AMCના રિપોર્ટમાં જણાવ્યા મુજબ ગત તા. 31 ઓગસ્ટ,2022થી તા.20 માર્ચ, 2023 સુધીના સમયગાળામાં અનેક લાક્ષણિકતાઓથી ભરપુર અટલબ્રિજનો કુલ 21,08,539 મુલાકાતીઓએ આનંદ માણ્યો હતો.
અટલબ્રિજે મ્યુનિસિપલ તંત્રને રૂ. 6.28 કરોડથી વધુ નાણાં કમાવી આપ્યાં
300 મીટર લાંબો અટલબ્રિજ સવારના 9.૦૦થી રાતના 9.૦૦ સુધી ખુલ્લો
સામાન્ય દિવસોમાં આશરે સાત હજાર મુલાકાતી આવે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સાબરમતી નદીના પશ્ચિમ કાંઠાને પૂર્વ કાંઠા સાથે જોડનારો ફૂટબ્રિજ એટલે કે અટલબ્રિજનું લોકાર્પણ કરાયું હતું. ગત તા. 28 ઓગસ્ટે આ બ્રિજનું ઉદ્ઘાટન કરાયા બાદ તેને બે દિવસ લોકો માટે ખુલ્લો મુકાયો હતો. ત્યાર બાદ તંત્રએ તા. 31 ઓગસ્ટથી અટલબ્રિજનો લહાવો લેવા માટે ટિકિટના દર નક્કી કર્યા છે, જેમાં પુખ્ત વયના લોકો માટે અટલબ્રિજની લટાર મારવા ૩૦ મિનિટના રૂ. 30અને 12 વર્ષથી વધુ વયનાં બાળકો માટે રૂ. 15ની એન્ટ્રી ફી રખાઈ છે. હવે તો આઇકોનિક અટલબ્રિજનું ઓનલાઇન બુકિંગ પણ થઈ રહ્યું છે. આ બ્રિજ આબાલવૃદ્ધોમાં એટલી હદે લોકપ્રિય બન્યો છે કે તેનું આકર્ષણ દિન-પ્રતિદિન વધતું જ જાય છે. પરિણામે છેલ્લા સાડા છ મહિનાના ટૂંકા સમયગાળામાં જ અટલબ્રિજે મ્યુનિસિપલ તંત્રને રૂ. 6.28 કરોડથી વધુ નાણાં કમાવી આપ્યાં છે.
રૂ.74 કરોડના ખર્ચે તંત્રએ અટલબ્રિજનું નિર્માણ કર્યું
અટલબ્રિજને જ્યારે લોકો માટે ખુલ્લો મુકાયો ત્યારે કેટલાંક નઠારાં તત્ત્વોએ ઠેર ઠેર પાન-મસાલાની પીચકારી મારીને તેની નયનરમ્યતાને ડાઘ લગાડ્યો હતો, જેના કારણે તંત્રએ એન્ટ્રી ફી નક્કી કરી છે. એન્ટ્રી ફી હોવા છતાં પણ આ બ્રિજે યુવાઓમાં ભારે ઘેલું લગાડ્યું છે. અનેક યુવક-યુવતીઓ બ્રિજની સહેલ માણતા માણતાં વિવિધ રીતે સેલ્ફી લઈ રહ્યાં છે. રૂ.74 કરોડના ખર્ચે તંત્રએ અટલબ્રિજનું નિર્માણ કર્યું છે, જેની ડિઝાઇનમાં પતંગોત્સવને પણ સાંકળી લેવાયો હોઈ વિશેષ પ્રકારનો લાગે છે. 300 મીટર લાંબો અટલબ્રિજ સવારના 9.૦૦થી રાતના 9.૦૦ સુધી ખુલ્લો મુકાતો રહ્યો છે, પરંતુ હવે ઉનાળાની ગરમીના દિવસો શરૂ થવાથી સત્તાવાળાઓએ રાતના 11.૦૦ વાગ્યા સુધી લોકો માટે ખુલ્લો મૂક્યો છે. રાતના 10.૦૦ વાગ્યા સુધી મુલાકાતીઓ ટિકિટબારીથી એન્ટ્રી ફી ચૂકવીને અટલબ્રિજમાં પ્રવેશી શકશે.
અટલબ્રિજની મુલાકાતે વિદેશી પ્રવાસીઓ
અટલબ્રિજમાં પાન-મસાલા, ગુટખા, ખોરાક, પાળેલું પ્રાણી, રમતગમતનાં સાધનો લઈ જવા પર પ્રતિબંધ મુકાયો છે. અટલબ્રિજમાં શોરબકોર કરવા કે સંગીત વગાડવું, નાચગાન કરવું વગેરે પણ પ્રતિબંધિત છે. તેમ છતાં તેની સુંદર બેઠક વ્યવસ્થા, સ્વચ્છતા અને ખાસ તો નદીમાં લહેરાતાં પાણીની ઉપર ચાલવાની મજા લેવા માટે સામાન્ય દિવસોમાં આશરે સાત હજાર મુલાકાતી અને રવિવાર તેમજ જાહેર રજાના દિવસોમાં 15થી 120 હજાર જેટલા મુલાકાતીઓ અટલબ્રિજ ખાતે ઊમટી રહ્યા છે. અમદાવાદીઓ ઘરે આવતા મહેમાનોને અત્યાર સુધી કાંકરિયા લેકફ્રન્ટ, રિવરફ્રન્ટ, માણેકચોકનું ખાણીપીણી બજાર જેવાં સ્થળોએ ખાસ આગ્રહપૂર્વક લઈ જતા રહ્યા છે, પરંતુ હવે તેમાં અટલબ્રિજનો પણ વધારો થયો છે. અટલબ્રિજની મુલાકાતે વિદેશી પ્રવાસીઓ પણ આવતા હોઈ તેઓ તંત્રના ઈજનેરી કૌશલ્યથી મંત્રમુગ્ધ થઈ રહ્યા છે.
આ બ્રિજથી તંત્રને રૂ. 6,28,09,135 જેટલી આવક
તંત્રના અટલબ્રિજની આવક અને મુલાકાતીઓને લગતા સત્તાવાર આંકડો સ્પષ્ટપણે દર્શાવે છે કે લોકોને આ આઇકોનિક બ્રિજનું ભારે ઘેલું લાગ્યું છે, કેમ કે તા. 31 ઓગસ્ટ-2022થી તા.20 માર્ચ-2023 સુધીના માત્ર સાડા છ મહિનાના ટૂંકા સમયગાળામાં જ આ બ્રિજથી તંત્રને રૂ. 6,28,09,135 જેટલી અધધ કહેવાય તેવી આવક થઈ છે. ચાલુ માર્ચ મહિનાના છેલ્લા 20 દિવસમાં સત્તાવાળાઓએ રૂ. 34.67 લાખથી વધુની આવક રળી લીધી છે. આ દરમિયાન 1,15,172 મુલાકાતીઓ તંત્રના ચોપડે સત્તાવાર રીતે નોંધાયા છે. જ્યારે ફેબ્રુઆરી-2023માં કુલ 1,78,195 મુલાકાતીઓથી તંત્રને રૂ. 54,38,390ની આવક થઈ હતી. જાન્યુઆરી-2023માં 4,32,993 મુલાકાતીઓથી મ્યુનિસિપલ તિજોરીમાં રૂ.12,25,710 ઠલવાયા હતા તેમ પણ તંત્રનો સત્તાવાર રેકોર્ડ દર્શાવી રહ્યો છે.
21 લાખથી વધુ મુલાકાતીઓએ અટલબ્રિજનો આનંદ માણ્યો
મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર રિપોર્ટમાં જણાવ્યા મુજબ ગત તા. 31 ઓગસ્ટ,2022થી તા.20 માર્ચ, 2023 સુધીના સમયગાળામાં અનેક લાક્ષણિકતાઓથી ભરપુર અટલબ્રિજનો કુલ 21,08,539 મુલાકાતીઓએ આનંદ માણ્યો હતો. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે અટલબ્રિજ હવે સામાન્ય લોકોના આનંદ-પ્રમોદનું એક નવું અને કાયમી સ્થળ બની ગયું છે. અનેક કુટુંબો શનિ-રવિની રજામાં ફરી ફરી અટલબ્રિજની મુલાકાત લઈને તેના પર વહેતા સાબરમતીના ઠંડા પવનોની મોજ માણી રહ્યા છે.