પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુરમાં ભાજપની રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા રેલીને સંબોધવામાં આવી હતી. ત્યારે રેલી પૂરી થયા પછી રેલી માટે કાર્યકર્તાઓને લઈને આવનારી બસ પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. બસમાં તોડફોડ કરવામાં આવી હતી તેમજ એક બાઈકને આગ લગાડવામાં આવી હતી. તથા હુમલાખોરોએ મહિલા કાર્યકર્તાઓ પર પણ હુમલો કર્યો હતો.
ત્યારે ભાજપે આ મામલે ત્યાંની રાજ્ય સરકાર TMC પર આક્ષેપ લગાવ્યો હતો. ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીએ મમતા બેનર્જીને ચીમકી આપી હતી કે 'પાર્ટી કાર્યકર્તાઓ પર આ રીતે કરેલો હુમલો તેમને નુકસાન પહોંચાડી શકે છે.'
તો બીજી બાજુ પશ્વિમ બંગાળના ભાજપના નેતા રાહુલ સિંહાએ TMC પર નિશાન સાધતા કહ્યુ હતુ કે 'TMC અમારી વધી રહેલી તાકાતથી ડરી રહી છે. એટલે જ તે હિંસા પર ઉતરી આવી છે. પરંતુ એ બહુ જ ખરાબ વાત છે કે આ આખી ઘટના પોલીસની સામે જ બની અને પોલીસ મુક પ્રેક્ષક બનીને જોઈ રહી.'
મહત્વનું છે કે આ અગાઉ તંત્ર દ્વારા ભાજપની રેલીનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેને લઈને સુપ્રીમ કોર્ટમાં પરમીશન નહીં આપવા મામલે અરજી કરવામાં આવી હતી. સુપ્રીમે રેલીને મંજૂરી આપી ન હતી. તેમ છતાં ભાજપ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું.