બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / દેશભરના 11 શનિ મંદિરોમાંનું નવમું મંદિર એટલે બોન્ટાનું શનિદેવ ધામ, ભક્તો માટે શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ
Last Updated: 07:00 AM, 15 March 2025
રાજ્યની પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના બોન્ટાનું શનિદેવ ધામ ભક્તો માટે પવિત્ર સ્થળ છે. જંગલ વિસ્તારમાં આવેલા શનિદેવધામ પરિસરમાં ત્ર્યંબકેશ્વર મહાદેવ, સાંઈબાબા અને કર્મના ફળદાતા તરીકે જાણીતા શનિદેવના મંદિર આવેલા છે. બોન્ટાના શનિધામને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ માનવામાં આવે છે.
ADVERTISEMENT
દાદરા નગર હવેલીના બોન્ટા ગામમાં શનિદેવ ધામ
ADVERTISEMENT
રાજ્યના પડોશમાં આવેલું દાદરા નગર હવેલી એક નાનકડો સંઘ પ્રદેશ છે. આ પ્રદેશની એક તરફ ગુજરાત અને એક તરફ મહારાષ્ટ્ર આવેલું છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના વચ્ચે આવેલો આ નાનકડો સંઘપ્રદેશ અનેક રીતે જાણીતો છે. સંઘપ્રદેશમાં ધાર્મિક આસ્થાના અનેક કેન્દ્રો આવેલા છે. દાદરા નગર હવેલીના અંતરિયાળ છેવાડાના વિસ્તારમા બોન્ટા નામનું નાનુ ગામ આવેલું છે. ગામ નાનું છે પણ સમગ્ર દાદરા નગર હવેલીની સાથે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખૂબ જાણીતું છે.
શનિદેવની પ્રતિકૃતિ સમા શનિદેવ અહિં બિરાજમાન
બોન્ટા ગામમાં હજારો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર શનિધામ આવેલું છે. મહારાષ્ટ્રના જાણીતા શનિ શીંગણાપુરના શનિદેવની પ્રતિકૃતિ સમા શનિદેવ અહિં બિરાજમાન છે. બોન્ટાના જંગલ વિસ્તારમાં બાબા રવિનાથ દ્વારા શનિદેવની સ્થાપના કરવામાં આવી હતી. દાદરા નગર હવેલીના છેવાડે આવેલુ બોન્ટા ગામ અને આસપાસનો વિસ્તાર સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે. ડુંગરાળ વિસ્તારમાં આવેલુ બોન્ટા ખૂબ નાનું ગામ છે. વર્ષ 2008માં આ સ્થળ પર શ્રી રવિનાથજી ઉર્ફે, ખંડેશ્વરી મહારાજ નામના એક યોગી પધાર્યા હતા. તેમણે અને સ્થાનિક લોકો આ સ્થળ પર શનિધામ બનાવવાનો નિર્ધાર કર્યો અને2008 માં જ ભૂમિ પૂજન કરી અને નિર્માણ શરૂ કર્યું હતુ.
ત્રંબકેશ્વર મહાદેવ અને સાંઈબાબાના મંદિર આવેલા છે
કુદરતી વાતાવરણમાં આવેલા શનિદેવના ધામમાં શનિદેવ, ત્રંબકેશ્વર મહાદેવ અને સાંઈબાબાના મંદિર આવેલા છે. આમ મહારાષ્ટ્રના તીર્થ સ્થળોના ત્રિવેણી સંગમ સમા ત્ર્યંબકેશ્વર, શિરડી અને શિંગણાપુરને એક જ પરિસરમાં સમાવતું હોય તેમ ત્રણે મંદિરો એક જ પરિસરમાં આવેલા છે. આથી લાખો શ્રદ્ધાળુઓ માટે શનિધામ આસ્થાનું કેન્દ્ર છે. મહારાષ્ટ્રના શનિ શિંગણાપુર, ત્ર્યંબકેશ્વર મહાદેવ અને શિરડીના સાંઈબાબા ધામ વચ્ચે કિલોમીટરોનું અંતર છે. આ ત્રણેય ધામો સુધી જવા કલાકોનો સમય લાગે છે. આ ત્રણેય આસ્થાના કેન્દ્રના એક જ પરિસરમાં દર્શન થઈ જતા બોન્ટાના શનીધામમાં દાદરા નગર હવેલીની સાથે દમણ, ગુજરાત અને મહારાષ્ટ્રથી અનેક શ્રદ્ધાળુઓ દર્શને આવે છે. અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે.
શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિદેવ ભગવાન સૂર્યના પુત્ર અને ભગવાન શિવના પરમ ભક્ત છે. શનિદેવ આ જગતના તમામ જડ અને સજીવ સૃષ્ટિ પર પોતાનો પ્રભાવ ધરાવે છે. ભગવાન શિવના શિષ્ય હોવાને નાતે નાથ પંથમાં પણ શનિદેવ અતિપ્રિય માનવામાં આવે છે. નાથ પંથના સંતો દેશભરમાં ભગવાન શનિદેવના મંદિરોની સ્થાપના કરાવે છે. એ પરંપરાના ભાગરૂપે ખંડેશ્વરી બાબા યોગી રવિનાથજીએ દેશભરમાં 11 શનિ મંદિરો બનાવવાનો નિશ્ચય કર્યો હતો. જેમાંથી દેશનું નવમું શનિ મંદિર દાદરા નગર હવેલીના નાનકડા બોન્ટા ગામમાં બનાવવામાં આવ્યુ છે.
શનિધામ ભક્તોથી ઉભરાય છે
એક જ મંદિર પરિસરમાં ત્રણ ધામ આવેલા હોવાથી શ્રદ્ધાળુઓ શ્રદ્ધાપૂર્વક અહીં પોતાની આસ્થા અને માનતા પૂર્ણ કરે છે. સાથે જ આ ધામમાં બાબા ખેતાનાથ આશ્રમ દ્વારા વારે તહેવારે સદાવ્રત પણ ચાલતું હોવાથી બોન્ટા ગામ અને આસપાસના વિસ્તારના અસંખ્ય આદીવાસી પરિવારો તે દિવસે ઘરે રસોઈ નથી બનાવતા અને એક ટંકનો પ્રસાદ મંદિરમાંથી લે છે. દર શનિવારે શનિધામમાં મેળા જેવો માહોલ સર્જાય છે. શનિ અમાવસ્યાની સાથે અન્ય ધાર્મિક તહેવારોમાં મંદિરે દિવસભર ભજન, સત્સંગ અને હોમ હવન સાથે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં શનિધામ ભક્તોથી ઉભરાય છે. અને ભક્તોનો મેળા જેવો માહોલ જામે છે.
વધુ વાંચો: શિવ અને પાર્વતી વચ્ચેનો એ સંવાદ, જેમાં છુપાયોલો છે રંગોના તહેવારનો વાસ્તવિક અર્થ!
દર શનિવારે મહાપ્રસાદનું આયોજન
શનિધામમાં આવતા ભક્તો શનિદેવને તેલ,તલ સાથે અન્ય સામગ્રી ચડાવી ધન્યતા અનુભવે છે. આ સ્થળ પર શનિદેવની સાથે શિરડી સાઈબાબા અને ત્રંબકેશ્વર મહાદેવની સાથે અન્ય દેવી-દેવતાઓને પણ બિરાજમાન કરવામાં આવ્યા છે. તો આ મંદિરમાં શિવ પરિવાર પણ બિરાજમાન છે. એક જ પરિસરમાં અનેક દેવી-દેવતાઓના દર્શન થઈ જતા હોવાથી દાદરા નગર હવેલી, દમણ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી અસંખ્ય શ્રદ્ધાળુઓ શનિધામ આવે છે. આદિવાસી વસ્તી ધરાવતુ બોન્ટા ખૂબ નાનકડું ગામ છે. સ્થાનિક લોકો માટે પણ બોન્ટાનું આ ધામ શ્રદ્ધા ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ ધામમાં દર શનિવાર મહા પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. સ્થાનિક ગામ લોકો સહીત અહીં આવતા શ્રદ્ધાળુઓને વિનામુલ્યે સ્વાદિષ્ટ ભોજન કરાવવા માં આવે છે. દાદરા નગર હવેલીમાં ભક્તિ અને આસ્થાના અનેક કેન્દ્રો આવેલા છે. છેવાડાના ડુંગરાળ આદિવાસી વિસ્તારમાં આવેલું બોન્ટાનું શનિધામમાં ભાવિકોની મહિમા વધતા ભક્તોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.