ધોરણ-12 બોર્ડની પરીક્ષા રદ કરવા પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કટાક્ષ કરતા કહ્યું કે, દિલ્હીથી નિર્ણય આવે છે તેનું ગુજરાતી કરીને સરકાર નિર્ણય જાહેર કરી રહી છે
ધો.12 બોર્ડની પરીક્ષા રદ થતા કોંગ્રેસ પાર્ટીનો સરકાર પર પ્રહાર
સરકાર શિક્ષણ સાથેના નિયમો શિક્ષણવિદો સાથે મળીને લે: મનીષ દોશી
શિક્ષણમાં રાજકીય નિર્ણય લેવાથી શિક્ષણની અધોગતિ થાય છે: દોશી
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ-12ની પરીક્ષા રદ થયા બાદ કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પરીક્ષાની વ્યવસ્થાને લઈ સવાલો ઉઠાવ્યા છે. મનીષ દોશીએ કહ્યું, કોરોના મહામારીમાં સૌથી વધુ શિક્ષણ પ્રભાવિત થયું છે. નિર્ણય કરવામાં સતત વિલંબના કારણે લાખો બાળકો સતત ચિંતિત રહ્યા છે. શિક્ષણ વિભાગને ભ્રષ્ટાચારનું એપી સેન્ટર પણ કહ્યું છે. અને આવા વિભાગના કારણે ગુજરાતના વાલીઓ સતત ચિંતામાં રહે છે. સાથે જણાવ્યું કે, કોરોનાના કેસો ઘટી રહ્યા છે પણ કાલે અચાનક નિર્ણય લેવાયો કે CBSEની પરીક્ષા રદ કરી. આ નિર્ણય બતાવે છે કે ત્રીજી લહેરનો ડર સરકારને છે.
સરકારની કામગીરી પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કટાક્ષ કરતા કહ્યું, કે જેમ પહેલા SOP અંગ્રેજીમાં આવતી હતી. અને થોડા દિવસ પછી તેનું ગુજરાતીમાં અનુવાદ કરી દેવામાં આવતું હતું. તે રીતે દિલ્હીથી જે અંગ્રેજીમાં ઓર્ડર આવે છે. તેને ગુજરાતમાં લાગુ કરી દેવાય છે. બીજુ કશુ થતું નથી.
ધોરણ 10ના વિદ્યાર્થીને માસ પ્રમોશન અંગે પણ મનીષ દોશીએ કહ્યું કે, ગુજરાતમાં શિક્ષણ વિભાગ અસમંજસમાં છે. પહેલા ધો.10 બોર્ડની પરીક્ષાને લઈ વિલંબ થયો હતો. તેમાં પણ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું પરંતુ રિપીટર વિદ્યાર્થીઓને પ્રમોશન અપાયું નથી. તો શું રિપીટર વિદ્યાર્થીઓને કોરોના ન થાય તેવા સવાલો પણ ઉઠાવ્યા છે.
કેન્દ્રના પથ પર ચાલતુ ગુજરાતનું શિક્ષણ વિભાગ?
કહેવાય છે કે ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર છે. એક એન્જિન ગાંધીનગર અને બીજુ દિલ્હીવાળું. કોરોના વાયરસના કારણે ગુજરાત સહિત આખા દેશના વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા છે. ત્યારે પહેલા જ્યારે દિલ્હીથી નિર્ણય લેવાયો કે ધોરણ 10ની પરીક્ષા રદ કરવામાં આવે છે. અને પાછળ પાછળ બીજા એન્જિન દ્વારા પણ તરત નિર્ણય લઈ લેવામાં આવ્યો કે, પરીક્ષા રદ થશે. જોકે ધોરણ-12ની પરીક્ષા મામલે બીજુ એન્જિન પહેલા એન્જિન કરતાં આગળ નીકળી ગયું અને પરીક્ષા લઈશું એવી જાહેરાત કરી દીધી. જોકે દિલ્હી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, બાળકોના જીવ જોખમમાં ન મૂકી શકીએ અને પરીક્ષા રદ કરવામાં આવે છે. જે બાદ હવે ગાંધીનગરમાં સીએમ રૂપાણીના નેતૃત્વમાં કેબિનેટની બેઠક કરવામાં આવી અને તે બેઠકમાં મહામંથન બાદ ગુજરાત સરકારે પોતાનો નિર્ણય ઉથલાવ્યો છે અને પરીક્ષા રદ કરવાના આદેશ આપ્યા છે.