વિશ્વમાં પહેલીવાર એકસાથે ત્રણ જગ્યાએથી 130થી વધુ લોકો દીક્ષા લેશે. દીક્ષા લેનાર વ્યક્તિઓ સામાન્ય નથી પરંતુ ભણેલા ગણેલા ગ્રેજયુએટથી લઈને સી.એ. સુધીના લોકો દીક્ષા લઈ રહ્યાં છે. જ્યારે આ કાર્યક્રમમાં એક સાથે 6 પરિવાર દીક્ષા લઈ રહ્યાં છે. જેમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે.
સુરતમાં 6 પરિવાર એક સાથે દીક્ષા લેશે
528 વર્ષ બાદ એકસાથે આટલાં લોકો દીક્ષા લેશે
નાના બાળકો પણ દીક્ષા લેશે
1 ફેબ્રુઆરીના રોજ વિશ્વમાં પહેલી વાર એકસાથે ત્રણ જગ્યા પરથી ૧૩૦થી વધુ મુમુક્ષો દીક્ષા લઇ સંયમનો માર્ગ અપનાવશે, જ્યારે સુરતના હીરાના વેપારીના 11 વર્ષીય તત્ત્વ દીક્ષા લેશે. આ દીક્ષા કાર્યક્રમમાં એકસાથે છ પરિવાર દીક્ષા લેશે તો સાથે જ હીરાના વેપારીનો આખો પરિવાર દીક્ષા લેવાનો છે.
દીક્ષા લઈ રહેલા મુમુક્ષુઓમાં 20થી વધુ યુવક-યુવતીઓ ગ્રેજ્યુએટથી લઈ સીએનો અભ્યાસ કરી ચૂક્યાં છે. કેટલાક મુમુક્ષુ ડાયમંડ અને ટેકસટાઇલ પરિવારમાંથી છે, કેટલાક હાઈ પ્રોફાઈલ જોબ કરે છે. સુરતના વેસુ વિસ્તારમાં આચાર્ય શ્રી વિજયશ્રેયાંશપ્રભુસૂરીશ્વરજીના સાંનિધ્યમાં 71 મુમુક્ષુ દીક્ષા લેશે. જ્યારે પાલ રામ પાવનભૂમિ ખાતે આચાર્ય અભયદેવસૂરીશ્વરજીના સાંનિધ્યમાં 5 મુમુક્ષુ દીક્ષા લેશે. આ ઉપરાંત પાલ ઓમકારસૂરી આરાધના ભવન ખાતે રર મુમુક્ષુ આચાર્ય શ્રીયશોવિજયસૂરીશ્વરજીના સાંનિધ્યમાં દીક્ષા લેશે. સુરતમાં યોજાનારા આ ઐતિહાસિક દીક્ષા સમારોહમાં 10થી લઇ 84 વર્ષ સુધીનાં ભાઈ-બહેનો છે, જેમાંથી 10 થી 17 વર્ષના17 લોકો, 18 થી 45 વર્ષના 40 અને ૪૦થી વધુ ઉંમરના તમામ લોકો છે.
આ સમારોહમાં પ૦થી વધુ જૈન સાધુ-સાધ્વીઓ હાજર રહેશે. 528 વર્ષ બાદ ભારતમાં આટલી મોટી સંખ્યામાં દીક્ષા લેવાશે. આ તમામ લોકો દેશના આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રથી સુરત આવશે. દીક્ષાંત સમારોહમાં નવ જેટલા લોકો સુરતના છે. સમારોહ જોવા માટે પ૦ હજારથી વધુ લોકો હાજર રહેશે, જેમાં દેશ-વિદેશના લોકો સામેલ છે.
સૌથી અગત્યની વાત છે કે આ દીક્ષાંત સમારોહમાં છ એવા પરિવાર છે, જેમના તમામ સભ્ય સાથે દીક્ષા લેશે, જેમાં સુરતના ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલો પરિવાર પણ છે.
પાલમાં આચાર્ય ગુણરત્નસૂરીશ્વર મહારાજસાહેબના સાંનિધ્યમાં 28 વર્ષથી હીરાનો વેપાર કરનાર વિજય મહેતાનો આખો પરિવાર દીક્ષા લેવાનો છે, જેમાં વિજયભાઈ મહેતા, તેમનાં પત્ની સંગીતાબહેન અને બંને પુત્રીઓ-દષ્ટિ અને આંગી દીક્ષા લેવાનાં છે. આખો પરિવાર વૈભવી લાઈફસ્ટાઈલ ત્યજીને સંયમના માર્ગે નીકળશે.