લખનૌમાં હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યા કરનાર અશફાક હુસેન શેખે રોહિત સોલંકીના નામે નકલી દસ્તાવેજ બનાવી સોશિયલ મીડિયા દ્વારા કમલેશનો સંપર્ક કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. કમલેશ તિવારીના ફેસબુક એકાઉન્ટ તેમજ ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયામાં કેટલાક ફ્રેન્ડ્સ અને ફોલોઅર્સ છે, જેમણે ફેક આઇડી બનાવીને તિવારી સાથે ઘરોબો કેળવ્યો હતો તે તમામ ગુજરાત એટીએસ, યુપી પોલીસ સહિતની તપાસ એજન્સીની રડારમાં છે.
નકલી આઈડીથી આવ્યા હતા કમલેશના સંપર્કમાં
કમલેશ તિવારીના ફ્રેન્ડ્સ-ફોલોઅર્સ ATSના રડારમાં
સોશિયલ મીડિયામાં એક્ટિવ હતા કમલેશ તિવારી
એક વર્ષથી કાવતરું ઘડ્યા બાદ કરી હત્યા
લખનૌમાં કમલેશ તિવારીની હત્યા જુહાપુરાના અશફાક શેખે કરી હોવાનું કનેક્શન ખૂલ્યું છે. ફાર્મા કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા અશફાક શેખે ફેસબુક પર રોહિત સોલંકી નામ ધારણ કરીને ડમી એકાઉન્ટ ખોલ્યું હતું અને હિન્દુ સમાજ પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ જૈમિન દવે સાથે સંપર્ક કેળવીને મેમ્બરિશપ મેળવી હતી. કમલેશ તિવારીની હત્યા કરવા માટે એક વર્ષથી કાવતરું ઘડાતું હતું. કમલેશ તિવારી સુધી પહોંચવા માટે અશફાકે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો અને ફેક આઇડી બનાવીને જય શ્રીરામના સૂત્રોચ્ચાર કરીને તિવારીનું દિલ જીતી લીધું હતું.
સોશિયલ મીડિયામાં એક્ટિવ હતા કમલેશ તિવારી
કમલેશ તિવારી સોશિયલ મીડિયા પર એક્ટિવ હતા, જેથી સુરક્ષા એજન્સીઓએ તેમના ફોલોઅર્સની તપાસ શરૂ કરી છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર કમલેશ તિવારીની હત્યા કરવા માટે અશફાકે ફેક આઇડી બનાવ્યું હતું, જેથી તેના જેવા અનેક લોકો હશે કે જેમણે ફેક આઇડી બનાવીને તિવારી સુધી પહોંચવા માટે પ્રયત્ન કર્યા હશે. આ સિવાય સોશિયલ મીડિયામાં તિવારીની હત્યાથી ખુશ થઇને જે લોકોએ પોસ્ટ કરી છે તેમની પણ તપાસ કરવામાં આવશે. હાલ અશફાક વોન્ડેટ છે અને તેનું લોકેશન પોલીસ પાસે હોવાનું પણ ચર્ચાઇ
રહ્યું છે.