વડોદરામાં ભૂવો પડતા સામાજિક કાર્યકરે રામધૂન બોલાવીને કર્યો વિરોધ, તંત્ર સામે કામગીરી ન કરતા હોવાના લગાવ્યા આક્ષેપ
વડોદરામાં ભૂવો પડતાં સામાજિક કાર્યકરનો વિરોધ
વારસિયા પોલીસ સ્ટેશન પાસે પડ્યો ભૂલો
સામાજિક કાર્યકરે ભૂવા પાસે બોલાવી રામધૂન
શહેરમાં વસતો દરેક નાગરિક વેરો ભરે છે. કારણ કે તંત્ર દ્વારા તેને પ્રાથમિક જરૂરિયાતની તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. પરંતુ તંત્ર જ્યારે સમયસર વેરો ભરવા છતાં પણ સુવિધાલક્ષી કામો કરવામાં પાછી પાની કરે તો કરવુ શું ? રોડ રસ્તા અને ગટર સહિતની સમસ્યાઓ ઉદભવી રહી છે અને તેમાં પણ ખાસ કરીને રોડ રસ્તાની હલકી ગુણવત્તાની કામગીરીથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે વડોદરામાં તંત્રના બેરા કાને વાત સંભળાય તે માટે રોડ રસ્તા પર ભૂવો પડતા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો.
5 દિવસથી રજૂઆત છતાં કામગીરી ન થયાનો આક્ષેપ
વડોદરાના રસ્તા પર રામધૂન સંભળાઇ રહી છે. આ કોઇ રામકથા કે ભજનનું આયોજન કરવામાં આવ્યુ નથી પરંતુ તંત્રને જગાડવા માટેનો અનોખો પ્રયાસ છે. શહેરમાં વારસિયા પોલીસ સ્ટેશન પાસે ભૂવો પડતા સામાજિક કાર્યકરે રામ ધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો. ભૂવાને કારણે વાહનચાલકો પરેશાન થાય છે. ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. ઘણી વખત તો અકસ્માતનો પણ ભય રહે છે. આ અંગે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઇ યોગ્ય કામગીરી ન કરવામાં આવતી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. અંતે ભૂવા પાસે ખુરશી મૂકીને મંજીરા વગાડીને રામ ધૂન બોલાવી હતી. આ સાથે જ તેઓએ મેયર અને મ્યુનિસિપલ કમિશનરને આડે હાથ લેતા કહ્યું કે, મેયરને દબણો દેખાઈ છે, પરંતુ રસ્તામાં પડેલા ભૂવા દેખાતા નથી.
ક્યારે તંત્ર કરશે કામગીરી ?
ત્યારે અહીં તંત્ર સામે સવાલ એ થાય છે કે ચોમાસાની થોડા દિવસમાં જ શરૂઆત થવાની છે ત્યારે તંત્ર શું કરી રહ્યું છે. શા માટે અનેકવાર રજૂઆતો છતાં આંખઆડા કાન કરવામાં આવી રહ્યા છે. કેમ કોઇ સમારકામ કરવાની તસ્દી નથી લઇ રહ્યું, શું તંત્ર કોઇ અનિચ્છનીય બનાવ બને તેની રાહ જોઇ રહ્યું છે ?