ઉમેશ પાલના અપહરણ કેસમાં મુખ્ય આરોપી અતીક અહેમદ બાદ તેના ભાઇને પણ હવે યુપીના પ્રયાગરાજ લઇ જવાનો માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે.
અતીક અહેમદ બાદ હવે ભાઇ અશરફનો વારો
બરેલી જેલમાં આખી રાત હલચલ મચી ગઇ
અતીકના ભાઇને પણ પ્રયાગરાજ લઈ જવાનો પ્લાનિંગ
ઉમેશ પાલના અપહરણ અને હત્યાના મુખ્ય આરોપી અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની મુશ્કેલીઓ હવે ધીરે-ધીરે વધી રહી છે. એક તરફ ઉત્તર પ્રદેશ પોલીસ ગુજરાતની સાબરમતી જેલમાંથી અતીક અહેમદને પ્રયાગરાજ લઇ જઇ રહી છે, તો બીજી તરફ બરેલી જિલ્લા જેલમાં બંધ અતીક અહેમદના ભાઈ અશરફ ઉર્ફે ખાલિદ અસીમને પણ આજે પ્રયાગરાજ લઇ જવાની યોજના છે. ખાલિદ અસીમ છેલ્લા અઢી વર્ષથી બરેલી જેલમાં બંધ છે ત્યારે અતીક અહેમદની જેમ હવે તેને પણ પ્રયાગરાજ લઈ જવાનો પ્લાનિંગ કરવામાં આવી રહ્યો છે.
અતીકના ભાઈ અશરફને લાવવા પ્રયાગરાજ પોલીસ પહોંચી બરેલી જેલ
તમને જણાવી દઈએ કે, પ્રયાગરાજમાં રાજુ પાલ મર્ડર કેસ બાદ સાક્ષી ઉમેશ પાલના અપહરણમાં અતિક અહેમદ અને તેનો ભાઈ અશરફ મુખ્ય આરોપી છે. અપહરણ કેસમાં અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ વિરુદ્ધ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે આ કેસમાં 28મી માર્ચે સજા સંભળાવવામાં આવી શકે છે. જેના લીધે બંનેને કોર્ટમાં રજૂ કરવા પડશે. પ્રયાગરાજ પોલીસ અતીકના ભાઈ અશરફને લાવવા વજ્ર વાહન સાથે બરેલી જેલ પહોંચી છે. જેની માટે કુલ 24 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ તૈયાર કરવામાં આવી છે.
પ્રયાગરાજના એક CO, ઇન્સ્પેક્ટર સહિત 8 પોલીસ કર્મીઓ સામેલ છે. બરેલીથી તેમની સાથે એક સીઓ, ત્રણ ઈન્સ્પેક્ટર, પાંચ સબ ઈન્સ્પેક્ટર સહિત 16 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. STFની ટીમ પણ સાથે રહેશે. અશરફને પ્રયાગરાજ લઈ જવાનો માર્ગ પોલીસ દ્વારા સુરક્ષાના કારણોસર ગુપ્ત રાખવામાં આવ્યો છે. જો કે, રૂટના તમામ પોલીસ સ્ટેશનોને અશરફના કાફલાને તાકીદે હટાવવા સૂચના આપવામાં આવી હતી. અન્ય પોલીસ સ્ટેશનની ટીમને મળ્યા બાદ જ એસ્કોર્ટ સાથેની ટીમને હટાવવામાં આવશે.
1 DSP, 1 ઈન્સ્પેક્ટર સહિત 8 પોલીસકર્મીઓ પ્રયાગરાજથી બરેલી પહોંચી ગયા છે
1 DSP, 1 ઈન્સ્પેક્ટર સહિત 8 પોલીસકર્મીઓ પ્રયાગરાજથી બરેલી પહોંચી ગયા છે. બીજી તરફ બરેલીના 1 DSP, 3 ઈન્સ્પેક્ટર સહિત 16 પોલીસકર્મીઓ અશરફ સાથે પ્રયાગરાજ જશે. આ સાથે જે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અશરફનો કાફલો પસાર થશે, તે પોલીસ સ્ટેશનના પોલીસ વાહનો પણ અશરફની સાથે રહેશે અને તેઓને તેમના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સુરક્ષિત રીતે રસ્તો પાર પડાવશે. અશરફને બરેલીથી પ્રયાગરાજ લઈ જવાનો સંભવિત માર્ગ બરેલી, શાહજહાંપુર, સીતાપુર, લખનૌ, રાયબરેલી અને ત્યાર બાદ પ્રયાગરાજ હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરી, 2023ના રોજ પ્રયાગરાજમાં ઉમેશ પાલ મર્ડર કેસમાં અતીક અને તેનો ભાઈ આરોપી છે. આ હત્યા કેસના તાર બરેલી જેલમાં બંધ અશરફ સાથે પણ જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આથી કડક સુરક્ષા વચ્ચે અશરફને પણ બરેલી જેલમાંથી પ્રયાગરાજ લઇ જવાશે. પ્રયાગરાજ બરેલીથી લગભગ 450 કિલોમીટર દૂર છે. બરેલીથી પ્રયાગરાજ પહોંચવામાં સાડા નવ કલાક લાગી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ અશરફને બરેલીથી શાહજહાંપુર, સીતાપુર અને લખનઉ થઈને પ્રયાગરાજ લઈ જઈ શકે છે.