. ત્રીજી વન ડેમાં શાનદાર પ્રદર્શન કરનારા ટી. નટરાજન, શાર્દૂલ ઠાકુર અને કુલદીપે આશા જગાડી છે.