ભરૂચ APMC માર્કેટ પાસે બાળકોનું અપહરણ કરતી ગેંગના વહેમમાં નિર્દોષ મહિલાને માર મારવામાં આવતા પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસે નિર્દોષોને માર મારવા મામલે 29 સામે ફરિયાદ નોંધી છે.
ભરૂચમાં બાળકો ઉઠાવી જતી ટોળકીની અફવા મામલે ફરિયાદ
બાળકોનું અપહરણ કરતી ગેંગના વહેમમાં નિર્દોષને માર્યો હતો માર
APMC માર્કેટમાં બે મહિલાઓને શંકાના આધારે માર્યો હતો માર
ભરૂચમાં બાળકોનું અપહરણ કરતી ગેંગના વહેમમાં નિર્દોષ લોકો પર હુમલાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. પોલીસે નિર્દોષોને માર મારવાના આરોપસર 2 અલગ અલગ ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સોશિયલ મીડિયામાં વાયરલ થયા મેસેજ
વિગતવાર વાત કરીએ તો તાજેતરમાં બાળકો ઉપાડી જતી ગેંગ સક્રિય થઇ હોવાના મેસેજ વાયરલ થઇ રહ્યા છે. ઘણા મેસેજ સાથે વીડિયો પણ જોવા મળ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં ટોળકીઓ ફરી રહી છે જે બાળકોનું અપહરણ કરી રહી છે. આ વાયરલ મેસેજની લોકોના માનસપટલ ઉપર એટલી ગંભીર અસર પહોંચી છે કે આસપાસના વિસ્તારમાં નજીવી શંકામાં પણ નિર્દોષોને માર મારવાની ઘટનાઓ સામે આવી રહી છે.
બે મહિલાઓને માર્યો હતો માર
ભરૂચના બી ડિવિઝન વિસ્તાર સ્થિત APMC માર્કેટ પાસે પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી, જેમાં બે મહિલાઓને ટોળાએ એ હદે માર માર્યો કે તેમને સારવાર આપવાની ફરજ પડી હતી. ઘટના બાદ ભરૂચના SP ડૉ. લીના પાટીલે ચેતવણી જાહેર કરી શંકાસ્પદ મામલાઓમાં કાયદો હાથમાં ન લઈ પોલીસને માહિતગાર કરવા જણાવવામાં આવ્યું હતું, આ મામલે પોલીસ દ્વારા કકડ કાર્યવાહી કરવામાં આવી છે.
29 લોકો સામે ફરિયાદ દાખલ
પોલીસે બાળકો ઉઠાવી જવાની શંકાએ નિર્દોષોને માર મારનાર 29 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. બે બનાવમાં 2 અલગ અલગ ગુના દાખલ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં ખોટા વાયરલ મેસેજના કારણે આ ઘટના બની હતી, ત્યારે મેસેજ વાયરલ કરનાર તત્વો સામે પણ પોલીસ લાલ આંખ કરી રહી છે. હવે કોઈ આ મામલે અફવા ફેલાવશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેવું ભરૂચના એસ.પી લીના પાટીલે જણાવ્યું છે.