રેલવે ટ્રેકના પાટા પર પથ્થર મૂકીને ટ્રેન ઉઠલાવવાનો પ્રયાસ
વલસાડમાં ફરી એકવાર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થતા રેલ વિભાગ દોડતુ થયું છે. વલસાડમાં આવી બીજી ઘટના બની છે. રેલવે ટ્રેકના પાટા પર પથ્થર મૂકીને ટ્રેન ઉથલાવવા પ્રયાસ કરાયો હોવાનું સામે આવ્યું છે. બાંદ્રા-વાપી ટ્રેનની અડફેટે મોટો પથ્થર આવી જતા એન્જિનને નુકસાન પહોંચ્યુ છે. ટ્રેનના એન્જિન પરના કેટલ ગાર્ડને પણ નુકસાન પહોંચ્યું છે. ઘટનાને પગલે રેલવેના અધિકારીઓ અને જિલ્લા પોલીસ દોડતી થઇ હતી. જો કે કોઇ મોટી દુર્ઘટના બની ન હતી પરંતુ આ પ્રકારની વારંવાર ઘટનાઓ બને તે ખરેખર ચિંતાનો વિષય છે.
કોણ કરી રહ્યું છે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ ?
વલસાડમાં છેલ્લા 3 મહિનામાં આવો બીજો બનાવ બન્યો છે. ઘટનાને પગલે પોલીસની અલગ અલગ ટીમ તપાસમાં લાગી છે પરંતુ અહીં સવાલ એ થાય કે કોણ છે જે નિર્દોષ પ્રજાને મોતમાં મુખમાં ધકેલવા ઇચ્છે છે. અગાઉ પણ આવી ઘટના બની હતી. અને ફરી વાર એજ ઘટનાનું પુનરાવર્તન થઇ રહ્યુ છે. ત્યારે અહીં સવાલ એ થાય કે વલસાડ પોલીસ શું કરી રહી છે. ? કેમ આવા ટીખળખોરોને પોલીસ હજી સુધી પકડી શકી નથી ? કોણ કરી રહ્યું છે આવા કાવતરાં, વારંવાર આ પ્રકારની ઘટના બની રહી છે પણ હજી સુધી કેમ કોઇ ઠોસ કામગીરી નથી કરવામાં આવી ?
15 જાન્યુઆરીએ અતુલ રેલવે સ્ટેશન પર બની હતી ઘટના
શુક્રવારે વલસાડ અને અતુલ રેલ્વે સ્ટેશન વચ્ચે મોટી ટ્રેન દુર્ઘટના થતા ટળી હતી.અતુલ રેલ્વે સ્ટેશન નજીક કેટલાક ટિકળખોરોએ રેલ્વે ટ્રેક ઉપર સિમેન્ટ નો પિલર મૂક્યો હતો. આ દરમિયાન અગસ્ત ક્રાંતિ ટ્રેન પસાર થઈ હતી. દરમિયાન આ પિલર ટ્રેનના એન્જિન સાથે અથડાતા દુર ફેંકાઈ ગયો હતો. આ મામલે ટ્રેનના ચાલક એ તાત્કાલિક અતુલ રેલ્વે સ્ટેશન માસ્ટરને જાણ કરતા દોડધામ મચી ગઈ હતી. રેલ્વે પોલીસ સહિત વલસાડ જિલ્લા પોલીસનો કાફલો સ્થળ ઉપર ધસી આવ્યો હતો અને મામલાની ગંભીરતા જોતા ખુદ સુરત રેન્જ આઇ.જી પણ સ્થળ ઉપર પોહચ્યા હતા.ઘટના સ્થળનું નીરક્ષણ કર્યું હતું અને એફ.એસ. એલ સહિત ડોગ સ્કવોડ ને પણ બોલાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.