થોડા દિવસ પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિંધુ ભવન ફ્લાય ઓવર અને સરખેજ સાણંદ સર્કલ ફ્લાયઓવરનું ઈ-લોકાર્પણ કર્યું હતું. ત્યારે હવે વધુ કેટલાક ફ્લાયઓવર બ્રિજ અમદાવાદને મળશે. કારણ કે, અમદાવાદના SP રિંગ રોડ પર વર્ષ 2025 સુધીમાં ઔડા દ્વારા 10 નવા ઓવરબ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
અમદાવાદના SP રિંગ રોડ પર બનશે 10 નવા બ્રિજ
660 કરોડના ખર્ચે બનશે નવા 10 ફ્લાયઓવર બ્રિજ
નવા 10 બ્રિજ બનતા SP રિંગ રોડ પર કુલ બ્રિજની સંખ્યા 17 થશે
અમદાવાદમાં જેમ દિનપ્રતિદિન વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને શહેરનો પણ જે રીતે ઝડપી વિકાસ થઈ રહ્યો છે ત્યારે આવનારા સમયમાં શહેરમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ ના સર્જાઈ તે માટે ઔડા દ્વારા આ આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરની ફરતે આવેલા 76 કિ.મી.ના સરદાર વલ્લભભાઇ પટેલ(SP) રિંગ રોડને ડેવલપમેન્ટ કરવાનું લક્ષ્ય નક્કી કરી દીધું છે. આ 10 બ્રિજ બનાવવા માટે આશરે 660 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે. આ નવા 10 બ્રિજ બનતા SP રિંગ રોડ પર કુલ બ્રિજની સંખ્યા 17 થઈ જશે તથા સાથે સાથે 76 કિલોમીટરમાં 17 ઓવરબ્રિજ ધરાવતો પ્રથમ રોડ બની જશે.
ઔડા(અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી)એ એશિયન ડેવલપમેન્ટે બેંક સમક્ષ રૂ.1900 કરોડના વિકાસના કામો માટે લોનની દરખાસ્ત મૂકી હતી જેને મંજુરી મળી ગઇ છે. અગામી દિવસોમાં DPR સબમીટ કરાશે અને જાન્યુઆરીમાં મહિનામાં પ્રથમ હપ્તો આવી જશે. ઔડાએ રૂ.1900 કરોડના વિકાસના કામો મૂક્યા હતા જેમાં ઔડા વિસ્તારના સાણંદ, કલોલ, મહેમદાબાદ, બારેજા સહિતના ગ્રોથ સેન્ટરોમાં પાણી, ગટર અને વરસાદી પાણીના નિકાલના કામો કરવામાં આવશે. પરંતુ સૌથી મહત્વનું એ છે કે, SP રિંગ રોડનો વિકાસ કરવાનું કામ મંજુર કરાયું છે.