અમદાવાદનાં એસ.પી. રીંગ રોડ મુમતપુરા નજીક બની રહેલ બ્રિજનો સ્પાન તૂટવા મામલે સરકારની સમિતિનો બીજો રિપોર્ટ પર સબમીટ કરવામાં આવ્યો છે. તો પણ ઔડા શા માટે કાર્યવાહિ નથી કરતું તેના પર સવાલ ઉઠ્યા છે.
અમદાવાદના મુમતપુરા બ્રિજના સ્પાન તૂટવાને લઇને સરકારની સમિતિના બીજા રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી ન કરવામાં આવી.બીજા રિપોર્ટમાં પણ રણજીત બિલ્ડકોનની બેદરકારી પુરવાર થઇ. રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાનું કોંક્રિટ વાપર્યુ હતું. અને આ બેદરકારી PMC એજન્સીની દેખરેખમાં કરવામાં આવી હતી. સૌથી મોટો સવાલ એ છે કે રણજીત બિલ્ડકોન બ્લેકલિસ્ટ કરાઇ છતાં બ્રિજનુ કામ તેની પાસે જ કરાવાયું. ઔડા શા માટે કાર્યવાહી નથી કરતું તેને લઇને અનેક સવાલ ઉઠી રહ્યાં છે.
અગાઉ બ્રિજનો ડેક ધરાશાયી થવા મામલે મોટા ખુલાસા થયા
અગાઉ બ્રિજ અમદાવાદના મુમતપુરા બ્રિજનો ડેક ધરાશાયી થવા મામલે મોટા ખુલાસા થયા છે. બ્રિજનો ભાગ તૂટવા પાછળ ખરાબ કોંક્રિટ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટમાં બ્રિજની ગુણવત્તા નબળી અને બ્રિજ બનાવવામાં બેદરકારી અને ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. વધુમાં દુર્ઘટના પાછળ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની ભૂમિકા પણ જવાબદાર હોવાના ખુલાસા થયા છે.
મિક્સ કોંક્રિટ પ્લાન્ટના નમૂનાઓ નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરતા નથી: રિપોર્ટ
રાજ્ય સરકાર દ્વારા નિમવામાં આવેલી ઉચ્ચ સમિતિના પહેલા રિપોર્ટમાં બહાર આવ્યું કે કોન્ટ્રાક્ટરે બ્રિજ બનાવવાના કામમા મલાઈ તારવી લેવા માટે નબળી ગુણવત્તાનું મટિરિયલ વાપર્યું હતું. મિક્સ કોંક્રિટ પ્લાન્ટના નમૂનાઓ નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરતા ન હોવાનું સામે આવ્યું છે. જેથી નમૂના ફેઈલ થયા છે. મહત્વનું છે કે 2019માં મુમતપુરા બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.બાદમાં 2021માં બ્રિજ બનાવવાનું કામ કરાયું હતું. જેના થોડા જ સમયમાં મુમતપુરા બ્રિજનો એક સ્પાન ડિસેમ્બર 2021માં તૂટી પડ્યો હતો. રણજીત બિલ્ડકોને પહેલી ડેડલાઈનમાં કામ પૂર્ણ કર્યું ન હતુ. કામ પૂર્ણ ન થવા છતા AUDAએ કોઈ પગલા લીધા ન હતા.
કોન્ટ્રાક્ટર દ્વારા નબળી ગુણવત્તાના મટિરિયલનો ઉપયોગ કરાયાનો ઉલ્લેખ
કમિટીએ આપેલો રિપોર્ટ સરકારે ઓગસ્ટ 2022માં જાહેર કરવાનો હતો, પરંતુ સરકારે તે રિપોર્ટ જાહેર કર્યો નહોતો. પરંતુ આખરે આજે હવે રાજ્યસરકારની એ તપાસ સમિતીના રિપોર્ટના કેટલાક અંશો લીક થઈ ગયા છે. જેમાં કોંક્રિટના કારણે બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજ નિર્માણમાં નબળી ગુણવત્તાના મટિરિયલનો ઉપયોગ કરાયો હતો, તપાસ દરમિયાન મિક્સ કોંક્રિટ પ્લાન્ટના નમૂનાઓ નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરતા ન હતા, તો સ્પાનમાંથી લેવાયેલા રેતી, ઈંટ અને કોંક્રિટના નમૂના ફેલ સાબિત થયા હતા. એટલું જ નહીં નક્કી કરેલી લિમિટ કરતાં ઝીણી રેતીનો ઉપયોગ કરાયો હતો.
કામ પૂર્ણ ન કર્યુ છતા AUDAએ કોઈ પગલા ન લીધા
આમ એક તરફ આ બ્રિજ ધરાશયી થવાના કારણે નાગરિકના ટેક્સના પૈસાનો વેડફાટ થયો છે તો બીજી તરફ રોજ લાખો નાગરિકો ટ્રાફિકજામની હાલાકીનો ભોગ બની રહ્યા છે.આપને એ પણ જણાવી દઈએ કે કમિટીએ પરીક્ષણનાં પરિણામોને ધ્યાને લઈને પીએમસી અને કોન્ટ્રાક્ટરની જવાબદારી નિર્ધારિત કરવામાં આવે તેવું પણ રિપોર્ટમાં કહ્યું છે પરંતું તેમ છતાં ૨ વખત ટેન્ડરિંગ પ્રક્રિયા બાદ ફરી રણજીત બિલ્ડકોનને જ આ બ્રિજનું કામ સોંપવામાં આવ્યું છે. જેથી ઔડા રણજિત બિલ્ડકોન પર મહેરબાન બની રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે અને આ તરફ આ બ્રિજના ગોકળગતિએ ચાલતા કામથી અનેક નાગરિકો લાંબો ઘેરાવો ફરવા મજબૂર બન્યા છે.