ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં આપઘાતની વધતી ઘટનાઓનો વધુ એક કિસ્સો બનાસકાંઠાના થરાદમાં આવ્યો સામે, ચોથાનેસડા ગામની મહિલાએ 4 બાળકો સાથે થરાદમાંથી નીકળતી કેનાલમાં ઝંપલાવ્યું
બનાસકાંઠાના થરાદમાંથી નીકળતી મુખ્ય કેનાલમાં કૂદી આપઘાતની કોશિશ
માતાએ પોતાના 4 બાળકો સાથે કેનાલમાં કૂદીને કર્યો આપઘાતનો પ્રયાસ
માતા અને બે બાળકોના મોત નિપજ્યા, જ્યારે બે બાળકોનો જીવ બચાવી લેવાયો
ગુજરાતમાં કેનાલમાં કૂદીને આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા થરાદમાંથી નીકળતી મુખ્ય કેનાલમાં ચોથાનેસડા ગામની એક મહિલાએ પોતાના 4 બાળકો સાથે કૂદને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. માતાએ ચારેય બાળકો સાથે આપઘાતનો પ્રયાસ કરતા સ્થાનિક લોકોની નજર પડી ગઈ હતી. અને કેટલાક લોકોએ કેનાલમાં કૂદીને બચાવવાની કોશિશ કરી હતી. સ્થાનિક તરવૈયાએએ પણ બાળકો અને માતાને બચાવવાની કોશિશ કરી હતી.
કલાકો સુધી બચાવની કામગીરી કરતા 2 બાળકોના જીવ બચાવી શકાયા છે. તો ચાર બાળકો સાથે આપઘાતની કોશિશ કરનારી માતા અને 2 બાળકોનું મોત નિપજ્યું છે. સ્થાનિક લોકોની ભીડ જામી ગઈ હતી. અને માતા સહિત બાળકોને બચાવવા માટે સુલતાન મીર નામના તરવૈયાએ આ કામગીરી કરી હતી. જો કે, કમનસીબે 5 પૈકી ત્રણ લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે. જ્યારે બે બાળકોનો જીવ બચાવી લેવાયો છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
મહત્વનું છે કે, અમદાવાદમાં રિવરફ્રન્ટ અને ગામડાઓમાં કેનાલમાં કૂદીને આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે. આ કારણે તંત્ર પણ કોઈ સુરક્ષા ગાર્ડ રાખે તેવી કેટલાક ગ્રામ્ય વિસ્તાર અને શહેરોમાં માગણી ઉઠી છે. જો કે, અમદાવાદમાં રિવરફ્રન્ટ પરના બ્રિજ પર લોખંડની રેલિંગ બનાવવી દેવાઈ છે. જેથી પૂલ પરથી કોઈ કૂદીને આપઘાત કરી શકે નહીં. પરંતુ આટલી મોટી નદી પર ધ્યાન રાખવા છતાં આપઘાત કરનારા લોકો રસ્તો શોધી લે છે. આપઘાત કોઈ વિવાદનો અંત નથી.