ગાંધીનગરઃ પરપ્રાંતિયો પર થઈ રહેલા હુમલાને લઈને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સરકાર પર આરોપ લગાવતા કહ્યુ હતુ કે ભાજપના કાર્યકરો અમને ફસાવવા માગે છે. નાયબ મુખ્યમંત્રીના ઈશારે તમામ રાજનીતિ થઈ રહી છે. ત્યાર બાદ નીતિન પટેલે પ્રતિક્રિયા આપી કે છેલ્લા પાંચ-છ દિવસથી ગુજરાતમાં જે ચાલી રહ્યુ છે તે જનતા જોઈ રહી છે. આ હુમલાઓ કોણ કરાવી રહ્યા છે અને કોના ઈશારે ચાલે છે તે ક્યા પક્ષ સાથે જોડાયેલા છે તે તમામ લોકો જાણે છે.
મહત્વનું છે કે સાબરકાંઠામાં બાળકી પર અત્યાચારના બનાવ બાદ સમગ્ર રાજ્યમાં તેના પડઘા પડેલા જોવા મળી રહ્યા છે. પરપ્રાંતીય કામદારોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા હોવાની ઘટનાઓ બાદ પોલીસ હરકતમાં જોવા મળી રહી હોવા છતાં પણ પરપ્રાંતીયો ડરનો સામનો કરી રહ્યા છે અને ઘર છોડી જવા મજબુર બન્યા છે.
કલોલ પાસે આવેલ મોટી ભોયણ ગામમાં રહેતા અનેક પરપ્રાંતીય પરિવારો તેઓ જ્યાં રહેતા હતા ટે જગ્યા છોડીને પલાયન થઇ ગયા છે. જે કેટલાક લોકો રહી ગયા છે તેઓ પણ ડરનો સામનો કરી રહ્યા છે. ગામના સરપંચ પણ જણાવી રહ્યા છે કે અનેક પરિવારો ડરનાં કારણે તેમનું ગામ છોડીને ચાલ્યા ગયા છે. પરપ્રાંતીયો જણાવી રહ્યા છે કે રાત્રે આવીને તેમને ડરાવવામાં આવી રહ્યા છે.