સુરતમાં વકીલ મેહુલ બોઘરા પર હુમલો કરનાર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડને લઇ સરકારી વકીલે કહ્યું કે, 'આરોપી હત્યાના પ્રયાસની માનસિકતા રાખતો હોય એવું જણાઈ આવે છે.'
સુરતમાં વકીલ મેહુલ બોઘરા પર હુમલાનો મામલો
આરોપી સાજન ભરવાડ તરફી જામીન અરજીની માંગ કરાઈ
સાજન ભરવાડે પોલીસની કામગીરી પર પાણી ફેરવ્યુંઃ સરકારી વકીલ
સુરતમાં વકીલ મેહુલ બોઘરા પર હુમલા મામલે આરોપી સાજન ભરવાડ તરફી જામીન અરજીની માંગ કરવામાં આવી. જેમાં મેહુલ તરફે સરકારી વકીલ નયન સુખડવાલા દ્વારા કોર્ટમાં દલીલો કરાઈ.
TRB જવાન પાસે દંડો રાખવાની સત્તા નથી: સરકારી વકીલ
સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરતા કહ્યું કે, 'સાજન ભરવાડ TRB જવાન છે. દંડ ઉઘરાવવાની કે દંડો રાખવાની સત્તા TRB જવાન પાસે નથી. સાજન ભરવાડે પોલીસની સારી કામગીરી પર પાણી ફેરવ્યું. આરોપી હત્યાના પ્રયાસની માનસિકતા રાખતો હોય એવું જણાઈ આવે છે.' જણાવી દઇએ કે, સાજન તરફે વકીલ મિનેશ ઝવેરીએ કોર્ટમાં દલીલો કરી હતી. ત્યારે હવે સાજન ભરવાડની જામીન અંગેનો ચુકાદો આગામી તારીખ 9 સપ્ટેમ્બરના રોજ આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, સુરતના વકીલ મેહુલ બોઘરા પર કરવામાં આવેલા હુમલાને લઇને સમગ્ર ગુજરાતમાં ભારે વિવાદ સર્જાયો છે. ત્યારે આ ઘટનામાં વકીલ મંડળની મળેલી સામાન્ય સભામાં એવો નિર્ણય લેવાયો હતો કે સાજન ભરવાડ તરફથી કોઈ વકીલે કેસ ન લડવો. પરંતુ મિનેશ ઝવેરીએ પોતાનો વકીલ ધર્મ બજાવતા તેઓ સાજન ભરવાડ તરફથી કેસ લડવા તૈયાર હતા. તેના પ્રત્યાઘાત રૂપે હવે એડ્વોકેટ મિનેશ ઝવેરીને વકીલ મંડળમાંથી આજીવન સસ્પેન્ડ કરી દેવાયા છે.
સુરતમાં ઍડવોકેટ મેહુલ બોઘરા પર હુમલા મામલે આરોપી સાજન ભરવાડ તરફી જામીન અરજીની માંગ, સરકારી વકીલે કહ્યું 'સાજન ભરવાડ TRB જવાન છે, દંડ ઉઘરાવવો કે દંડો રાખવાની સત્તા તેની પાસે નથી', 9 સપ્ટેમ્બરે આવી શકે છે જામીન અંગેનો ચુકાદો#Surat#Gujarat#mehulbogharacase
અગાઉ આ ઘટનાને લઇ પોલીસ અધિકારીઓ પર તવાઈ બોલાવાઇ હતી
વધુમાં આ ઘટના બાદ સુરત પોલીસ એક્શનમાં આવતા 37 TRB જવાનોને પણ ડિસમીસ કરી દેવાયા હતા. તો સાથે મોડી ફરિયાદ લેનાર સરથાણા PIની બદલી કરી દેવાઇ હતી. PI એમ.કે ગુર્જરને કંટ્રોલરૂમમાં મુકાયા હતા. તદુપરાંત એમ.કે ગુર્જર સહિત અન્ય 4 PIની આતંરિક બદલી કરી દેવાઇ હતી. વધુમાં SOG PSI રાજેશ સુવેરાને PCBમાં મુકાયા હતા તો સરથાણા PI તરીકે વી.એલ પટેલને ફરજ સોંપવામાં આવી હતી.
જાણો શું હતી સમગ્ર ઘટના?
થોડાંક દિવસ અગાઉ સુરતના સરથાણા કેનાલ રોડ પર લસકાણા ચોકીથી 50 મીટરના અંતરે વકીલ મેહુલ બોઘરા પર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો. સુરતના વકીલ મેહુલ બોઘરાએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયા પર લાઇવ કરતાં ઉશ્કેરાયેલા સાજન ભરવાડે મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો. આથી, સમગ્ર ગુજરાતમાં આ ઘટનાને લઇને વકીલોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.