કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે શનિવારે 12 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે 12 રાજ્યોના સચિવો સાથે કરી મુલાકાત
રાજ્યોને સતર્ક રહેવાનો આદેશ
તહેવારોમાં ભીડને નિયંત્રિત કરવાનો પણ આદેશ
આરોગ્ય સચિવ રાજેશ ભુષણે રાજ્યો સાથે કોરોનાના કેસોમાં આવેલા ચિંતાજનક ઉછાળા અંગે ચર્ચા કરી હતી અને તેમને સતર્ક રહેવાનો આદેશ આપ્યા હતા.
બેઠકમાં તમામ રાજ્યોને આ પાંચ ઉપાયો કરવાનું જણાવાયું હતું.
(1) ટેસ્ટિંગમાં અસાધારણ વધારો કરવો
(2) અસરકારક આઈસોલેશન અને કોન્ટેક્ટ ટ્રેસિંગ
(3) હેલ્થકેર વર્કર્સમાં નવશક્તિ સંચાર કરવી
(4) લોકો પાસે કોરોનાના પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરાવવું
(5) રસીકરણનો લક્ષિત અભિગમ સાધવો
રાજેશ ભુષણે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય સચિવોને જણાવ્યું કે 46 જિલ્લાઓની ઓળખ કરાઈ છે અને તેમને કડકમાં કડક કન્ટેનમેન્ટ તથા જાહેર આરોગ્યના પગલાં ભરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું જણાવાયું છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહેવાયું કે માર્ચ 2021 માં આ 46 જિલ્લામાં કોરોનાના 71 ટકા કેસો નોંધાયા છે. મહારાષ્ટ્રના 36 જિલ્લામાંથી 25 જિલ્લામાં 59.8 ટકા નવા કેસો સામે આવ્યાં છે.
કેન્દ્રીય ગૃહસચિવ અજય ભલ્લા પણ રાજ્યોને પત્ર લખી ચૂક્યા છે
કેન્દ્રીય ગૃહસચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં જણાવ્યું કે આગામી સમયમાં દેશમાં હોળી-ધૂળેટી, ઈસ્ટર, ઈદ ઉલ ફિત્ર, પાક સાથે જોડાયેલા તહેવારો આવી રહ્યાં છે અને તેથી રાજ્યોએ ભીડને કાબૂમાં રાખવી પડશે તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરાવવું પડશે.
ગૃહ સચિવે લખ્યું કે તમે જાણો છો ને કે દેશ એક મુખ્ય તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તેથી કોરોનાના નિયમોનું કડકાઈથી પાલન કરવું જરુરી છે. સ્થિતિના આકલન બાદ ગૃહમંત્રાલયે 23 માર્ચે એક ગાઈડલાઈન જારી કરી હતી તેમાં ટેસ્ટ, ટ્રકેક અને ટ્રીટ પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરવાનું જણાવાયું હતું. ગૃહ સચિવે તમામ રાજ્યોના સચિવોને જિલ્લા વહિવટીતંત્ર, પોલીસ વહિવટીતંત્રને કોવિડ-19 ના યોગ્ય વર્તન અને એસઓપીનું પાલન કરવાનો આદેશ આપવાનું જણાવ્યું છએ. તે ઉપરાંત જન જાગૃતિ લાવવા માટેની ઝૂંબેશને પણ મજબૂત બનાવાની જરુર છે. તેમણે કહ્યું કે આરોગ્ય નિષ્ણાંતોના અવારનવાર જણાવ્યાનુસાર, જાહેર સ્થળો તથા કાર્યક્રમોમાં કોવિડ-19 ના પ્રોટોકોલ અને ગાઈડલાઈનને ચૂસ્તપણે વળગી રહેવાથી કોરોનાના ફેલાવાની ચેઈનને તોડવામાં તથા દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો કરવામાં મદદ મળશે.