સરકારના નવા નિયમ હેઠળ હવે આવકવેરો ભરનાર અટલ પેન્શન યોજના માટે અરજી કરી શકતા નથી. આ નિયમ 1 ઓક્ટોબર 2022થી લાગુ થશે.
કરદાતાઓને મોટો ઝટકો
અટલ પેન્શન યોજનામાં સરકારે મોટો ફેરફાર કર્યો
હવે આવકવેેરો ભરનાર અટલ પેન્શન યોજના માટે અરજી કરી શકશે નહીં
મોદી સરકારની મહત્વાકાંક્ષી યોજના અટલ પેન્શન યોજનામાં સરકારે મોટો ફેરફાર કર્યો છે. નાણા મંત્રાલય તરફથી આ ફેરફારને લઇને નોટીફિકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. નવા નિયમ હેઠળ હવે આવકવેેરો ભરનાર અટલ પેન્શન યોજના માટે અરજી કરી શકશે નહીં. નિવૃત્તિ બાદ સિક્યોર લાઈફની ઈચ્છા રાખનારા લોકો માટે અટલ પેન્શન યોજના એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
સરકાર સમય પ્રમાણે રિવ્યુ પણ કરશે
નાણા મંત્રાલય તરફથી જાહેર નોટીફિકેશન મુજબ આ નિયમ 1 ઓક્ટોબર, 2022થી લાગુ થશે. ત્યારબાદ એવુ કોઈ પણ વ્યક્તિ જે આવકવેરા કાયદા મુજબ ઈન્કમટેક્સ પેયર છે તો તે અરજી કરી શકશે નહીં. જો તે આવુ કરતા પકડાશે તો તાત્કાલિક તેનુ ખાતુ બંધ કરી દેવામાં આવશે. આ સાથે એવા સમય સુધી જમા પૈસા તેના ખાતામાં ટ્રાન્સફર થઇ જશે. જેમાં કોઈ પણ પ્રકારની ગડબડ ના હોય. જેના માટે સરકાર તરફથી સમય પ્રમાણે તેનો રિવ્યુ પણ કરવામાં આવશે.
દર મહિને 5 હજાર રૂપિયાનુ પેન્શન
હાલના નિયમો મુજબ જો તમે ભારતના નાગરિક છો તો તમારી ઉંમર 18-40 વર્ષની વચ્ચે છે અને કોઈ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં તમારું બચત ખાતુ છે તો તમે APY માટે અરજી કરી શકો છો. ઉલ્લેખનીય છે કે અટલ પેન્શન યોજના APYમાં રોકાણ કરવાથી નક્કી ઉંમર થયા બાદ દર મહિને 5 હજાર રૂપિયા સુધીનુ પેન્શન મળવાની જોગવાઈ છે.
4 કરોડથી વધુ સબ્સક્રાઈબર્સ જોડાયા
પેન્શન ફંડ નિયામક તરફથી જાહેર આંકડા મુજબ આ યોજના દ્વારા 4 કરોડથી વધુ સબ્સક્રાઈબર્સ જોડાઈ ગયા છે. PFRDAએ જણાવ્યું કે નાણાંકીય વર્ષ 2021-22માં આશરે 1 કરોડ લોકોએ APY એકાઉન્ટ ખોલાવ્યું છે.