વડોદરાના હરિધામ સોખડા મંદિરમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં પ્રબોધ સ્વામી પક્ષનો સમાવેશ ન કરવામાં આવતાં હરિભક્તોએ આ ઘટનાને બ્લેક ડે-2.0 તરીકે ગણાવી હતી
પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથના હરિભક્તોનો ઓડિયો
પ્રેમ સ્વરૂપ સ્વામીને ગાદી પર બેસાડો
શનિવારે ત્યાગ વલ્લભ સ્વામી દ્વારા સલાહકાર સમિતિ બનાવાઈ
હરિધામ-સોખડામાં શનિવારે પાંચ કલાક ચાલેલી મિટિંગમાં ત્યાગ સ્વામી દ્વારા બનાવેલી સલાહકાર સમિતિમાં પ્રેમ સ્વરૂપ સ્વામી પક્ષના હરિભક્તોનો સમાવેશ કરાયો, જ્યારે પ્રબોધ સ્વામી પક્ષનો સમાવેશ ન કરવામાં આવતાં હરિભક્તોએ આ ઘટનાને બ્લેક ડે-2.0 તરીકે ગણાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ વહેતી કરી છે.
હરિભક્તોએ આ ઘટનાને બ્લેક ડે-2.0 તરીકે ગણાવી વાયરલ કરી
હરિભક્તોના જણાવ્યા અનુસાર 30 પ્રાદેશિક સંતોમાંથી પ્રબોધ સ્વામી તરફેણમાં રહેલા 22 પ્રાદેશિક સંતોના રાજીનામાં પણ લઈ લેવામાં આવ્યાં છે. જ્યારે તેની જગ્યાએ ત્યાગ સ્વામીની તરફેણના સંતોની નિમણૂક થશે તેવો આક્ષેપ હરિભક્તોએ લગાવ્યો છે. હરિભક્તોએ જણાવ્યું કે, મિટિંગમાં ત્યાગ સ્વામીએ 30 મિનિટ ભાવનાની વાતોનું વાતાવરણ ઊભું કર્યું હતું, પછી 14 માર્ચની રાતનું સીસીટીવી ફૂટેજ બતાવવાની વાત કરી હતી.
પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી ગ્રુપમાં વહેંચાયો પંથ
પ્રબોધ સ્વામીએ પ્રેમ સ્વામીને જણાવ્યું હતું કે, આ ઘરની મેટર છે એટલે બહાર જાહેર ન થાય અને આપણે ભૂલી જઈએ તો સારું. જોકે ત્યાગ સ્વામીએ કહ્યું હતું કે, એ રાત્રે એવો કોઈ મોટો પ્રસંગ બન્યો ન હોતો અને માત્ર હાથ જ પકડ્યો હતો. એટલામાં આટલું મોટું ચગાવવાની જરૂર ન હતી. જેથી પ્રબોધ સ્વામી તુરંત ઊભા થઈને બોલ્યા કે, એવું હોય તો ફૂટેજ બતાવો એટલે હકીકત બહાર આવે.
સંપ્રદાયનો કકળાટ કયારે અટકશે?
એક તરફ હરિભક્તોએ આ ઘટનાને બ્લેક ડે-2.0 તરીકે ગણાવી વાયરલ કરી ત્યારે બીજી તરફ પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથના હરિભક્તો પૂનમબેન, વિનોદભાઈના નામથી એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં હરિભક્તો દ્વારા જણાવાઈ રહ્યું છે કે, પ્રેમ સ્વરૂપ સ્વામીને ખુલ્લેઆમ સ્વીકારી લો, ગાદી પર બેસાડી દો
પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથના હરિભક્તોનો ઓડિયો વાયરલ
પ્રેમસ્વરૂપ સ્વામી જૂથનાં 2 હરિભક્ત પુનમબેન અને વિનોદભાઈના નામથી ઓડિયો વાઇરલ થયો છે. જેમાં પ્રેમસ્વરૂપ સ્વામીને ગાદી પર બેસાડવાની વાત કરાઈ છે.
હરિભક્ત પૂનમબેન: શું થયું ?
હરિભક્ત વિનોદભાઈ : શું થાય કશું નહીં, કોઈ રીતે માનવા જ તૈયાર નથી. મિટિંગનું રિઝલ્ટ આવ્યું નથી. બધી ગોળ ગોળ વાતો કરે છે, ભેગા મળી કામ કરવું જોઈએ. જે આચારસંહિતા બનાવી તેમાં કોઈએ સહી કરી નથી. એવું છે જોઈએ હવે આ લોકો શું કરે છે. બે-ત્રણ મહિના પછી મિટિંગ બોલાવાની છે. જોઈએ પછી શું થાય છે.
હરિભક્ત પૂનમબેન: બસ હવે આપણે બીવાની જરૂર નથી. હવે ખુલ્લેઆમ પ્રેમસ્વરૂપ સ્વામીનો સ્વીકાર કરી લ્યો. આપણે મંડી જ પડો.
હરિભક્ત વિનોદભાઈ : ગ્રૂપમાં એક મેસેજ અલગથી મૂકી દેજો. તમે પપ્પુના ફોટા અને માહિતી મૂકવાનું બંધ કરો.
કઈ રીતે શરૂ થયો વિવાદ?
સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક હરિપ્રસાદસ્વામી પહેલાં BAPS સાથે જોડાયેલા હતા. તેમણે વર્ષ 1971માં મહિલાઓને સંતો સમક્ષ આવવાની મનાઈ મામલે મતભેદ ઊભો થતાં સોખડા ખાતે પ્રથમ પાંચ સંતોને દીક્ષા આપીને સંપ્રદાયની શરૂઆત કરી હતી.જો કે, જુલાઈ, 2021માં હરિપ્રસાદસ્વામીના નિધન બાદ તેમના વારસદારની નિમણૂક માટે બે સંતો (પ્રબોધજીવનદાસસ્વામી અને પ્રેમસ્વરૂપદાસસ્વામી)ના સમર્થકોએ પોતપોતાના ગુરુને દાવેદાર તરીકે રજૂ કરતાં વિવાદ થયો હોવાનું કહેવાય છે. આ વિવાદ અત્યાર સુધી એટલી હદે વકર્યો છે કે હવે 150 સંતોમાં પણ ભાગલા પડી ગયા છે અને મુખ્ય ગુરુની ગાદી માટે પ્રબોધસ્વામી અને પ્રેમસ્વામીના ભક્તો બે જૂથમાં વહેંચાઈ ગયા છે.