પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)એ અટલ પેન્શન યોજના (APY)માં એવા ફેરફાર કર્યા છે જેનો સીધો ફાયદો તેના 2.28 કરોડ ગ્રાહકોને મળશે. નવી સિસ્ટમ હેઠળ હવે સબ્સ્ક્રાઇબર્સ વર્ષમાં ગમે ત્યારે તેમની પેન્શનની રકમ વધારી અથવા ઘટાડી શકે છે. PFRDAએ તમામ બેંકોને વર્ષના કોઈપણ સમયે પેન્શનની રકમ ઘટાડવા અથવા વધારવાની પ્રક્રિયા શરૂ કરવા નિર્દેશ આપ્યો છે. આ નવી સુવિધા 1 જુલાઈ 2020થી અમલમાં આવી ચૂકી છે.
પેન્શનધારકો માટે કામના સમાચાર
વર્ષમાં ગમે ત્યારે પેન્શનની રકમ વધારી અથવા ઘટાડી શકાશે
PFRDAએ તમામ બેંકોને આપ્યો નિર્દેશ
APYમાં ફરીથી શરૂ કરી દેવાઈ ઓટો ડેબિટ ફેસિલિટી
PFRDAએ જણાવ્યા અનુસાર ગ્રાહકો નાણાકીય વર્ષમાં ફક્ત એક જ વાર આ સુવિધા મેળવી શકશે. અત્યાર સુધી માત્ર એપ્રિલમાં જ સબ્સ્ક્રાઇબર્સ તેમની પેન્શનની રકમમાં બદલાવ કરી શકતા હતા. ઓથોરિટીએ કહ્યું છે કે આ સુવિધા હેઠળ અટલ પેન્શન યોજનાના ગ્રાહકો તેમની આવક અનુસાર પેન્શન યોજનામાં ફેરફાર કરી શકશે. ઓથોરિટીના જણાવ્યા અનુસાર, અટલ પેન્શન યોજનાના યોગદાન માટે ઓટો ડેબિટ સુવિધા 1 જુલાઈ, 2020થી ફરીથી શરૂ થઈ ગઈ છે.
ઓથોરિટીએ COVID-19 મહામારી દરમિયાન ગ્રાહકોને રાહત આપવા 11 એપ્રિલ 2020ના રોજ એક પરિપત્ર બહાર પાડીને 30 જૂન 2020 સુધી ઓટો ડેબિટ સુવિધા બંધ કરી દીધી હતી. હાલની સિસ્ટમ અંતર્ગત જો 30 સપ્ટેમ્બર 2020 સુધીમાં એપ્રિલથી ઓગસ્ટની વચ્ચેના બાકી રહેલાં રકમ ગ્રાહકના બચત બેંક ખાતામાંથી કાપવામાં આવે છે તો તેમને કોઈ દંડ ભરવો પડશે નહીં. તમને જણાવી દઈએ કે, સરકારે મે 2015માં અટલ પેન્શન યોજના શરૂ કરી હતી.
પેન્શનની રકમ યોજના હેઠળના યોગદાન પર આધારિત છે
અટલ પેન્શન યોજનાનું સંચાલન PFRDAએ દ્વારા કરવામાં આવે છે. આ સ્કીમ અંતર્ગત 18-40 વર્ષ સુધીનો કોઈપણ ભારતીય નાગરિક આ યોજનામાં જોડાઈ શકે છે. આ માટે વ્યક્તિ પાસે કોઈ પણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જોઈએ. આ યોજના હેઠળ ગ્રાહકને 60 વર્ષ થયા પછી 1000 રૂપિયાથી 5000 રૂપિયાની વચ્ચે પેન્શન મળે છે. પેન્શનની રકમ યોજનામાં આપેલા યોગદાન પર આધારિત રહેશે.