વડોદરા: ગુજરાતમાં પરપ્રાંતિયો પર થઈ રહેલા હુમલા મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે કોઈપણ દોષિતોને છોડવામાં નહીં આવે.
રાજ્યમાં હાલ સઘન પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને છેલ્લા 48 કલાકમાં કોઈ અનિચ્છનીય ઘટના બની નથી અને હાલ રાજ્યમાં શાંતિનો માહોલ છે.
ઉલ્લેખનીય છે કે આ ઘટનાના પડઘા દિલ્હી સુધી પહોંચ્યા છે. બિન ગુજરાતી લોકો પરના હુમલા મામલે ભારત સરકારના ગૃહ મંત્રાલયે રાજ્યની રૂપાણી સરકાર પાસેથી રિપોર્ટ માગ્યો છે. તો આ તરફ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે.
બિન ગુજરાતીઓ વતન જવા માટે ટ્રેનમાં બેસવા માટે લાંબી લાઇનો લાગી છે. આ દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આપને જણાવી દઇએ કે આ તરફ અમદાવાદમાં બિન ગુજરાતીઓ પર થયેલા હુમલાને લઈને એડિશન પોલીસ કમિશનર અશોક યાદવે નિવેદન આપતા કહ્યું છે કે કોઈ પણ શખ્સ સોશિયલ મીડિયામાં અફવા ફેલાવે અથવા કોઈને ધમકી મળે તે તેમણે પોલીસને જાણ કરવી જોઈએ.
કાયદો તોડનાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ તેમણે શહેરની જનતાને શાંતિ રાખવા અપીલ પણ કરી હતી. આ મામલે પૂર્વ વિસ્તારમાં 6 ફરિયાદો કરવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે અત્યાર સુધી 70 જેટલા લોકોની અટકાયત પણ કરી છે. સાથે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવે છે.