સુરેન્દ્રનગરમાં સતત બીજા દિવસે હત્યાનો બીજો બનાવ પ્રકાસમાં આવતા પંથકમાં સનસનાટી મચી ગઈ છે.
સુરેન્દ્રનગરમાં સતત બીજા દિવસે હત્યા
મેઘાણીબાગ પાસે જમીન વિવાદમાં 2 લોકોએ કરી હત્યા
9 માસની પુત્રીની હત્યા કરી માતાએ પણ આયખું ટૂંકાવ્યું
સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવી હાલત જોવા મળી રહી છે. ગુનેગારોને જાણે પોલીસનો ડરના રહ્યો હોય તેમ બેફામ બનીને ફરી રહ્યા છે. તેવાં સંજોગો વચ્ચે સુરેન્દ્રનગરમાં સતત બીજા દિવસે હત્યાનો બનાવ સામે આવતા લોકોમાં પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ ઉપર ખૂની ખેલ ખેલાયો હતો. શહેરના મેઘાણીબાગ પાસે યુવાનની હત્યા નિપજાવવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જમીન મામલે ચાલતા ડખ્ખામાં બે શખ્સોએ યુવાને ધોળા દિવસે છરીના આડેધડ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દિધાનું સામે આવ્યું હતું.જે અંગે પોલીસને જાણ થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતક યુવાનની ડેડબોડીને પીએમ માટે ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બાદ પોલીસે હત્યા પ્રકરણની તપાસ આરંભી હતી.
નવાગામમાં સગી જનેતાએ જ બાળકનો જીવ લીધો
અન્ય એક બનાવમાં સુરેન્દ્રનગરના થાન તાલુકાના નવાગામમાં સગી જનેતાએ જ બાળકનો જીવ લીધો હતો. 9 માસની પુત્રીની હત્યા કરી માતાએ ગળાફાંસો ખાઇ આયખું ટૂંકાવી લીધું હતું. નવાગામ વિસ્તારમાં ખુદ માતાએ પોતાની પુત્રીની હત્યા કરી હતી. આ અંગે પરિવારજનોને જાણ થતા બાળકીને હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ત્યારે ઘરે એકલી રહેલી માતાએ ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. કૌટુંબિક ઝઘડાને કારણે મહિલાએ આ પગલું ભર્યાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે. આ બનાવને પગલે પોલીસે દોડી જઈ સ્થાનિકોના નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરમાં લુખ્ખાઓ બેફામ
આમ માત્ર બે દિવસમાં હત્યાની બે લોહીયાળ ઘટના સામે આવી છે જેથી એક સમયના શાંત ગણતાં સુરેન્દ્રનગર જિલ્લામાં હવે મરમારી,હત્યા, લૂંટ સહિતની ઘટના જાણે આમ બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આથી લોકોમાં પોલીસ ક્યાં છે? તેવો અણીયારો સવાલ પેદા થયો છે. વધતા જતા ગુનાની સ્થિતિ વચ્ચે પણ પોલીસ તંત્ર કુંભકર્ણની માફક મીઠી ઊંઘમાં હોય અને સબસલામતીની જૂની કેસેટ વગાડતી હોવાની રવા ઉઠી છે. હત્યાના આવાં બનાવને લઈને પોલીસની આબરૂનું ધોવાણ થયું છે. આથી સુરેન્દ્રનગર પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને બેફામ બેનલા આરોપીઓ અંકુશમાં આવે તે માટે દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાંથી માંગ ઉઠી રહી છે.