જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં કોંગ્રેસને 125 સીટ મળશે, લોકો મોટી સંખ્યામાં કોંગ્રેસ તરફી મતદાન કરશે.
કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન, કોંગ્રેસને કુલ 125 સીટ મળશે
ગઇકાલે કાંતિ ખરાડીના કારના કાફલા પર કરાયો હુમલો: જગદીશ ઠાકોર
4 કલાક બાદ કાંતિભાઈનો ફોન મોઢવાડિયા પર આવ્યો: ઠાકોર
કલોલ, બનાસકાંઠામાં પોલીસનો દૂરપયોગ કરે છે ભાજપ: ઠાકોર
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ હાલ બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. તેવામાં હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં કોંગ્રેસને 125 સીટ મળશે. લોકો મોટી સંખ્યામાં કોંગ્રેસ તરફી મતદાન કરશે. આ સાથે દાંતાના ઉમેદવાર કાંતિ ખરાડી મુદ્દે કહ્યું હતું કે, ભાજપ ધાક-ધમકીથી ચૂંટણી લડી રહ્યું છે.
શું કહ્યું જગદીશ ઠાકોરે ?
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રે અમારા દાંતાના ઉમેદવાર કાંતિ ખરાડીના કાફલા પર હુમલો કરાયો. જે ઘટનાની જાણ અમને છેક 4 કલાક બાદ અમારા ઉમેદવાર કાંતિભાઈએ અર્જુન મોઢવાડીયાને ફોન કરીને કરી હતી. જે બાદમાં અમે મોદી રાત્રે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પાસે ગયા હતા.
કોંગ્રેસને કુલ 125 સીટ મળશે: જગદીશ ઠાકોર
જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, લોકો મોટી સંખ્યામાં કોંગ્રેસ તરફી મતદાન કરશે. કોંગ્રેસને કુલ 125 સીટ મળશે. આ સાથે જગદીશ ઠાકોરે આક્ષેપ કર્યો છે કે, ભાજપ કલોલ અને બનાસકાંઠામાં પોલીસનો દુરૂપયોગ કરે છે.
કાંતિ ખરાડી કેમ છે ચર્ચામાં ?
વાસ્તવમાં ગઇકાલ રાતે કોંગ્રેસના બનાસકાંઠા જિલ્લાના દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી ગુમ થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં દાંતા તાલુકાના છોટા બામોદરા પાસે કાંતિ ખરાડીની ગાડી રોકાવી પલટી મરાવી હોવાની વાત સામે આવી હતી. આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ટ્વિટ કરી લખ્યું હતું કે, કાંતિ ખરાડીનું માર મારી અપહરણ કરાયું છે. જે બાદમાં તેઓ આજે સવારે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે પાલનપુર સિવિલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. આ તરફ હવે ચૂંટણી પંચ પણ એક્શનમાં આવ્યું છે અને કાંતિ ખરાડીને વધુ સુરક્ષા આપવા નિર્દેશ કર્યા છે.
શું હતી સમગ્ર ઘટના ?
ગઇકાલે રાત્રે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીનું માર મારી અપહરણ કરાયું છે. જે બાદમાં જિલ્લાની પોલીસ એક્શનમાં આવી અને તેમની શોધખોળ હાથ ધરી હતી. આ દરમ્યાન આજે વહેલી સવારે કાંતિ ખરાડી મળી આવ્યા હતા. આજે સવારે કાંતિ ખરાડી મોટી સંખ્યામાં લોકો સાથે પાલનપુર સિવિલમાં સારવાર કરવા પહોંચ્યા હતા. મહત્વનું છે કે, તેમણે નિવેદન મુજબ ગઇકાલે રાત્રેના સમયે જંગલ વિસ્તારમાં ભાગવા સમયે તેઓ ઈજાગ્રસ્ત બન્યા હતા.
શું કહ્યું કાંતિ ખરાડીએ ?
દાંતાના કોંગ્રેસી ધારાસભ્ય અને ઉમેદવાર કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રે ભાજપનાં ઉમેદવાર અને અન્ય વ્યક્તિઓએ ગાડી પર હુમલો કર્યો હતો. આ સાથે હુમલો કરનારા વ્યક્તિઓ હથિયારો સાથે આવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. જે બાદમાં જંગલમાં દોડીને મેં જીવ બચાવ્યો અને જંગલમાં પડી જવાથી ઈજા પહોંચી હોવાનું કાંતિ ખરાડીએ જણાવ્યું હતું.