લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક અમદાવાદમાં મળી. 58 વર્ષ બાદ મળેલી આ બેઠકમાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ ભાગ લીધો. આ બેઠકમાં એક હૃદયસ્પર્શી નજારો એ જોવા મળ્યો કે, સાબરમતી આશ્રમમાં રાહુલ ગાંધી, સોનિયાગાંધી અને ડો.મનમોહન સિંહ અગ્રીમ કતારમાં બેઠેલા જોવા મળ્યા, પરંતુ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી હોદ્દાનો પ્રોટોકોલ મૂકીને કાર્યકર્તાઓની વચ્ચે જઈને બેઠા, જોઈએ કાર્યકર્તાઓને ગમેલા પ્રિયંકાના એ અંદાજનો આ અહેવાલ.
58 વર્ષ બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક આજે અમદાવાદમાં યોજાઈ હતી. જેમાં દેશભરના કોંગ્રેસી નેતાઓ સાથે સમગ્ર ગાંધી પરિવાર અમદાવાદમાં આવ્યો હતો. વર્કિંગ કમિટીની બેઠક પહેલા ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામા આવ્યું હતું. જ્યાં ભજનની સૂરાવલિઓ વચ્ચે મહાત્મા ગાંધીજીને યાદ કરાયા હતા, પણ ગાંધી આશ્રમની આ મુલાકાતમાં આંખે ઉડીને વળગે તેવી વાત હતી પ્રિયંકા ગાંધીની બેઠક. સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા ગાંધી વાડરા તથા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ માટે પ્રાર્થના સભામાં અગ્રીમ હરોળમાં અલગ બેઠક વ્યવસ્થા હતી, તેમ છતાં પ્રિયંકા ગાંધી અન્ય કાર્યકરોની વચ્ચે બેઠા હતા. તેમની આ રીતભાત સામાન્ય નેતાઓને તો ગમી જ સાથે રાજ્યની કરોડો જનતાને સ્પર્શી ગઈ.
કોંગ્રેસ પક્ષમાં મહાસચિવ પદે નિયુક્ત થયા હોવા છતાં પ્રિયંકા વાડરા ગાંધી ગાંધી અશ્રમમાં પ્રાર્થના સભામાં પ્રથમ હરોળમાં પોતાના માટે વ્યવસ્થા કરાયેલી સીટ પર બેસવાના બદલે સામાન્ય કાર્યકર્તાઓની જેમ જ્યોતિરાદિત્ય સિંઘિયા, સચિન પાટલટ અને અલ્પેશ ઠાકોર સાથે બેઠેલા જોવા મળ્યા. તો બીજી તરફ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને ડો.મનમોહન સિંહની બેઠક વ્યવસ્થામાં વચ્ચે એક જગ્યા ખાલી હતી. સંભવિત રીતે આ જગ્યા પ્રિયંકા ગાંધી માટે હોવાનું ચર્ચાઈ રહ્યું છે, પણ આખરે પ્રિયંકા ગાંધી કેમ આ જગ્યા પર ન બેઠા? કે તેમને આ જગ્યા પર ન બેસાડાયા? તે વિશે પણ કેટાલાક લોકોમાં ચર્ચાનો દોર શરૂ થયો હતો, પરંતું કોંગેસી કાર્યકર્તાઓમાં પ્રિયંકાની આ રીતભાતની પ્રશંસા થઈ રહી છે. કેમ કે, આજકાલ મહાસચિવ બન્યાબાદ પ્રિયંકા સામાન્ય કાર્યકરોની જેમ લોકોની વચ્ચે નજરે ચડી રહ્યા છે. મિલનસાર સ્વભાવ માટે જાણીતા પ્રિયંકા કાર્યકર્તાઓ સાથે હળીમળીને જમીની સ્તરે કામ કરી રહ્યા છે. રાજનીતિમાં પ્રિયંકાના પ્રવેશબાદ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે.
સક્રિય રાજકારણમાં આવ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલગાંધીએ પ્રિયંકાને પૂર્વી ઉત્તરપ્રદેશમાં અને જ્યોતિરાદિત્ય સિંઘિયાને પશ્ચિમી ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપી છે. રાજકારણમાં આવતા પહેલા પ્રિયંકાએ કોંગ્રેસમાં પૃષ્ઠભૂમિમાં રહીને કામ કર્યું હતું. પ્રિયંકા ગાંધીએ માતા સોનિયાગાંધીના મતક્ષેત્ર રાયબરેલી અને રાહુલ ગાંધીના લોકસભા ક્ષેત્ર અમેઠી સુધી જ પોતેને સીમિત રાખ્યા હતા, પરંતુ હવે તેઓ દેશની એક એક ગલીઓ સુધી સાચા ભારતનો સંદેશો આપવાનો મૂડ બનાવી ચૂક્યા છે.
રાજકારણમાં કોંગ્રેસ મહાસચિવ તરીકે પ્રિયંકા ગાંધીનો પ્રવેશ એટલા માટે પણ પડકાર ભર્યો માનવામાં આવી રહ્યો છે કે, પ્રધાનમંત્રી નરેદ્ર મોદીનો લોકસભા મતવિસ્તાર વારાણસી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ગૃહ વિસ્તાર ગોરખપુર પૂર્વી ઉત્તર પ્રદેશનો ભાગ છે.