ગ્રામપંચાયતોમાં તલાટીઓની ગેરહાજરી અંગે અવારનવાર ફરિયાદો ઊઠતી હોય છે. વળી ગ્રામપંચાયતોમાં તલાટીઓની ગેરહાજરીના કારણે માત્ર અરજદારોના કામ જ નહીં પરંતુ ગ્રામવિકાસના કામો પણ ખોરંભે ચડતા હતા. ત્યારે હવે આ સમસ્યાના કાયમી ધોરણે નિરાકરણ માટે ભરુચ જિલ્લામાં નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જિલ્લાની તમામ ગ્રામપંચાયતોમાં ફરજ બજાવતા તલાટીઆને હવે ભાર્ગવ સોફ્ટવેરની મદદથી સેલ્ફી દ્વારા પોતાની હાજરી નોંધાવવી પડશે. જોઈએ આ અહેવાલ.
ભૂતકાળમાં ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોમાં તલાટીઓ હાજર રહેતાં નહિ હોવાની વ્યાપક પણે ફરિયાદો ઉઠી હતી. તે વખતે દરેક 543 ગ્રામ પંચાયતમાં 27 લાખના ખર્ચે ફીંગરપ્રિન્ટ સ્કેનર મુકવાનું આયોજન વિચારાઈ રહ્યું હતું.. પરંતુ હવે તલાટીઓની ગેરહાજરી અંગની ફરિયાદોનું કાયમી નિરાકરણ લાવવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
હાજરી પુરવા માટે હવે એન્ડ્રોઇડ ફોન પરથી સેલ્ફી લેવી પડશે
જિલ્લાની તમામ 543 ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતાં તલાટીઓએ તેમની હાજરી પુરવા માટે હવે એન્ડ્રોઇડ ફોન પરથી સેલ્ફી લેવી પડશે. સેલ્ફીના આધારે તેમની તેમના કાર્યસ્થળ પર હાજરીની નોંધ લેવામાં આવશે. આ માટે ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં 1 થી 15 જુન સુધી પ્રોજેકટની ટ્રાયલ લેવામાં આવી હતી. જેમાં સોફટવેરમાં 7,500થી વધારે જીઓ ટેગડ ફોટા અપલોડ થયાં હતાં. જિલ્લાના 494 તલાટીઓ પૈકી 457 તલાટીઓએ સોફટવેરમાં તેમની હાજરી પુરાવી હતી.
ફરિયાદનો આવશે અંત
ત્યારે હવે રાજયમાં સૌથી પહેલા આ પ્રોજેકટને ભરુચ જિલ્લાથી અમલી બનાવવામા આવ્યો છે. ભરૂચ, અંકલેશ્વર, વાગરા, હાંસોટ, જંબુસર, આમોદ, વાલીયા, નેત્રંગ અને ઝઘડીયા તાલુકાની 543 ગ્રામ પંચાયતોમાં હવે તલાટી હાજર રહેતાં નહિ હોવાની ફરિયાદોનો અંત આવી જશે.
ભરૂચ જિલ્લા પંચાયતે હાજરી માટે સૌથી પ્રથમ ભાર્ગવ ( BharGov) નામનું સોફટવેર વિકસાવ્યું છે. દરેક તલાટીએ તેમની હાજરી પુરવા માટે હવે રજીસ્ટરમાં સહિ કરવાના બદલે હવે સેલ્ફી લેવી પડશે. ગ્રામ પંચાયતની કચેરીમાં હાજર થયા બાદ તેમણે સેલ્ફી ભાર્ગવ સોફ્ટવેર સીસ્ટમમાં અપલોડ કરવાની રહેશે. કચેરી છોડતા પહેલા પણ આ જ રીતે પુનરાવર્તન કરવાનું રહેશે.
તલાટીની હાજરીની થશે નોંધ
નવા સોફટવેરમાં હાજરીની સાથે તલાટીના કામના કલાકો પણ નોંધાઇ જશે. દરેક તાલુકામાં બનાવેલા ડેશબોર્ડ પર તલાટીઓની હાજરીની નોંધ થશે. રાજયના સૌથી પહેલા પ્રોજેકટને જુલાઇથી અમલમાં મુકવામાં આવ્યો છે. જિલ્લામાં આવેલી મોટા ભાગની ગ્રામ પંચાયતોમાં તલાટીઓ હાજર રહેતાં નહીં હોવાથી વહીવટી કામગીરી ઉપર અસર પડતી હોવાની ફરિયાદો ઉઠતી હતી. જેનું નિરાકરણ હવે ટેકનોલોજીના ઉપયોગથી આવતું દેખાઇ રહ્યું છે.
હાજરી પૂરવાની આ નવી પદ્ધતિથી વગર રજાએ તલાટી ગેરહાજર રહેવા જેવી તમામ ફરિયાદોનું નિરાકરણ આવી જશે અને ડીડીઓ તેમજ અન્ય અધિકારીઓને તેમના મોબાઇલ ઉપર જ તલાટીઓ ગ્રામ પંચાયત પર હાજર છે કે નહિ તેની માહિતી પણ મળતી રહેશે જેથી તલાટીની હાજરીને લઇ ઉઠતી કોઇ પણ ફરિયાદ અંગે મદદ રૂપી બની રહેશે.
તલાટીનું લોકેશન જાણી શકશે
હાજરીની નવી પધ્ધતિથી ઉચ્ચ અધિકારીઓ તલાટીનું લોકેશન જાણી શકશે. તો સામે પક્ષે અરજદારોની ખોટી ફરિયાદોથી હેરાનગતિ વેઠી રહેલાં તલાટીઓની સમસ્યાનો પણ હવે અંત આવશે. તલાટી મંડળે પણ આ નિર્ણયને આવકાર્યો છે.
નવા સોફટવેર પાછળ 5 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. પરંતુ આ અદ્યતન ટેકનોલોજીની મદદથી સરકારી કર્મચારીઓની હાજરી અંગે ચોકસાઈથી વિગતો મળી શકશે. એટલું જ નહીં નાગરિકો અને કર્મચારીઓ વચ્ચે ઊભા થતાં મતભેદોનું પણ નિરાકરણ આવી શકશે.